એક અનંત દેશના જીવનમાં ત્રેસઠ કે ચોંસઠ વર્ષ થોડી પળો જેવાં હોય છે, પણ અન્યાય, અત્યાચાર, અસમાનતા અને અસંતોષ ઝીલનારા અસંખ્ય લોકો માટે આ વર્ષો સદીઓ જેવાં વીત્યાં છે. એક જ સમયખંડે એક જ દેશના જુદાજુદા લોકો ઉપર અલગ-અલગ છાપ છોડી છે. ૧૪ આ‹ગસ્ટ, ૧૯૪૭ની અડધી રાતે પંડિત જવાહરલાલ નેહરુએ સંસદમાં વકતવ્ય આપ્યું હતું કે, ‘જ્યારે દુનિયા ઊંઘતી હશે ત્યારે ભારત જાગશે. સ્વતંત્રતા અને જીવનની સવાર થશે. ઈતિહાસમાં ક્યારેક એવી ક્ષણ આવે છે, જ્યારે આપણે પુરાતનમાંથી નીકળીને નવા યુગમાં પ્રવેશ કરીએ છીએ... સદીઓથી શોષિત દેશનો આત્મા જાગે છે અને આ પ્રસંગે આપણે શપથ લઈએ છીએ જનતા અને માનવતાની સેવા કરવાના.’
નેહરુના આદર્શ અને આજના વાસ્તવિક ભારત વચ્ચે સદીઓનું અંતર છે. દેશની અંદર અનેક દેશ બની ગયા છે અને ઇશાનના પ્રદેશોમાં ઉગ્રવાદીઓ પોતાની સમાંતર સરકાર ચલાવે છે. કાશ્મીરમાં વ્યવસ્થાતંત્ર સંપૂર્ણ ઠપ થઈ ગયું છે. સંસદમાં સવાલ પૂછવાના પૈસા માગવામાં આવે છે. સંસદસભ્યોને જે ભાવમાં ભોજન મળે છે તે ભાવમાં સામાન્ય માણસને કાંકરા-પથ્થર પણ મળી ન શકે. એ મહાન ભાષણમાં નેહરુજીએ કહ્યું હતું કે, સ્વતંત્રતા અને શક્તિની સાથે જવાબદારીઓ આવે છે અને આ સંસદમાં જનતા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓએ જવાબદારી વહન કરવાની છે. સ્વતંત્રતા દિવસના પાવન પ્રસંગે ચૂંટાયેલો દરેક સંસદસભ્ય પોતાના હૃદય પર હાથ મૂકીને જાતે જ પોતાના આચરણની કસોટી કરે.
જો તે પ્રામાણિકતાથી આત્મનિરીક્ષણ કરશે તો સંસદભવનની કેન્ટીનમાં મળતું સસ્તું અને પૌષ્ટિક ભોજન તેના ગળા નીચે નહીં ઉતરી શકે. જનતાની સગવડો ઘટે છે અને સંસદસભ્યોનાં વેતન અને સગવડો વધતાં રહે છે તથા મહાન સંસદમાં એક તમાશો ચાલતો રહે છે. દેશના સૌથી મોટા જલસાઘરમાં એક ફારસ ભજવાઈ રહ્યું છે અને સંસદભવનમાં મહાન નેતાઓની આદમ કદ તસવીરો પરના શરમના ભાવ તરફ જોયું ન જોયું કરવામાં આવે છે. આઝાદ ભારતે નૈતિકતા અને આદર્શ જીવનનાં મૂલ્યો ખોઈ નાખ્યાં છે, આપણી તમામ સિદ્ધિઓમાં એક ચપટી નૈતિકતાના અભાવને કારણે તે જીવનને સાર્થક બનાવનારો આનંદ તેમાં નથી.
ઘણીવાર એમ લાગે છે કે મહાત્મા ગાંધીનો પ્રભાવ કાલખંડ ભારતનું એક સ્વપ્ન હતું, આપણી હકીકત તો આપણું ભ્રષ્ટ આચરણ જ છે. આવી ઘોર અનૈતિકતા માટે દરેક ભારતીય જવાબદાર છે. આદર્શ વિનાની સફળતા અને અનૈતિકતાથી પ્રાપ્ત સિદ્ધિઓનું અસમાન વિતરણ પણ કંઈક એવું થયું છે કે આંધળો રેવડી વહેંચે ત્યારે ગણી ગણીને આપે. નેહરુજીએ કહ્યું હતું કે, ભારત પૂર્વમાં ઊગેલો નવો તારો છે, જે માત્ર એશિયાને જ નહીં પણ આખી દુનિયાને માર્ગ ચીંધશે. આશાનો તારો જનતાનો વિશ્વાસ નહીં તોડે એવી આશા તેમણે વ્યક્ત કરી હતી. આજે એશિયાના અનેક દેશો સાથે આપણા સંબંધો ખરાબ છે અને જનતાની સાથે વિશ્વાસઘાત થયો છે.