સૂરજ બડજાત્યા સલમાન ખાન સાથે ફિલ્મ બનાવવા માગે છે એવી ખબર છે. કદાચ ફિલ્મ ‘દબંગ’ના મનોરંજક પ્રોમોએ કેટલાંય સ્વપ્નો સજર્યાં છે. અહીં ધ્યાનમાં રાખવું જોઈએ કે સલમાન અને સૂરજ તેમની પહેલી ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’ બનાવતી વખતે ૨૫ વર્ષના યુવાનો હતા. બન્ને ફિલ્મી કુટુંબોમાંથી આવ્યા હતા અને તેમનામાં પોતાની ઓળખ ઊભી કરવાનું જોશ હતું, કામ કરવાનો નશો હતો. આ જોડીએ ધંધાકીય રીતે ભારતની સફળતમ ફિલ્મ ‘હમ આપકે હૈં કૌન’ બનાવી હતી. તેમનો ત્રીજો પ્રયાસ ‘હમ સાથ સાથ હૈ’ ધારણા કરતાં ઓછો સફળ રહ્યો હતો.
સૂરજે સલમાન વગર પણ કેટલીક ફિલ્મો બનાવી હતી, જેમાં ‘વિવાહ’ સફળ રહી હતી, પણ પહેલી ત્રણ ફિલ્મો જેવો મામલો બન્યો નહીં. હવે કદાચ તેમને એવું લાગતું હશે કે સલમાન જ તેમના માટે લકી સ્ટાર છે. આજે સફળ ફિલ્મોનો વ્યવસાય વધી ગયો છે અને મલ્ટિપ્લેક્સ તથા વિસ્તરી રહેલા વર્તુળના સમયમાં સૂરજ-સલમાનની જોડી ફરીથી ઈતિહાસ રચી શકાશે. હવે સૂરજ અને સલમાન ચુમ્માલીસ વર્ષના થઈ ગયા છે અને વીતેલા સમયગાળામાં ફિલ્મનિર્માણ તેમ જ માર્કેટિંગની શૈલી-પદ્ધતિ પણ બદલાઈ ગઈ છે. જે દર્શકો ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’ પસંદ કરતા હતા તેઓ હવે આધેડ બની ગયા છે અને સંસારની માયાજાળમાં ગળા સુધી ડૂબી ગયા છે. આજના યુવાન દર્શકોએ સૂરજ-સલમાનની ફિલ્મો ડીવીડી પર જોઈ છે. સૂરજની ભારતીય કુટુંબોની આદર્શ કલ્પના ક્યારની ય ભાંગી ગઈ છે.
સલમાનની છાપ પણ એકવડા-સુંદર-મીઠડા પ્રેમીમાંથી બદલાઈને ‘દબંગ’ બની ગઈ છે અને આ છાપમાં તે ‘મોસ્ટ વોન્ટેડ’ પણ છે. આટલાં વર્ષોના અંતર બાદ સૂરજ અને સલમાન વચ્ચે શું એવું જ મૈત્રીભર્યું તાદામ્ય સધાશે, જેનાથી મનોરંજક ફિલ્મો બની? બડજાત્યાની ફિલ્મના શૂટિંગ વખતે જ પોતાના ઉપર શિકારનો ખોટો આરોપ લાગ્યો હતો અને બચાવની લાંબી પ્રક્રિયામાં સૂરજ ક્યારેય તેની સાથે ન રહ્યા, એ શું સલમાન ભૂલી શકશે? એવું બની શકે કે જુની દોસ્તી એ જ ઉષ્મા સાથે ફરી આવી જાય, પણ સૂરજે હવે તેની કૌટુંબિક ફોર્મ્યુલાથી મુક્ત થઈને બડજાત્યાની અસર ન હોય તેવી નવસલમાન ફિલ્મ બનાવવી પડશે.
સલમાન માટે નવી ભૂમિકામાં ઢળી જવું સહેલું હશે, પણ સૂરજ માટે તેની કૌટુંબિક ફોમ્યુંલામાંથી બહાર નીકળવું મુશ્કેલ હશે. સૂરજ બડજાત્યાએ તેની પહેલી ફિલ્મમાં અદ્ભુત આવડત દેખાડી હતી, જેની ધાર પરિવારની જુની ફિલ્મોની નવી આવૃત્તિ બનાવવામાં ઘસાઈ ગઈ છે. ખરેખર તો આ ઉદ્યોગમાં દર્શક હંમેશા યુવાન રહે છે, પણ ફિલ્મસર્જક ઘરડો થઈ જાય છે. અનેક ફિલ્મસર્જકો પોતાને સંન્યાસમાંથી પરત લાવે છે, પરંતુ એ તેમની વ્યક્તિગત માનસિકતાનું સુખદ પરિણામ છે.બડજાત્યા પરંપરામાં વ્યક્તિગત વિચારધારા કશું જ નથી હોતી, તમામ નિર્ણયો સામૂહિક જ હોય છે. આથી આ પ્રકરણ એક સામૂહિક વિચારના પરતાગમનનો મામલો છે.