સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર નફરત ફેલાવતી માહિતીઓના પ્રસાર બાબતે સરકારની ચિંતા સમજી શકાય એવી છે. ગૂગલ, ફેસબુક, યાહુ, યુ-ટ્યુબ જેવી વેબસાઈટો પર રહેલી અનેક મહિતી કેટલાક લોકોને વિવાદાસ્પદ લાગી શકે છે. સરકારની દલીલ છે કે આવી ઘણી બધી માહિતી વિદેશોમાંથી પોસ્ટ કરવામાં આવતી હોય છે અને ઇન્ટરનેટ કંપનીઓ પોસ્ટ કરનારી વ્યક્તિ અંગે માહિતી આપતી નથી, જેને કારણે ભારતીય કાયદો તેમના સુધી પહોંચી શકતો નથી.
જોકે આ સમસ્યાના સમાધાન માટે માહિતી ટેક્નોલોજી મંત્રી કપિલ સિબ્બલે જે માર્ગ પસંદ કર્યો છે તે પણ એટલો જ વિવાદાસ્પદ છે. હકીકતમાં વેબ મીડિયા માટે દિશા-નિર્દેશ તૈયાર કરવાના સરકારના પ્રયાસનો સમાજમાં વ્યાપક વિરોધ થઈ રહ્યો છે તેનું એક કારણ સરકાર પૂર્વ તૈયારી વગર જ તેમાં કૂદી પડી છે અને બીજું તેના માટે પસંદ કરવામાં આવેલો સમય છે.
ટીવી અને પ્રિન્ટ મીડિયા પર નિયંત્રણ લાદવા માટે સરકાર જે પગલાં લેવા માગી રહી છે તેના પર કેટલીક આશંકાઓ પહેલાથી જ છે ત્યારે વેબ મીડિયા માટેની નવી પહેલ આવી જ શંકાઓને વધુ પ્રબળ બનાવે છે. મૂળ વાત એટલી જ છે કે સરકાર કઈ માહિતીને ‘વાંધાજનક’ માને છે તે અંગે રાષ્ટ્રીય સહમતિ બનાવવાનો કોઈ પ્રયાસ થયો નથી અને તેના માટે કોઈ કાયદો લાવવા અંગે પણ વિચારાયું નથી. આવા સંજોગમાં દિશા-નિર્દેશની મરજી પ્રમાણેની વ્યાખ્યાની સંભાવનાથી ઇનકાર કરી શકાય નહીં. આ બાબત સેન્સરશિપનું સ્વરૂપ પણ લઈ શકે છે.
ખરેખર તો એ સમજવાની જરૂર છે કે ઇન્ટરનેટ એક નવું માધ્યમ છે અને તેના માટે જરૂરી શિસ્ત પણ અત્યારે વિકાસના દોરમાં છે. આથી તેનો દુરુપયોગ થવો શક્ય છે. ઉતાવળા થવાને બદલે એક પરિપકવ સમાજની જેમ આપણે તેના કાયદાનો સ્વાભાવિક રીતે વિકાસ થવાનો સમય આપવો જોઈએ. ઉતાવળે નિયંત્રણ લગાવી દેવાથી વિચાર્યા ન હોય એવાં પરિણામ પણ મળી શકે છે. આ પ્રયાસ આમ પણ આ ટેક્નોલોજીની વ્યાપકતાને જોતાં અસરકારક નહીં નીવડે.