એસ.એમ.એ જિન્નાને દેશમાં દ્રષ્ટિહીનોના ગોડફાધર કહી શકાય છે. જીવનના છ દાયકા જોઈ ચૂકેલા જિન્ના મદુરાઈ જિલ્લાના સુંદરરાજપટ્ટીમાં ૩૦,૦૦૦ ચોરસ ફૂટ પરિસરમાં ફેલાયેલા ઇન્ડિયન એસોસિયેશન ફોર ધ બ્લાઈન્ડ (આઈએબી) ના સંસ્થાપક છે. દ્રષ્ટિહીન જિન્નાએ દ્રષ્ટિહીનોને જીવન જીવવાની એક નવી દ્રષ્ટિ આપી છે. જિન્ના ફક્ત પાંચ વર્ષના હતા ત્યારે તેમની માતાનું અવસાન થયું હતું અને પિતા ઘર છોડીને જતા રહ્યા. ૧૩ વર્ષની ઉંમરે એક માર્ગ અકસ્માતમાં જિન્નાની બંને આંખો જતી રહી.
જિન્ના તે સમયે સાતમા ધોરણમાં ભણતા હતા. તે એવો સમય હતો જ્યારે દ્રષ્ટિહીનો પ્રત્યે સમાજનો દ્રષ્ટિકોણ નિરુત્સાહિત કરનારો હતો. આવા સમાજમાં જિન્નાએ પોતાનો અભ્યાસ બીજી વખત શરૂ કરવાનો નિશ્વય કર્યો. પરિવાર તેની વિરુદ્ધ હતો. દુનિયાભરની બાબતોથી માહિતગાર રહેવા તેઓ રેડિયો સાંભળતા. તેમણે રેડિયો પર જ દ્રષ્ટિહીનો માટે પલાયમકોટાઈમાં એક સ્કૂલ અંગે જાણ્યું.
પરિવારની મરજી વિરુદ્ધ જિન્ના આ શાળામાં પ્રવેશ મેળવવા પહોંચી ગયા. અહીં તેમને સાતમા ધોરણમાં પ્રવેશ મળી ગયો. એક મહિનામાં જ તેમણે બ્રેઇલ લિપિ પર પ્રભુત્વ મેળવી લીધું પરંતુ આ શાળામાં આઠમા ધોરણ પછી અભ્યાસની વ્યવસ્થા ન હતી. અહીં તેમને જયરામન નામની એક વિકલાંગ વ્યક્તિ મળી.
તેમની છત્રછાયા હેઠળ જિન્નાએ આગળનો અભ્યાસ પૂરો કર્યો અને અર્થશાસ્ત્રમાં એમ.એ. કર્યા બાદ તેઓ રોટરી ઇન્ટરનેશનલના વિઝા પર ૧૯૮૧માં બોસ્ટન ભણવા ગયા.અહીં તેમણે દ્રષ્ટિહીનોને ભણાવવાની તાલીમ લીધી. ભારત પાછા ફરીને ૧૯૮૫માં જિન્નાએ ‘ઇન્ડિયન એસોસિયેશન ફોર ધ બ્લાઈન્ડ’ ની સ્થાપના કરી.
એબિલિટી ફાઉન્ડેશનની પત્રિકા સક્સેસ એન્ડ એબિલિટીના સૌજન્યથી.