એક વૃદ્ધા એકલી રહેતી હતી અને પોતાની આજીવિકા માટે કપડાં સીવતી હતી. એક દિવસ તે પોતાની ઝૂંપડીમાં બેસીને સિલાઈ કરી રહી હતી કે અચાનક તેના હાથમાંથી સોય પડી ગઈ. સાંજ પડી ગઈ હોવાથી વૃદ્ધાને સોય દેખાતી નહોતી. તે શોધવાનો પ્રયત્ન કરતી રહી પણ નિષ્ફળ ગઈ. ધીરેધીરે રાત થઈ ગઈ,છતાં વૃદ્ધા સોય શોધતી રહી. તે સમયે એક ગ્રાહક તેની પાસે કપડાં લેવા માટે આવ્યો. તેણે વૃદ્ધાને પૂછ્યું કે, માજી અંધારામાં શું શોધો છો? વૃદ્ધા બોલી ભાઈ મારી સોય ખોવાઈ ગઈ છે, બસ તે શોધી રહી છું.
ગ્રાહકે કહ્યું માજી સોય તો અજવાળામાં મળશે. આટલું કહીને તે પોતાનાં કપડાં લઈને જતો રહ્યો. વૃદ્ધા ઝૂંપડીની બહાર આવીને અજવાળામાં સોય શોધવા લાગી. તે સમયે એક રાહદારી ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. તેણે પૂછ્યું કે માજી શું શોધો છો? વૃદ્ધાએ ફરીથી એ જ જવાબ આપ્યો. રાહદારી બોલ્યો, સોય ક્યાં ખોવાઈ ગઈ હતી? વૃદ્ધા બોલી, ઝૂંપડીમાં.
રાહદારી હસતાં હસતાં બોલ્યો, જો સોય ઝૂંપડીમાં ખોવાઈ છે તો બહાર શા માટે શોધો છો? વૃદ્ધા આશ્ચર્યથી બોલી કે મને તો જણાવવામાં આવ્યું હતું કે સોય અજવાળામાં શોધો. રાહદારીએ ત્યારે તેમને સમજાવ્યું કે જે વસ્તુ જ્યાં ખોવાઈ છે ત્યાંથી જ મળે. જેણે પણ તમને આ સલાહ આપી છે તેનો અર્થ એ છે કે સવારે અજવાળું થાય ત્યારે ઝૂંપડીમાં સોય ફરીથી શોધજો. ઘણી વખત સમજફેરના કારણે વાતનો મૂળ આશય અલગ તરી જાય છે અને કંઈક નવી જ વાત સમજાય છે, જે મુશ્કેલીનું કારણ બને છે. તેથી કોઈના દ્વારા અપાયેલી સલાહ પર પહેલા વિચાર કરવો જોઈએ અને પછી તેને અમલમાં મૂકવી જોઈએ.