કોમનવેલ્થ રમતોત્સવ એક એવું આયોજન છે જેમાં આખા દેશની પ્રજાને છેતરવામાં આવી છે. આ જ યોગ્ય સમય છે, જ્યારે આપણે ભ્રષ્ટાચારના ખેલનો પર્દાફાશ કરી શકીએ છીએ. તેના માટે આપણે બાપુએ બતાવેલા ‘અસહકાર’ના માર્ગે ચાલવું પડશે. કોમનવેલ્થ રમતોત્સવનો બહિષ્કાર કરો. રમતોત્સવને જોવા માટે સ્ટેડિયમમાં પણ ન જાઓ કે ટીવી પર પણ ના નિહાળો. છેતરપિંડીના ખેલમાં આપણે ચીયરલીડરની ભૂમિકા નિભાવી શકીએ નહીં.
કોમનવેલ્થ રમતોત્સવ માટે ચવાઈ ગયેલી વાતો કરવાનો મારો કોઈ ઈરાદો નથી. આ અંગે અગાઉ જ ઘણું બધું લખાઈ ચૂક્યું છે. એમાં શંકાને કોઈ સ્થાન નથી કે આઝાદ ભારતના ઈતિહાસનો આ સૌથી મોટો ગોટાળો છે. લૂંટ-ગોટાળા કર્યા બાદ પણ વ્યક્તિ બચી જાય એ તો સમજયા, પરંતુ આપણા દેશમાં જ એ શક્ય છે કે કોઈ વ્યક્તિ ચોરી કર્યા બાદ પણ પોતાના કરતૂતો ચાલુ જ રાખે. તમને એ હશે કે નિર્માણકાર્યો સમયમર્યાદામાં પૂરાં થશે કે નહીં, પરંતુ રમતોત્સવ પૂરો થયા બાદ દિલ્હીવાસીઓની દુર્દશા અંગે પણ થોડું વિચારો. જે માર્ગો પર ખોદકામ કરાયું છે, તેનું ક્યારેય રિપેરિંગ નહીં થાય. આ માર્ગો કે ખાડા ધોળા દિવસે કરવામાં આવેલી આ સૌથી મોટી લૂંટના પુરાવા હશે.
કૌભાંડો બહાર આવ્યાં બાદ હવે દેખાડાનો દોર ચાલી રહ્યો છે. આપણી સરકારે તો તેમાં પીએચ.ડી. કરેલી છે. રમતોત્સવ પૂરો થશે ત્યાં સુધી તપાસ અહેવાલો, નિવેદનો અને એક-બીજાને માથે દોષનો ટોપલો નાખવાનું કામ ચાલુ રહેશે. જેવો રમતોત્સવ પૂરો થશે કે લોકો ભૂલી જશે. શાનદાર સમાપન સમારોહમાં બોલિવૂડ સિતારાઓનું નૃત્ય થશે. આ દરમિયાન ‘ભારતની છબીને બચાવવા’નું પ્રચાર અભિયાન ચાલુ રહેશે. લોકો પાસે સમર્થનની અપેક્ષા રખાશે, કેમકે અંતે તો રમતોત્સવ પર ભારતની ઇજજત દાવ પર લાગેલી છે. ભારતની મહાન યુવા શક્તિને અપીલ કરાશે કે તે મોટી સંખ્યામાં હાજર રહીને સ્ટેડિયમોને ભરી દે અને આયોજનને ઊર્જા પ્રદાન કરે.
પરંતુ જો આપણે આ આયોજનનું સમર્થન કરીએ છીએ તો, તે આપણી ભૂલ કહેવાશે. ભારતના નાગરિકો માટે આ એક સોનેરી તક છે કે તે આ ભ્રષ્ટ અને સંવેદનહીન સરકારને શરમનો અહેસાસ કરાવે. સામાન્ય રીતે ભ્રષ્ટાચારના મામલા સ્થાનિક હોય છે અને સમગ્ર દેશનું ધ્યાન ખેંચતા નથી. પરંતુ કોમનવેલ્થ રમતોત્સવનો મામલો એવો નથી.
આમાં કોઈ એક ક્ષેત્ર કે રાજ્યની પ્રજાને નહીં, પરંતુ આખા દેશની પ્રજાને છેતરવામાં આવી છે. આ જ યોગ્ય સમય છે, જ્યારે આપણે ભ્રષ્ટાચારના ખેલનો પર્દાફાશ કરી શકીએ છીએ અને તેના માટે આપણે બાપુએ બતાવેલા ‘અસહકાર’ના માર્ગે ચાલવું પડશે. ઘણું સમજી-વિચારીને હું આ કહી રહ્યો છું. કોમનવેલ્થ રમતોત્સવનો બહિષ્કાર કરો. રમતોત્સવ જોવા સ્ટેડિયમમાં પણ ન જાવ કે ટીવી પર પણ ના નિહાળો. છેતરપિંડીના ખેલમાં આપણે ચીયરલીડરની ભૂમિકા નિભાવી શકીએ નહીં. ભારતીયોનું અગાઉથી જ ઘણું શોષણ કરી દેવાયું છે. હવે આપણી પાસે એ આશા રાખવી વધુ પડતી ગણાશે કે આપણે આ રમતોત્સવમાં હસતાં-હસતાં મદદ કરીએ. જો તેઓ સંસદમાંથી વોક-આઉટ કરી શકે છે તો આપણે પણ સ્ટેડિયમોમાંથી વોક-આઉટ કરી શકીએ છીએ.
