ખાસ તો જ્યારે પણ ક્રૂડ તેલ કે પેટ્રોલ મોંઘા થાય છે કે તે દુર્લભ બનશે તેવી શંકા થાય છે ત્યારે સેન્ટ્રલ સોલ્ટ રિસર્ચને યાદ કરાય છે. જેત્રોફામાંથી ડીઝલ બનાવવાની ‘જાદુઈ’ ક્રિયા ભાવનગરની સેન્ટ્રલ સોલ્ટ રિસર્ચના વિજ્ઞાનીઓ કરે છે.
પગારને અંગ્રેજીમાં સેલેરી કહે છે. તે શબ્દ લેટિન ભાષાના શબ્દ ‘સેલેરિયમ’ પરથી આવ્યો છે. રોમન લશ્કરના સૈનિકોને ખોરાક સાથે મીઠું ખરીદવા જે વધારાનાં નાણાં અપાતાં તેને મીઠું કહેવાતું, અને તે ઉપરથી જ જે દેશનું લૂણ ખાધું હોય તેને જાન આપીને લોકો નિમક હલાલ થતાં. જર્મનીમાં સોલ્ટઝબાર્ગ શહેર છે ત્યાં મીઠું પાકે છે. તે ઉપરથી શહેરનું નામ પડ્યું છે, પણ શહેરના જર્મન સૈનિકોમાં ‘મીઠાની તાણ્ય’ નહોતી એટલે તે બુદ્ધિમંત અને લડવૈયા ગણાતા. લડીને મીઠું વસૂલ કરતા.
આજે આપણે ભાવનગર ‘સેન્ટ્રલ સોલ્ટ અને મરિન રિસર્ચ’ની સ્થાપના અને તેના સંશોધનથી દેશને કેટલો ફાયદો થયો છે તે જોઈશું તો પ્રતીત થશે કે ૧૯૫૪માં પંડિત જવાહરલાલે સૌરાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉછરંગરાય ઢેબર તેમ જ મહારાજા કૃષ્ણકુમારસિંહજીની હાજરીમાં આ મૂલ્યવાન સંસ્થાનું ઉદ્ઘાટન કર્યા પછી ત્યાં આજે ૩૬૦ જેટલો સ્ટાફ ૨૦૧૨માં છે. ત્યાં ૧૫૦ જેટલા સાયિન્ટસ્ટો છે અને ૨૫૦ રિસર્ચ ફેલો છે. સૌરાષ્ટ્રના અચ્યુત ભટ્ટ પીએચ.ડી. કરવા બીજા બસ્સો વિદ્યાર્થી સાથે ભાવનગરની આ સંસ્થાનો લાભ લઈ એવો અનુભવ મેળવશે કે વિદેશ જાય તો તેનો પગાર R ૧૦ લાખથી ઓછો નહીં હોય.
ડૉ.. માર્ક કુરલાન્સ્કી તેના પુસ્તકમાં કહે છે કે મીઠાનો ઔદ્યોગિક રીતે ૧૦૧ પ્રકારે ઉપયોગ થાય છે. પણ જો ભાવનગર સેન્ટ્રલ સોલ્ટ રિસર્ચમાં જશો તો મીઠાનો ઉપયોગ ફાર્માસ્યુટિકલ્સથી માંડીને ખેતરમાં વપરાતા ખાતર બનાવવામાં, સાબુ ઉદ્યોગમાં, પાણીને પીવાલાયક બનાવવામાં, ડાઈંગ એન્ડ કેમિકલ ઉદ્યોગમાં તેમ જ ઔદ્યોગિક કચરાને સાફ કરવામાં વગેરે વગેરેમાં કરાય છે અને આ તમામ ઉપયોગને વ્યવહારુ બનાવનારા ભાવનગરની આ સંસ્થાના વિજ્ઞાનીઓ છે. ખાસ તો જ્યારે પણ ક્રૂડ તેલ કે પેટ્રોલ મોંઘુ થાય છે કે તે દુર્લભ બનશે તેવી શંકા થાય છે ત્યારે સેન્ટ્રલ સોલ્ટ રિસર્ચને યાદ કરાય છે.
