સાંસદોના પગાર ત્રણગણા વધારવા માટેની દરખાસ્ત કેન્દ્રીય કેબિનેટે મંજુર ન કરી. આવું બહુ જવલ્લે જ બને છે. સાંસદો પક્ષાપક્ષીના ભેદ અને વેરઝેર ભૂલીને પોતાના પગાર સર્વસંમતિથી વધારી લેતા હોય છે. આ એક મુદ્દો એવો હોય છે જ્યારે બધા સાંસદો ‘એક સંપ થઈને કુલડીમાં ગોળ ભાંગી લેતા હોય છે. પણ, આ વખતે પગાર વધારવાની દરખાસ્ત મુકાઈ ત્યારથી જ તે ચર્ચાની એરણે ચડી ગઈ હતી અને, સરકાર કોમનવેલ્થ ગેમ્સના ભ્રષ્ટાચાર, મોંઘવારી વગેરે મુદ્દાઓ વચ્ચે ઘેરાયેલી હતી.
કેબિનેટમાં આ મુદ્દે ચર્ચા થઈ તેમાં પણ એવું જ કહેવામાં આવ્યું કે મોંઘવારી અને ભ્રષ્ટાચારના મુદ્દા આટલા ઊછળી રહ્યા છે ત્યારે પગારવધારો લેવાથી નુકસાન થઈ શકે. આટલું પણ કેબિનેટે વિચાર્યું તે બદલ રાષ્ટ્ર તેમનું ઋણી રહેશે. પણ, સબૂર, ખતરો ટળી નથી ગયો, વિલંબિત થયો છે. જયપાલ રેડ્ડી, વાયલાર રવિ, અંબિકા સોની જેવા સાંસદોના વિરોધને કારણે ભલે આ વખતે કેબિનેટે તેને મંજુરી ન આપી હોય, થોડા જ સમયમાં દરખાસ્ત ફરી મુકાશે તે નક્કી. કારણ કે મોટા ભાગના સાંસદો માને છે કે તેમનો પગાર બહુ જ ઓછો છે.
તેમની દલીલ એવી છે કે તેમને પગાર માત્ર સોળ હજાર રૂપિયા પ્રતિમાસ મળે છે. પ્રજાની આંખમાં ધૂળ નાખવાની આ વાત છે. સોળ હજારનો પગાર તો નીચલા દરજજાનો કલાર્ક પણ મેળવતો હોય છે. પણ, સાચી વાત એ છે કે પગાર ઉપરાંત તેમને અઢળક ભથ્થાં મળે છે. પ્રતિમાસ ૭ લાખ રૂપિયાથી વધુ ખર્ચ દેશના એક સાંસદના પગાર, ભથ્થાં અને અન્ય સુવિધાઓ પાછળ ખર્ચવામાં આવે છે.
ગરીબ બિચારાં સાંસદોની દલીલ એવી હતી કે કેન્દ્રીય સચિવનો પગાર ૮૦,૦૦૦ રૂપિયા હોય છે એટલે તેમને ૮૦,૦૦૦ કરતાં એક રૂપિયો વધુ પગાર મળવો જોઈએ. કારણ કે પ્રોટોકોલ મુજબ તેઓ સચિવ કરતાં એક સ્ટેપ વધુ છે. ખરેખર તો સાંસદોની પાયરી જ સચિવ કરતાં નીચી કરી દેવી જોઈએ, જેથી આવી બાલીશ સરખામણી કરવામાં ન આવે. સચિવ સરકારી નોકર છે અને સાંસદ લોકોના પ્રતિનિધિ છે. સચિવો એવી પણ દલીલ કરી શકે કે સાંસદોએ યુપીએસસીની પરીક્ષા પાસ કરવી જોઈએ તો આપણા કેટલા સાંસદો તેમાં પાસ થઈ શકે?