આપણે બધા કંપનીના ભૂખ્યા છીએ. એકાંત આપણને જાણે ભરખી જતું લાગે છે. તેથી સામાન્ય રીતે એકલા જવાનો કંટાળો આવે છે. મુસાફરીમાં એકલા હોઈએ તો ‘બોર’ થઈ જવાય છે. અરે, પરિવારમાંથી કોઈ પોતીકું બહારગામ ગયું હોય અને એકલા રહેવાનો વારો આવે તો જાણે ઘર ખાવા ધાય છે. ઘરની બહાર, ઓફિસમાં, પ્રવાસ કે પિકનિકમાં આપણને ‘કંપની’ જોઈએ છે. ‘ફ્રેન્ડ સર્કલ’ જોઈએ છે. ટૂંકમાં આપણને ‘સર્કલ’માં જ બંધિત રહેવું ગમે છે.
એ સર્કલ વચ્ચે જ આપણે ઘેરાયેલા રહીએ છીએ. એ વર્તુળના કેન્દ્રમાં આપણે અને પરિઘ પર મિત્રો, સગાંસંબંધી રહે એ જ આપણી ઇચ્છા હોય છે. મિત્રોથી ઘેરાયેલા રહેવાની ભાવના રાખીએ છીએ, છતાં મુક્તિની ભાષા બોલીએ છીએ. બંધનમાં રહેવું ગમે છે છતાં મુક્ત થવું છે! જીવનનો કેવો વિરોધાભાસ! ખરેખર જ મુક્ત થવું હોય તો ઈશ્વરને કેન્દ્રમાં રાખવા જોઈએ અને પછી પરિઘમાં મિત્ર-સગાંસંબંધી ઇત્યાદિ રહે. પરંતુ સતત ‘પર’ના સાંનિધ્યમાં જીવવા ટેવાયેલા આપણે આપણા ‘સ્વ’ને ભૂલી ગયા છીએ.
એકાંતમાં આ ‘સ્વ’નો વિચાર કરતા આપણને કંપ થાય છે, પણ ત્યાંથી ભાગી છુટવાની પેરવી કરે છે. પરંતુ માનવી ‘સ્વ’થી ભાગી ભાગી કેટલો ભાગવાનો છે? માનવી એ ભૂલી જાય છે કે આખી દુનિયાથી ભાગી શકાય છે પણ પોતાથી- ‘સ્વ’થી ભાગી શકાતું નથી. તેથી જ વિવેકશીલ ‘સ્વ’થી દૂર ભાગી ન જતાં ‘સ્વયં’ના સાક્ષાત્કારની અંદર રહેલા ‘રામ’ની સામીપ્યમાં જવા માટે પ્રયત્નશીલ રહે છે.