જો નોર્વેના માપદંડ લાગુ કરી દેવામાં આવે તો ભારતનાં મોટા ભાગનાં માતા-પિતા પોતાનાં બાળકોની ઉપેક્ષાના દોષિત ઠરે અને અહીંનાં બધાં જ બાળકોનું પાલન-પોષણ સરકારી બાળગૃહોમાં થવા લાગે. એ વાત ચોક્કસપણે કહી શકાય કે નોર્વેના બાળ કલ્યાણ સેવાના અધિકારીઓએ અનુરૂપ અને સાગરિક ભટ્ટાચાર્યના બાળકોના મામલે વિદેશી સંસ્કૃતિ પ્રત્યે જરા પણ લાગણી દેખાડી ન હતી. ત્રણ વર્ષના છોકરા અને એક વર્ષ કરતાં પણ નાની ઉંમરની છોકરીને એમ કહીને ભટ્ટાચાર્ય દંપતીથી અલગ કરી દેવાયાં કે તેમની ઉચિત સારસંભાળ કરવામાં આવતી ન હતી.
અહીંના અધિકારીઓએ એ વાત સમજવાનો પ્રયાસ પણ ન કર્યો કે ભારતમાં બાળકોનો ઉછેર કેવી રીતે કરાય છે. બાદમાં તેમણે એવી દલીલ કરી કે બાળકોની માતાની માનસિક સ્થિતિ સારી નથી. ભારતીય મીડિયામાં જો આ સમાચાર બાદ હોબાળો ન મચતો તો બંને બાળકો એ પોષક પરિવારમાં જ રહેતાં જ્યાં તેમને મોકલી દેવાયાં હતાં. નોર્વે ખાતેના ભારતીય દૂતાવાસે પણ બેજવાદારી દાખવી છે. મીડિયામાં મુદ્દો ઉછળ્યા બાદ જ્યારે ભારત સરકારની ઊંઘ ઊડી ત્યારે નોર્વેના અધિકારીઓ પર બાળકોને તેમનાં પરિવારને સોંપવા પર દબાણ બન્યું હતું.
આમ છતાં બાળકોને તેમનાં માતા-પિતાને સોંપવાને બદલે મામાને સોંપવામાં આવ્યાં. એટલે કે હજુ પણ આંશિક ન્યાય જ થયો છે. આ ઘટનાએ બાળઉછેરની વિવિધ સંસ્કૃતિઓમાં રહેલા અંતરને ઉઘાડું પાડ્યું છે. સ્કેન્ડિનેવિયાઈ દેશોમાં બાળકો-મહિલાઓની સુરક્ષા-ગરિમા અંગે અલગ માપદંડ છે, પરંતુ એ જ પદ્ધતિ શ્રેષ્ઠ છે એવો દાવો કરવા માટે તેમની પાસે કોઈ વિવેકપૂર્ણ આધાર નથી.
જોકે વિદેશોમાં રહેતા ભારતીયોએ પણ ત્યાંની રીત-ભાતથી માહિતગાર રહેવું જોઈએ, જેથી કરીને એવી મુશ્કેલીમાં મુકાવાથી બચી શકાય જેમાં ભટ્ટાચાર્ય દંપતી મુકાયું છે. જીવનશૈલી કોઈના ઉપર લાગુ કરી શકાય નહીં એ વાત પણ એટલી જ જરૂરી છે. આ બાબતે પોતાની ભૂમિકા બાબતે ભારત સરકારે જાગૃત રહેવું જોઈએ.