ઓરિસ્સાના ગામડામાં તેમ જ સૌરાષ્ટ્રના ઝાંઝમેર, મધુવન, મેથળા, મેરવડલા અને છત્તીસગઢનાં ગામોમાં જેને રતનજયોત કહે છે તે જેત્રોફામાંથી ડીઝલ બનાવવાની ‘જાદુઈ’ ક્રિયા ભાવનગરની સેન્ટ્રલ સોલ્ટ રિસર્ચના વિજ્ઞાનીઓ કરે છે. લગભગ છ-સાત વર્ષ પહેલાં જ્યારે જેત્રોફામાંથી ડીઝલ શોધાયાની ડૉ.. પુષ્પિતો ઘોષે જાહેરાત કરી ત્યારે તેને હિન્દુસ્તાનમાંથી ચારેકોરથી ફોન વાગતા હતા. મારી સાથે માંડમાંડ પોણો કલાક બેસીને ત્યારે વાતા કરી શકેલા.
સૌરાષ્ટ્ર નસીબદાર છે કે એક મહાન વિભૂતિના પુત્ર ભાવનગરને આંગણે વૈજ્ઞાનિક સેવા આપે છે. ડૉ. પુષ્પિતો ઘોષના પિતાજી રવીન્દ્રનાથ ટાગોરની વિશ્વભારતી સંસ્થામાં પ્રોફેસર હતા. તમે અર્થશાસ્ત્રમાં નોબેલ પ્રાઈઝ મેળવનારા ભારતીય ડૉ.. અમત્ર્ય સેનનું નામ જાણો છો. આ ડૉ.. સેન તો પુષ્પિતો ઘોષના પિતાના વિદ્યાર્થી હતા. ડૉ.. પુષ્પિતો ઘોષ ડૉ.. અમર્ત્ય સેનવાળી ક્રિશ્વિયન મિશનરી સ્કૂલમાં જ ભણેલા. આ ‘પંતુજી’-શિક્ષક પાસે દીકરાને ભણાવવાના પૈસા કદી હતા જ નહીં પણ મહદઅંશે એ દીકરાને હોશિયાર હોવાથી સ્કોલરશિપ મળતી.
આપણા ડૉ.. પુષ્પિતો ઘોષને સેન્ટ સ્ટીફન કોલેજમાં ભણવા સ્કોલરશિપ મળી. તેમાં તેણે કેમિસ્ટ્રરીનો ખાસ વિષય લીધેલો તે આજે આખા દેશને કેમ લાગે છે. ડૉ.. ઘોષ સતત ભણતા જ ગયા. કાનુપરની આઈઆઈટીમાં કેમિસ્ટ્રરીનું એડવાન્સ ભણતર લઈને અમેરિકાની પ્રિન્સન્ટન યુનિ.માં પીએચ.ડી. કરવા સ્કોલરશિપ લઈ અમેરિકા ગયા. ત્યારે જ સંકલ્પ કરેલો કે અમેરિકામાં ગમે તેવી સારી સેલેરી મળે પણ તેઓ ભારતમાં જ તેનું ઋણ લૂણ ચૂકવશે.
ઇમ્પિરિયલ કેમિકલ ઇન્ડસ્ટ્રી અને બીજી નોકરી કર્યા પછી ૧૯૯૯માં દિલ્હીની કાઉન્સિલ ફોર સાયિન્ટફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ નામની સોલ્ટ રિસર્ચની માતૃસંસ્થાના ડૉ.. માશેલકરે ડૉ.. પુષ્પિતો ઘોષનું નામ સેન્ટ્રલ સોલ્ટ રિસર્ચના ડાયરેકટર તરીકે સૂચવ્યું અને તેઓ પત્ની સુપ્રિયાબહેન ઘોષ સાથે ત્યારથી સતત ૨૩ વર્ષથી ભાવનગર રહે છે. તેમની સાથેના મૂળ સૌરાષ્ટ્રના ડૉ.. એમ. કે. ગાંધી અને ડૉ.. ઘોષ હવે બે-ત્રણ વર્ષમાં નિવૃત્ત થવાના છે ત્યારે મને આશા છે કે દૈનિક ભાસ્કરના નવયુવાન સુપુત્ર ગિરીશચંદ્રજી અગ્રવાલ આ બે વૈજ્ઞાનિઓની સેવા લઈ ભાવનગર કે સૌરાષ્ટ્રમાં તેમના કેમિકલ જ્ઞાનનો અનુભવ લઈને મીઠીવીરડીમાં અણુ વિધ્યુત પાર્ક થાય છે તેનો પણ ઉદ્યોગ માટે લાભ લેશે. ઈન્શાલ્લાહ.
