વિશ્વ સાથે તાલમેલ મિલાવે એ ખરું શિક્ષણ
૨-જી સ્પેકટ્રમ કૌભાંડની ફાળવણી યોગ્ય રીતે થઈ હોત કે કોમનવેલ્થ આયોજન સમિતિએ આટલો ધુમાડો ન કર્યો હોત તો આપણે વધુ શાળાઓ બનાવી શક્યા હોત.
શિક્ષણ ઉપયોગી લાગશે તો તેની પાછળ લોકો પણ ખર્ચ કરશે. આધુનિક વિશ્વની જરૂર મુજબ અભ્યાસક્રમોમાં મૂળભૂત ફેરફારો કરવા પડશે. શહેરો કરતાં પણ ગ્રામીણ શાળાઓમાં વધુ નેટ જોડાણની જરૂર છે.
માનવ સંસાધન મંત્રાલયના તાજેતરના આંકડા દર્શાવે છે કે પ્રાથમિક શાળાઓમાં દાખલ થનારાં બાળકોની સંખ્યામાં દેશભરમાં ઘટાડો થયો છે. આપણા ભણેલા વડાપ્રધાન છેલ્લા કેટલાક સમયથી શૈક્ષણિક સ્થિતિને બદલે કૌભાંડોને છાવરવામાં વધુ વ્યસ્ત જણાય છે. ટોચની નેતાગીરી શિક્ષણની સ્થિતિ પ્રત્યે વધુ બેદરકાર છે એવું લાગતું નથી, પરંતુ આ દિશામાં આપણે સૌ વિચારતા થઈશું તો નેતાઓએ પણ વિચારવા મજબૂર થવું પડશે.
શાળામાં દાખલ થનારાં બાળકોની સંખ્યા ઘટવા પાછળનાં પાંચ મુખ્ય કારણો છે. પહેલું કારણ તો એ છે કે આપણી શાળાઓની હાલત દયનીય છે. ગામડાંની શાળાઓ તેનો નમૂનો છે. વર્ગખંડ અને ફર્નિચરથી માંડીને શિક્ષકો સુધીના તમામની ગુણવત્તા ઉતરતી કક્ષાની છે. પોતાનાં બાળકોને શાળામાં મોકલવાનો ગ્રામીણોનો અધિકાર નથી ? આ માટે એવું કહેવાય છે કે ગ્રામીણ શાળાઓ દાન-સખાવત પર નભતી હોઈ આવો આગ્રહ ન રાખવો જોઈએ. શાળાઓની પરંપરાગત સ્થિતિમાં નવેસરથી સુધારા ન કરવા જોઈએ ? શિક્ષણ ભલે પ્રાથમિક સ્તરનું હોય પણ ગુણવત્તા તો ઊંચી હોવી જોઈએ. ખરાબ ગુણવત્તાવાળું શિક્ષણ વાસ્તવમાં શિક્ષણ કહેવાય નહીં.
બીજી બાબત એ છે કે આપણી શાળાઓનો અભ્યાસક્રમ પણ હજુ જૂનો-પુરાણો છે. છેલ્લાં ત્રણ વર્ષમાં વ્યવસાયી વિશ્વ કેટલું બદલાઈ ગયું છે ? તેની સરખામણીએ આપણા અભ્યાસક્રમોમાં કેટલો ફેરફાર થયો છે ? અભ્યાસક્રમો નક્કી કરનારાઓ કોણ છે ? ઔદ્યોગિક અને સર્વિસ ક્ષેત્રની જરૂરિયાતો મુજબ અભ્યાસક્રમમાં વખતોવખત ફેરફાર કરે છે ? ગરીબો પોતાનાં બાળકોને શાળામાં ભણવા એટલા માટે મોકલે છે કે નાણાં કમાવાનું હુન્નર તેઓ ત્યાં શીખે. ભૂખ્યા લોકો ડિસ્કવરી ચેનલ જોતાં નથી.
