દુનિયામાં અનેક પ્રકારના લોકો હોય છે. કોને તમારું કામ પસંદ છે કે નથી તેના વિશે તમે કંઈ વિચારી શકો નહીં. આપણે આપણું મોટા ભાગનું જીવન બીજાથી પ્રભાવિત રાખીએ છીએ, તેથી આપણે ચિંતિત રહીએ છીએ કે લોકોને શું પસંદ છે? કેટલાક લોકો તમારી ખોટી પ્રશંસા કરીને તમારા અહંકારને વધારશે અને તમને ખ્યાલ પણ નહીં આવે કે તમે પોતાને કેટલું નુકસાન કરી રહ્યા છો. આપણા જીવનમાં વનનું ખૂબ જ મહત્વ છે. એટલા માટે નહીં કે જંગલો પર્યાવરણ સાથે જોડાયેલાં છે પણ એટલા માટે કે દુનિયાના લગભગ બધા જ મહાન લોકોના જીવનનો એક મોટો હિસ્સો વન સાથે જોડાયેલો છે. વન અને તપ એકબીજાના પર્યાય છે.
જીવનમાં તપ જરૂરી હોવું જોઈએ. આપણે ત્યાં કેટલાક લોકોએ આજે પણ તપ અને ઉપવાસને પ્રશંસાનો વિષય બનાવી દીધા છે. ઘણા લોકો એટલા માટે સાધુ-મહાત્મા બની ગયા કારણ કે તેમણે શરીર પર કામ કર્યું અને લોકોએ તેનો જયજયકાર કર્યો. સંસારમાં લોકોને એ વાતમાં જ મજા આવે છે કે કોઈ પોતાનું શરીર ઘટાડી રહ્યું છે, કોઈ ભૂખ્યું રહી રહ્યું છે, કોઈ આગ પર તો કોઈ ધરતી પર ઊંધા લટકી રહ્યા છે. આવું જ જીવનમાં બની રહ્યું છે.
આપણે ત્યાં તપ માટે વનમાં જઈને એટલા માટે તપ કરવામાં આવતું કે ત્યાં એકાંતમાં જે મળશે તે આપણા અહંકારને વધારશે નહીં. વનમાં એકાંત, મૌન અને દ્રષ્ટિ ત્રણે રહે છે. જંગલ ભગવાનની અભિવ્યક્તિ હોય છે અને પરમાત્મા મળે તો બીજાની પ્રશંસા, આલોચનાની ચિંતા ન કરવી જોઈએ. તેથી ઘરમાં રહીને પણ થોડું તપસ્વી જીવન જીવવું જોઈએ.