મને એક વાત યાદ આવે છે. જ્યારે હું નાનો હતો ત્યારે અમારી પડોશમાં એક પતિ તેની પત્નીને નિર્દયતાથી મારતો હતો. પત્ની ઇજાના નિશાન છુપાવવા વધારે મેક-અપ કરતી. એક વખત મેં મારી મા ને પૂછ્યું કે તે આવું શા માટે કરે છે? તેના પતિની સાચી વાતને શા માટે ઉઘાડી નથી પાડતી? મારી માએ કહ્યું કે,મહિલા તેના પરિવારની ઇજજત બચાવવા માગે છે. એક દિવસ એવી સ્થિતિ આવી કે પોલીસની ગાડી અને એમ્બુલન્સના સાયરનથી અમારો મહોલ્લો ગુંજી ઊઠ્યો. પતિને પોલીસ પકડી ગઈ અને પત્નીને એમ્બુલન્સમાં લઈ જવી પડી.
આપણા દેશની પણ કંઈક આવી જ તસવીર છે. આપણે અન્યાય અને ભ્રષ્ટાચાર પર પડદો નાખવા માટે એક નકલી ચહેરો રજૂ કરવા તૈયાર છીએ કે અહીં બધું જ સારું છે. કોમનવેલ્થના મામલામાં આયોજક પેલા ક્રૂર પતિ જેવા છે અને ભારતની પ્રજા પેલી માર ખાતી પત્ની જેવી છે. પરંતુ માફ કરજો, નવા યુગની પત્નીઓ હવે ચૂપચાપ માર ખાઈ શકતી નથી. કોલેજો, યુનિયનો અને યુવાનો આગળ આવે કે અમે આ રમતોત્સવનું સમર્થન કરી શકીએ તેમ નથી. ગાંધીજીએ કહ્યું હતું કે અત્યાચારી આપણા પર અત્યાચાર ગુજારી શકે છે, પરંતુ તે આપણને તેમાં સહયોગ આપવા મજબૂર કરી શકે નહીં.
રમતોત્સવના બ્રાન્ડ એમ્બેસેડર બનતા ચહેરાઓએ આ આયોજન સાથે પોતાનું નામ જોડતાં પહેલાં બે વખત વિચારી લેવું જોઈએ કે, શું તેઓ આ ભ્રષ્ટાચાર પર પડદો નાખવા માટે તેમની છબીનો ઉપયોગ કરવા દેશે? આમાં ભારતની પ્રજાનો કોઈ દોષ નથી. આ રાજનેતાઓની તે ટુકડીનો દોષ છે, જે એક ગરીબ દેશની તિજોરી પર ધાડ પાડવામાં જરા પણ ખચકાયો નથી. આપણા દેશમાં પ્રતિભાની ખોટ છે, કારણ એ છે કે જે લોકો રમત સંગઠનો પર કબજો જમાવીને બેઠા છે તેમને સુવર્ણ ચંદ્રક કરતાં એ વાતની ચિંતા વધુ છે કે કેવી રીતે પોતાના ગજવામાં ચોરીનું સોનું નાખી શકાય.
આ સરકાર ગયા વર્ષે જ ચૂંટણી જીતીને ફરી પાછી સત્તામાં આવી છે. જો તેઓ ઇચ્છે તો પાંચ વર્ષમાં સુશાસનનું એક ઉદાહરણ રજૂ કરી શકે છે. પરંતુ તેમણે મત આપનારા ભારતીયોને મોંઘવારી અને ભ્રષ્ટાચાર સિવાય શું આપ્યું છે? વિરોધ પક્ષો માટે પણ આ એક ઉત્તમ તક છે, જો તેઓ ભેગા મળે તો. જો તેઓ ધર્મના રાજકારણમાં ન ઊતરે અને ચોખ્ખી છબી ધરાવતા મહેનતુ નેતાઓને આગળ લાવે છે તો સત્તામાં પાછાં ફરતાં તેમને વાર નહીં લાગે. વર્તમાન સરકાર પણ ઇચ્છે તો ભ્રષ્ટાચારીઓને કડકમાં કડક સજા આપીને પોતાના ડાઘને ધોઈ શકે છે. ભ્રષ્ટાચારને જડમૂળમાંથી નાબૂદ કરવાની આ શ્રેષ્ઠ તક છે.
ચેતન ભગત, લેખક અંગ્રેજીના પ્રખ્યાત યુવાન નવલકથાકાર છે.