ચક્રવર્તી રાજા ભરતને એક દિવસ એવી ઇચ્છા થઈ કે વૃષભાંચલ પર્વતની ટોચ પર ચઢીને ત્યાં તેમનું નામ કોતરીને લખે. તેઓ એવું માનતા હતા કે વૃષભાંચલ પર્વત પર પહોંચનારા તેઓ એકમાત્ર ચક્રવર્તી રાજા હશે. પર્વતની ટોચ પર તેમનું પ્રથમ નામ હશે જે તેમની અમરતાનું પ્રતીક બનશે. એક દિવસ શુભ મુહૂર્ત જોઈને રાજા ભરતે પર્વત ચઢવાનું ચાલુ કર્યું.
તમામ વિઘ્નો પાર કરતેઓ ટોચ પર પહોંચી ગયા. ત્યાં જઈને પોતાનું નામ કોતરવા તેમણે ચારેય દિશાઓમાં ઉપર-નીચે યોગ્ય સ્થાન શોધ્યું, પરંતુ મળ્યું નહીં અને તેઓ નિરાશ થઈ ગયા. સાથે જ તેઓ આશ્ચર્યચકિત પણ હતા કેમ કે ત્યાં એટલાં બધાં નામ કોતરેલાં હતાં કે તેમનું એક નામ લખવા માટે પણ ક્યાંય જગ્યા ન હતી. ત્યાં કોતરવામાં આવેલાં નામોમાં એક પણ નામ તેમને એવું જોવા ન મળ્યું જે કોઈ ચક્રવર્તીનું હોય.
રાજા ભરતના અભિમાનને ધક્કો પહોંચ્યો. પછી નિરાશ અને મજબૂર થઈને તેમણે ત્યાંથી એક નામ મિટાવીને તેના પર પોતાનું નામ કોતરાવી નાખ્યું. પાછા ફર્યા બાદ તેમણે પોતાના રાજગુરુને સમગ્ર ઘટનાક્રમ જણાવ્યો. તેઓ બોલ્યા, રાજા તમે નામ મિટાવીને નામ લખવાની પરંપરા તો ચાલુ કરી દીધી, પરંતુ કોણ જાણે છે કે ત્યાં તમારું નામ પણ કોઈ મિટાવી દેશે?
આ સાંભળીને રાજા ભરતને અમરત્વના વિચારની અને ચક્રવર્તી રાજા હોવાના અહંકારની નિરર્થકતા સમજાઈ ગઈ. એટલે કે અમરત્વ સદ્કાર્યોના પરિણામે મળે છે કેમ કે સદ્કાર્યો સમાજના હૃદયમાં તેવું સ્થાન મેળવે છે જે મૃત્યુ બાદ પણ મટતું નથી. આથી યશ મેળવવાની ઇચ્છાઓ છોડીને પોતાનાં કર્મો પર ધ્યાન આપવું જોઈએ.