મલ્ટિબ્રાન્ડ રિટેલમાં ૫૧ ટકા વિદેશી રોકાણને મંજુરી આપીને યુપીએ સરકારે કોર્પોરેટ જગતની એ ફરિયાદને દૂર કરવાનો પ્રયાસ કર્યો છે કે નીતિ સંબંધિત નિર્ણયો લેવાની તેની ક્ષમતાને લકવો મારી ગયો છે. રિટેલમાં વિદેશી રોકાણ એક સંવેદનશીલ મુદ્દો છે, કેમકે તેની સીધી અસર વચેટિયા વેપારીઓ, કિરાણા સ્ટોર્સ અને કૃષિ સહકારી સમિતિઓના વ્યવસાય પર પડશે. સામે પક્ષે આ નિર્ણયથી દેશમાં મોટા પ્રમાણમાં સીધા વિદેશી રોકાણનો માર્ગ ખૂલશે. દુનિયાના જાણીતા સુપરમાર્કેટ ભારતીય શહેરોમાં પણ ચમકતા જોવા મળશે અને તેઓ ખેડૂતો પાસેથી સીધી જ ખરીદી કરતાં હોવાને કારણે તેનો કેટલોક ફાયદો ખેડૂતોને પણ મળશે.
ભારતનું રિટેલ બજાર ૪૫૦ અબજ ડોલરનું છે. તેની આ તાકાને કારણે કોઈ પણ મોટી વિદેશી કંપની માટે ભારત રોકાણનું આકર્ષક સ્થાન છે. આજે જ્યારે અમેરિકા અને યુરોપમાં આર્થિક સંકટ ઘેરું બનવાને કારણે માગમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે ત્યારે વોલમાર્ટ, ટેસ્કો અને કેયરેફોર જેવી કંપનીઓ ભારતીય બજારમાં ઝંપલાવવા આતુર હશે. આ ક્ષેત્રમાં અગાઉથી જ પ્રવેશી ચૂકેલી ભારતીય કંપનીઓને પણ આશા છે કે તેમની તાકાત સાથે જોડાઈને તેઓ પોતાના વ્યવસાયનો વધુ ફેલાવો કરી શકશે.
ઉચ્ચ અને મધ્યમ વર્ગોને તેનાથી આધુનિક સુવિધાઓ વચ્ચે ગ્લોબલ બ્રાન્ડની ખરીદી કરવાની નવી તક મળશે. પરંતુ લાખ રૂપિયાનો સવાલ એ છે કે ગ્રામ્ય અને કબીલા ક્ષેત્રોમાં છુટક વેપાર સાથે જોડાયેલા જે લાખો લોકોના ધંધાને આનાથી નુકસાન થશે. તેમને સુરક્ષા આપવા માટે સરકારે શું કોઈ યોજના બનાવી છે ખરી? વિરોધ પક્ષ, તૃણમુલ કોંગ્રેસ અને ડીએમકે જેવા સાથીપક્ષોએ અને કેટલાક કોંગ્રેસી નેતાઓના વિરોધ અને વાંધાઓને ફગાવી દઈને સરકારે આ નિર્ણય સાથે સુધારાની દિશામાં આગળ વધવાનો ભલે સંકેત આપ્યો હોય, પરંતુ તેનાથી જો સામાન્ય માણસની મુશ્કેલીઓમાં વધારો થશે તો આ નિર્ણય સત્તાધારી પક્ષ માટે રાજકીય રીતે જોખમી સાબિત થઈ શકે છે.