જે દેશના વડાપ્રધાન કરોડોની આસ્થાના કેન્દ્રસમા તિરુપતિ મંદિરે શ્રદ્ધા-ભક્તિપૂર્વક પૂજા-અર્ચના કરતા હોય, એ દેશના (જ) ગૃહપ્રધાન ભગવા આતંકવાદ-હિન્દુ આતંકવાદને જાણી જોઈને શાબ્દીક ચગાવતા હોય તેને શું કહેવું? રાજકારણ કે પછી ધાર્મિક ભેદભાવને વધુ ઊભો કરવાનો ખતરનાક ખેલ? આતંકવાદને કોઈ ધર્મ-મઝહબના મલાજા હોતા નથી છતાં મઝહબની કિનાર પકડીને આતંકવાદ વકરતો રહ્યો છે. મઝહબને ખોટી રીતે આગળ કરીને ચાલતા આતંકવાદથી આજે આખી દુનિયા ત્રસ્ત છે. જેહાદી ત્રાસવાદને નાથવાની બાબત આજે વિશ્ચ સમસ્યા બની છે. ભારતમાં પણ પાકિસ્તાન-બાંગ્લાદેશ જેવા પડોશીઓના પાપે આ જેહાદી ત્રાસવાદ ખૂંખાર બનેલો છે.
તેને મૂળમાંથી અસરકારક રીતે ડામવાની-નાથવાની જરૂર છે. તેને બદલે ‘હિન્દુ ત્રાસવા-ભગવો ત્રાસવાદ’ એવાં નાહકનાં લેબલ મારીને જાણે જેહાદી ત્રાસવાદને ખુદ સરકારના ગૃહમંત્રી પી. ચિદમ્બરમ્ દ્વારા અલગ તારવવાની ભૂંડી કોશિશ કરાઈ રહી છે. સરકાર સામે ચાલીને જ પેટ ચોળીને શૂળ ઊભું કરવાનો પ્રયાસ કરે છે. સમાજમાં બે ભાગલા પાડવાની શરમજનક કોશિશ કરે છે. ત્રાસવાદને હિન્દુ કે ભગવાનું લેબલ મારીને જેહાદી ત્રાસવાદ સર્જનારાઓને ચિદમ્બરમ્ ખુશ કરવા માગતા હોવાનું જણાય છે. એક તરફ કાશ્મીરમાં નવેસરથી અલગતાવાદે માથું ઊંચકર્યું છે ત્યારે ત્રાસવાદને ધર્મના લેબલ આપવામાં આવી રહ્યાં છે!
નકસલવાદને નાથવામાં ઢીલાઢસ થઈ ગયેલા ગૃહમંત્રી હવે ત્રાસવાદનું ધાર્મિક વર્ગીકરણ કરીને યુપીએ સરકારનો છુપો એજન્ડા ચલાવી રહ્યા છે. બિહારની ચૂંટણી હવે બે મહિનામાં થવાની છે. કોંગ્રેસને હિન્દુ અને મુસ્લિમ વોટબેન્ક અંકે કરવાની જાણે ચળ ચડેલી છે. કોંગ્રેસ અને યુપીએ સરકાર આ મામલે યોજનાપૂર્વકનો ખેલ ખેલતા હોવાનું લાગે છે. એક તરફ ગૃહમંત્રી દ્વારા ભગવા આતંકવાદની વાત કરવામાં આવે છે તો બીજી તરફ કોંગ્રેસના મહાસચિવ દિગ્વિજય ચિદમ્બરમ્ની વાતનો વિરોધ કરે છે.
ધર્મને જ્યારે જ્યારે સ્વાર્થી રાજનીતિ સાથે જોડવામાં આવ્યો છે, ત્યારે દેશને નુકસાન થયું છે. દેશમાં હિન્દુ ત્રાસવાદ જેવી કોઈ સંગિઠત હિલચાલ નથી એ સર્વવિદિત વાત છે ત્યારે આતંકવાદને ધર્મનાં લેબલ લગાવવાથી ખરેખરા આતંકવાદીઓને ફાયદો થાય છે. ગૃહમંત્રી વોટબેન્કના રાજકારણની લહાયમાં આતંકવાદને ઉત્તેજન આપી રહ્યા છે. આતંકવાદને ધર્મનો ઢોળ ચડાવીને ખતરનાક ખેલ ખેલી રહ્યા છે.