સર્વેક્ષણો દર્શાવે છે કે ભારતમાં કોઈ પણ વ્યક્તિ પોતાના અંગ્રેજીના જ્ઞાનને લીધે નાણાં કમાવાની ક્ષમતા ૪૦૦ ટકા સુધી વધારી શકે છે. ગરીબોનાં બાળકોને આપણે અંગ્રેજી કેમ શીખવતા નથી? ત્રીજી વાત મોંઘવારીની છે. ઓછી આવકવાળા વર્ગના લોકોનું જીવવું હરામ થઈ ગયું છે. શિક્ષણના ફાયદા સ્પષ્ટ નથી એ સ્થિતિમાં આ વર્ગના લોકો પોતાનાં બાળકોને ઊંચી કક્ષાની શાળામાં શા માટે ભણવા મોકલે ? પોતાના કામમાં બાળકોની મદદ લેવાનું ઇચ્છે નહીં ?
ચોથી વાત એ છે કે શિક્ષણ વ્યવસ્થાને વધુ સારી-સુદ્રઢ બનાવવા માટે આપણી પાસે નાણાં નથી. નવી શાળાઓ બાંધવાના કે હાલની શાળાઓની મરામત કરવાના પૈસા નથી. જો ર-જી સ્પેકટ્રમની ફાળવણી યોગ્ય રીતે થઈ હોત કે કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરનારી સમિતિએ આટલાં નાણાંનો ધુમાડો ન કર્યો હોત તો તેમાંથી ઘણી શાળાઓ ઊભી કરી શકાઈ હોત.
પાંચમી વાત નિરક્ષરતાને લીધે રાજકારણીઓને પરોક્ષ રીતે થતા ફાયદાની છે. વોટબેન્કનું રાજકારણ ચલાવવા અને લહેરથી ગોટાળા કરવામાં નિરક્ષરો બહુ ઉપયોગી થઈ પડતા હોય છે. ભારતના લોકો સુશિક્ષિત હોત તો આટલા બધા ગોટાળા થવા છતાં સરકાર ટકી શકી હોત ? આપણે સતર્ક હોત તો આ બધી ગરબડો ચાલુ રહી શકી હોત ખરી ? રાજકારણમાં તો કાયમ ફાયદાની દ્રષ્ટિ જ જોવાય છે. પ્રતિદિન આ હાલત વધુ વિકટ થતી જાય છે.
આજે લાખ્ખો બાળકોને યોગ્ય શિક્ષણ મળતું નથી તો આવતીકાલે એમને યોગ્ય કામ કેવી રીતે મળશે ? આજનું શિક્ષણનું સંકટ આગામી વર્ષોમાં રોજગારનું સંકટ બની નહીં જાયને ! આપણાં બાળકો ગરીબ અને બેકાર રહે કે નોકરો અને લહિયાઓની જેમ કામ કરતા રહે એવું આપણે ઇચ્છીશું ખરા ? આ સ્થિતિથી બચવા માટે પ્રાથમિક શિક્ષણનું સ્વરૂપ વ્યાપક અને દૂરંદેશી હોવું જરૂરી છે. શિક્ષણ માટે મોટા પાયે આધુનિક ટેકનીક અને યોજનાઓ અપનાવવી પડશે.
શિક્ષણ વાસ્તવમાં ઉપયોગી બનતું લાગશે તો તેની પાછળ લોકો પણ ખર્ચ કરતા થશે. આધુનિક વિશ્વની જરૂરિયાત મુજબ અભ્યાસક્રમોમાં મૂળભૂત ફેરફારો કરવા પડશે. શહેરો કરતાં પણ ગ્રામીણ શાળાઓમાં વધુ નેટ કનેક્ટિવિટીની જરૂર છે. નેતાઓ પાસે આપણે આવી બાબતોનો આગ્રહ રાખવો જોઈએ. નેતાઓને પણ કહી દે કે તમારે પણ હવે બહુ હોમવર્ક કરવાની જરૂર છે એવા કડક શિક્ષક તરીકેની ભૂમિકા આપણે ભજવવી પડશે.
ચેતન ભગત, લેખક અંગ્રેજીના જાણીતા યુવાન નવલકથાકાર છે.
letter2editor@bhaskarnet.com