કાળાં નાણાંને મુદ્દે શ્વેતપત્ર લાવવાનું વચન વધુ વિશ્વસનીય ત્યારે બનત જો સરકાર સાથે-સાથે એમ પણ જણાવી દેતી કે તે દેશ સામે ક્યારે તમામ વિગતો જાહેર કરશે. લોકસભામાં સભા મોકૂફી પ્રસ્તાવ દરમિયાન વિરોધ પક્ષ દ્વારા જે સવાલ પૂછવામાં આવ્યા એ પ્રજાના મગજમાં પણ ક્યારના ચાલી રહ્યા છે. લોકો જાણવા માગે છે કે દેશનું કેટલું નાણું વિદેશોમાં જમા થયેલું છે, આ નાણું ત્યાં કોણ લઈ ગયું, કાળું નાણું કેવી રીતે પેદા થાય છે અને આ બધી બાબતો પર નિયંત્રણ માટે સરકાર ક્યાં પગલાં લેવા જઈ રહી છે? લોકસભામાં નાણામંત્રીએ આપેલા નિવેદનમાં આ બધામાંથી કોઈ પણ સવાલનો સંતોષજનક જવાબ મળતો નથી. તેનાથી વિપરીત તેમની પાસેથી એ સાંભળીને નિરાશા થઈ કે સરકાર પાસે કાળાં નાણાંની ઉત્પત્તિ અંગે કોઈ નક્કર માહિતી નથી.
હવે એ સવાલ પેદા થવો વ્યાજબી છે કે જો સરકાર પાસે પૂરી માહિતી જ નથી તો આખરે શ્વેતપત્રમાં તે દેશને શું બતાવશે? નાણામંત્રીએ એ વાતનું રટણ ચાલુ રાખ્યું છે કે કાળાં નાણાંને બહાર લાવવા માટે સરકારના પ્રયાસ જારી છે. આ દિશામાં થોડીઘણી સફળતા મળી હોવાનો દાવો પણ કરાયો છે પરંતુ આ પ્રયાસ અને કથિત પ્રગતિ અપૂરતી છે. સરકારે એ બાબતનું ધ્યાન રાખવું જોઈએ કે જો તે નક્કર માહિતી નહીં આપે તો આ બાબતે ખોટાં અનુમાનો લગાવાશે, સરકારના ઇરાદા પર શંકા વધુ ઘેરી બનશે અને સત્તા પક્ષની છબી સતત ખરાબ થતી રહેશે.
સુપ્રીમ કોર્ટ અગાઉથી જ આ મુદ્દે સરકારની ગંભીરતા બાબતે પ્રશ્નાર્થ ઊભો કરી ચૂકી છે? આમ છતાં પણ ઉલ્લેખનીય છે કે આ મુદ્દો ફકત વિદેશોમાં જમા કરાયેલા કાળાં નાણાંનો નથી પરંતુ એ પણ છે કે આજે પણ દેશમાં કાળું નાણું કેવી રીતે અને કેમ પેદા થઈ રહ્યું છે? શું સરકારે તેને રોકવા માટે કોઈ અસરકારક પગલાં લીધાં છે ખરાં? જો પ્રસ્તાવિત શ્વેતપત્ર પર આ બધી બાબતો સ્પષ્ટ કરી શકશે નહીં તો તેનાથી સરકાર પોતે પણ દૂધે ધોયેલી છે એવી આશા રાખી શકશે નહીં.