મહાન ગણિતશાસ્ત્રી રામાનુજનની ૧૨૫મી જયંતી દેશમાં ગણિતના નીચે જઈ રહેલા સ્તર પર ચિંતા વ્યક્ત કરવાનો અવસર બની છે, જે અફસોસની વાત છે. અત્યંત ગરીબીમાં જીવતા અને યુનિવર્સિટીનું શિક્ષણ મેળવ્યા વગર રામાનુજને ગણિતમાં સંશોધનના નવા વિક્રમો બનાવ્યા હતા. તેમની પરંપરા આગળ વધી નથી એ વાત પણ એટલી જ સાચી છે. વડાપ્રધાન મનમોહનસિંહે આ બાબતે ધ્યાન દોર્યું છે કે, આજે વિદ્યાર્થીઓ દેશમાં ગણિતને કારકિર્દીનું એક શ્રેષ્ઠ માધ્યમ માનતા નથી અને દેશમાં આ વિષયના સારા શિક્ષકોની મોટી અછત છે.
હકીકત એ છે કે ગણિતને સમગ્ર વિજ્ઞાનનો આધાર માનવામાં આવે છે. ભારત વિજ્ઞાનમાં શોધ અને મૌલિક વિકાસના ક્ષેત્રોમાં ઘણું જ પાછળ છે. આપણું શિક્ષણ, ખાસ કરીને શિક્ષણ પદ્ધતિ, વિદ્યાર્થીઓને કંઈક નવું કરવા અને વિષયને આત્મસાત કરવા માટે પ્રેરણા આપતી નથી. જયંતી સમારોહમાં કપિલ સિબ્બલે જણાવ્યું છે કે, પ્રાથમિક શિક્ષણમાં હવે પરીક્ષા પદ્ધતિને નાબૂદ કરવામાં આવી રહી છે અને વિદ્યાર્થીઓના સતત મૂલ્યાંકનની પદ્ધતિ અપનાવવામાં આવી રહી છે.
શિક્ષણના અધિકારના કાયદામાં આ જોગવાઈ કરેલી જ છે, પરંતુ સમાજમાં મોટો પગાર મળે એવી કારકિર્દી બનાવવાની મોટી હોડ લાગેલી છે. સારા શિક્ષકોની જે અછત છે તેને આ પદ્ધતિ દૂર કરી શકશે કે નહીં એ સૌથી મોટો સવાલ છે. સારી વાત એ છે કે રામાનુજનની ૧૨૫મી વર્ષગાંઠે શિક્ષણ, જ્ઞાન તથા વિજ્ઞાન સાથે જોડાયેલા આ પાયાના મુદ્દાઓ પર વિચાર કરવાની તક આપી છે.
તેના દ્વારા આ મહાન પ્રતિભા, તેના સ્વાધ્યાય, આત્મપ્રેરણા તથા તેના થકી મેળવેલી ઉપલબ્ધિઓના અરીસામાં આપણી વર્તમાન પરિસ્થિતિ પર ધ્યાન આપવાની તક આપી છે. જો સ્થિતિમાં કોઈ નક્કર પરિવર્તન નહીં આવે તો આ તમામ બાબતો અધૂરી રહી જશે. સામે પક્ષે જો તેમની પરંપરાને આગળ ધપાવવાનો જો આપણામાં ખરેખર ઉત્સાહ પેદા થયો છે તો તે રામાનુજનને આપણી વાસ્તવિક શ્રદ્ધાંજલી હશે.