ભારતમાં શિક્ષણનો પ્રસાર થઈ રહ્યો છે પણ ગુણવત્તામાં ઘટાડો થઈ રહ્યો છે. ‘પ્રથમ’ નામની એક સંસ્થાએ તૈયાર કરેલા રિપોર્ટનો સાર આ જ આવે છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં આવેલા ચાર રિપોટેં ભારતની શિક્ષણ વ્યવસ્થાની ચિંતાજનક તસવીર રજુ કરી છે. ‘પ્રથમ’નો રિપોર્ટ એ સત્ય પણ જાહેર કરે છે કે દેશમાં પ્રાથમિક શિક્ષણ ઝડપથી સરકારી ક્ષેત્રમાંથી ખાનગી ક્ષેત્ર તરફ વધી રહ્યું છે. ૨૦૦૬માં ૧૮.૭ % વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓમાં પ્રવેશ લીધો હતો.
૨૦૧૧માં આ સંખ્યા ૨૫.૬% થઈ ગઈ છે. તે સિવાય સરકારી શાળાઓમાં ભણતા ચોથા ભાગના વિદ્યાર્થીઓ ખાનગી ટ્યૂશનોમાં પણ જાય છે. એટલે કે વિદ્યાર્થીઓની અડધી સંખ્યા આ ક્ષેત્ર પર આધારિત છે. શિક્ષણની ગુણવત્તામાં ઘટાડો થવાનું કારણ શું છે? શું તેનું એક કારણ પાઠ્યપુસ્તકોની ગુણવત્તામાં શોધી શકાય છે? ગયા વર્ષે ઓક્ટોબરમાં ‘પ્રથમે’ પાઠ્યપુસ્તકો વિશે પોતાનો અહેવાલ રજુ કર્યો હતો જેમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આ પુસ્તકો બાળકોની યથાર્થતાથી ખૂબ જ દૂર છે અને તે કોઈ કાલ્પનિક બાળકો માટે તૈયાર કર્યા હોય તેવા છે.
થોડા સમય પહેલાં જ ‘આર્થિક સહયોગ અને વિકાસ સંગઠન’ના સર્વેનો અહેવાલ આવ્યો તેમાં જાણવા મળ્યું કે ગુણવત્તાની બાબતમાં ભારતીય વિદ્યાર્થીઓ ૭૪ દેશોની યાદીમાં માત્ર કિર્ગઝિસ્તાનથી આગળ છે. આ રીતે વિપ્રો કંપની દ્વારા મોટાં શહેરોની જાણીતી શાળાઓ પર કરવામાં આવેલા સર્વેમાં જાણવા મળ્યું કે સાધન-સંપન્ન આ શાળાઓ પણ ગુણવત્તાની બાબતમાં પાછળ છે.
ત્યાં પણ જ્ઞાનને મહત્વ આપવાની જગ્યાએ એ જ જુની પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવે છે. આ તમામ રિપોર્ટ એક બાબત સ્પષ્ટ કરે છે કે દેશમાં શિક્ષણની પદ્ધતિ બદલવાની જરૂર છે. શિક્ષણના અધિકારના કાયદાએ નવી આશા જન્માવી છે. તેનાથી શિક્ષણના ફેલાવામાં તો મદદ મળી છે પણ તેની ગુણવત્તામાં કોઈ સુધારો થયો નથી. આ તરફ ધ્યાન આપવામાં આવે તે જરૂરી છે.