કેમિકલ્સના વિદ્યાર્થીઓને હું ભલામણ કરું છું કે ડૉ.. ઘોષનું લખેલું પુસ્તક ‘સાગા ઓફ સાગર’ વાંચી જાય. દરિયામાંથી કેવી અણમોલ ચીજો નીકળે છે તેનું એમાં વર્ણન છે. વડાપ્રધાન તરીકે રાજીવ ગાંધી અફઘાનિસ્તાન ગયા ત્યારે તેમને પૂછવામાં આવેલું કે ભાવનગરમાં જેત્રોફામાંથી કુદરતી ડીઝલ કાઢવામાં આવે છે તો તે જેત્રોફાની ખેતી ત્યાં થઈ શકે કે નહીં? એ પ્úચ્છા આજે મૂર્તિમંત થઈ છે.
જેત્રોફાના બીમાંથી કુદરતી ડીઝલ મળી જાય પછી જે ‘કચરો’ નીકળે તેનું ઓર્ગેનિક ખાતર બને છે. આવા ઓર્ગેનિક ખાતર થકી ટામેટાના છોડને જંતુમુકત બનાવી શકાય છે. ૨૦૦૬ સુધી તો જેત્રોફામાંથી સેન્ટ્રલ સોલ્ટ રિસર્ચના વિજ્ઞાનીઓએ કુદરતી ડીઝલ બનાવ્યું તેવું કોઈએ બનાવ્યું નહોતું. એના સમાચાર જર્મની સુધી ગયેલા. ત્યાંના સ્ટટગાર્ડ શહેરના વિજ્ઞાની પ્રો. કલાઉઝે અને તેના વિદ્યાર્થી ભાવનગર આવ્યા ત્યારથી ભાવનગરને ડૉ.. ઘોષે વિશ્વચોતરે ચઢાવ્યું. જર્મનીની મર્સીડીસ કાર બનાવતી કંપનીએ પણ તેની ફેન્સી મોટરો જેત્રોફાના તેલથી ચાલે કે નહીં તેની ચકાસણી ભાવનગર આવી કરી હતી.
ખરેખર તો કેમિસ્ટ્રરીના ગ્રેજ્યુએટે ભાવનગર જઈને અનેક ઉદ્યોગો મીઠામાંથી થાય છે તે શીખીને પોતાનો નાનો ઉદ્યોગ ઊભો કરવો. તે માટે ડૉ.. એમ. જી. ગાંધી માર્ગદર્શન આપશે. કનુભાઈ લહેરીના ગામ રાજુલાના મીઠું પકવતા અગરિયાને આ સંસ્થાએ કેવું સફેદ સુંદર મીઠું પકાવવું તે કળા શીખવી છે. વિખ્યાત પેપ્સી કંપનીએ દરિયાની શેવાળમાંથી જેલી વગેરે બનાવવાની પ્રક્રિયા શીખી લાખો રૂપિયા બનાવ્યા છે. આ સંસ્થાના હીરેન ડી. રાવળને એક ઇન્ટરનેશનલ સંસ્થાએ દરિયાના પાણીને પીવાલાયક બનાવવાની અધ્યતન ટેકનીક શીખવા સ્કોલરશિપ આપી છે. (વાત અધુરી છે).