૨૧મી સદીમાં ડિપ્રેશનનો રોગ હૃદયરોગ પછી બીજા નંબરે હશે. આ બીમારીને ઓળખો જરૂર, પણ તેને મટાડવા ટીકડીઓ ન લો.
છેલ્લી દોઢ સદી માનવ માટે નવી નવી ટેક્નોલોજી, નવાં નવાં ઉપભોગનાં સાધનો, લકઝરી લાવી અને સાથે એક નવો રોગ પણ લેતી આવી છે. તેનું નામ છે - ડિપ્રેશન, બેચેની, લાગણીનો લકવો. દેશી ભાષામાં ‘ક્યાંય ગોઠતું નથી’ એવા ઉદ્ગારો સાંભળવા મળે છે. શરૂમાં એમ મનાતું કે મોટા માણસોને જ ડિપ્રેશન થાય. સંજય ગાંધી મરી જાય ત્યારે ઇન્દિરા ગાંધી ડિપ્રેશનમાં આવી પડે. બાળાસાહેબ ઠાકરેનાં સીતા જેવાં પત્ની મીનાતાઇ ગુજરી જાય એટલે તેઓ બેચેનીમાં ગરક થઇ જાય.
પશ્વિમના લેખકો કે કલાકારોની વાત કરીએ તો કવિ વોલ્ટ વ્હિટમેન, માર્ક ટ્વેન, કવિ ટેનેસી વિલિયમ્સ અને અર્નેસ્ટ હેમિંગ્વેને ડિપ્રેશન પીડતું હતું, પણ આજે તો ઝૂંપડામાં રહેતી બાઇને પણ ડિપ્રેશન આવે છે. માથે હાથ દઇ, તેને એન્ટિડિપ્રેસન્ટ દવાનું નામ આવડતું નથી એટલે, બહુ બહુ તો બામ ચોળે છે અને સસ્તા ઇલાજ તરીકે ભાગવતકથા કે રામકથામાં જઈને બેચેની ટાળે છે.
લંડનના ‘ધ ઇન્ડિપેન્ડન્ટ’ દૈનિકના લેખક ડો. રૂકસ મેનાએ ૨૦૦૨માં લખેલું કે બ્રિટનમાં દરેક પાંચમી વ્યક્તિ ડિપ્રેશનથી પીડાય છે અને ૧૦ વર્ષમાં એન્ટિડિપ્રેસન્ટ દવાનો વકરો ૨૩૪ ટકા વઘ્યો છે. એમની ધારણા કરતાંય વાત વંઠી ગઇ છે. એ અખબારે જ ચાર વર્ષ પછી લખવું પડયું કે બ્રિટિશ વડા પ્રધાન ટોની બ્લેરનું સિંહાસન ડોલતું હતું ત્યારે તેઓ ડિપ્રેશનથી પીડાતા હતા.
હવે ૨૦૧૦માં દરેક ત્રણમાંથી એક બ્રિટિશર ડિપ્રેશનથી પીડાશે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને તો ત્યાંસુધી કહ્યું છે કે ૨૦૨૦માં મેન્ટલ હેલ્થ અને ડિપ્રેશન એ હૃદયરોગ પછીની સૌથી મોટી બીજા નંબરની સમસ્યા હશે. ‘ધ એમ્પરર્સ ન્યુ ડ્રગ્ઝ - એકસ્પ્લોડિંગ ધ એન્ટિડિપ્રેસન્ટ મીથ’ નામના પુસ્તકના લેખક ઇર્વિંગ કિર્શ કહે છે કે જગતભરમાં એન્ટિડિપ્રેસન્ટ દવાનો ઉધોગ ૧૯ અબજ ડોલરનો છે, તે ૨૦૨૦માં વધુ વકરશે. એટલે કે આવતાં ૧૦ વર્ષમાં રૂપિયા ૧ લાખ કરોડની બેચેની ટાળવાની દવાઓ ગરીબ કે તવંગર દેશો વાપરશે. મોટો પ્રશ્ન એ છે કે શું એન્ટીડિપ્રેસન્ટ દવા માનવની બેચેની ટાળશે? ઉપર લખેલા પુસ્તકમાં એક સૂત્ર લખ્યું છે: Brahms is the best anti-depressant.
આનો શું અર્થ છે? ૧૯મી સદીના મઘ્યમાં જર્મનીમાં જોહાનિસ બ્રાહ્મ્સ નામનો મહાન પિયાનોવાદક થઇ ગયો. તે પિયાનો ઉપર દિલને ટાઢક વળે તેવી તરજો વગાડતો. બેચેન બનો ત્યારે મનને શાંત કરતું સંગીત સાંભળો તેમ કહેતો. મુંબઇ નજીકના ગણેશપુરી આશ્રમવાળા મુકતાનંદસ્વામીએ વિદેશી ભકતોને રાગ દરબારી, રાગ શિવભૈરવી અને રાગ જીવનપુરીમાં ‘ઓમ્ નમ: શિવાય’ના મંત્રવાળી અઢળક કેસેટો આપેલી. આજે પણ ગુરુમયી મા અને સ્વામી ચિદ્વિલાસાનંદની શાસ્ત્રીય રાગે ગાયેલી ‘ઓમ નમ: શિવાય’ની કેસેટો મનને શાંતિ આપે છે. હું લેખ લખતી વખતે ઓમ નમ: શિવાયની કેસેટ વગાડું છું. ડિપ્રેશનથી પીડાઉં તો દવાને બદલે હું આ શિવમંત્ર જ સાંભળું છું.
પરંતુ પશ્વિમના લોકોને તો હવા થકી જ એક મિનિટમાં ડિપ્રેશન ભગાડવું છે. તેનો ગેરલાભ એલોપથીની દવા બનાવતી ફાર્માસ્યુટિકલ કંપનીઓ લે છે. શિકાગોથી રોઇટર એજન્સીએ લખેલું કે એન્ટિડિપ્રેસન્ટ દવાઓ સ્ત્રી-પુરુષો અને ખાસ કરીને ટીનેજરોની (જેમને હવે ૧૦-૧૫ની ઉમરે ડિપ્રેશન આવી જાય છે) પર્સનાલિટી જ આખી બદલી નાખે છે. અમુક એન્ટિડિપ્રેસન્ટ દવા લેવાથી પર્સનાલિટી બદલાઇ જાય છે અને અંતે વધુ ડિપ્રેશન આવે છે. એન્ટિડિપ્રેસન્ટની મોટી આડઅસર એ છે કે આ દવા લેવાથી આપઘાત કરવાનું મન થઇ શકે છે. ૨-૫-૦૯ના અમેરિકાના ફેડરલ ડ્રગ ખાતાએ એલી લીલી અને ફાઇઝર કંપનીને તાકીદ કરેલી કે તેમની ડિપ્રેશન ટાળવાની દવા લેવાથી આપઘાતની વૃત્તિ વધે છે તેવી સ્પષ્ટ ચેતવણી છાપે.
ડો. ઇરર્વિંગ કિર્શ કહે છે કે એન્ટિડિપ્રેસેન્ટ દવા કંઇ જ કરતી નથી. કોઇ બેચેનીની ફરિયાદ કરે અને તમે તેને ઓછી ખાંડવાળી પીપરમેન્ટ આપો અને કહો કે આ મોંઘી દવા છે, તો એ પીપરમેન્ટને દવા માનીને ખાનારા ૮૦ ટકા લોકોને ડિપ્રેશનમાં રાહત થાય છે! આ પ્રકારની અસરને અંગ્રેજીમાં ‘પ્લેસેબો