શું સારું છે? ગુજરાત પાસેથી શીખો
ગુજરાત સારું કામ કરી રહ્યું હોઈ મુખ્યમંત્રી મોદીનો રાષ્ટ્રીય સ્તરની વિકાસ યોજનાઓમાં પણ સમાવેશ કરવો જોઈએ કેમ કે ગુજરાતના આ અનુભવનો ફાયદો બીજાં રાજ્યો પણ ઉઠાવી શકે.
આપણે ગુજરાતના મુખ્યમંત્રીના સમર્થક હોઈએ કે વિરોધી, પરંતુ સૌને વિકાસ જોઈએ છે, નવાં કોમી રમખાણ નથી જોઈતાં. એક-બીજાની વાત સાંભળવાથી પણ દૂર ન ભાગવું જોઈએ અને સ્વીકાર કરવો જોઈએ કે સારું અને ખરાબ બંને સાથે-સાથે ચાલે છે.
જીસીસીઆઈ (ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી)ના યુવા એકમે તાજેતરમાં એક સન્માન સમારોહમાં અમદાવાદ બોલાવ્યો હતો. અહીં મને ગુજરાતના વિવિધ ઔદ્યોગિક એકમોના જબરદસ્ત ઉત્સાહનો પરિચય થયો જેઓ યુવાનો માટે કારકિર્દી મેળા, વ્યાવસાયિક યોજનાઓ, હરીફાઈઓ, મેન્ટોરશિપ પ્રોગ્રામ અને વ્યાવસાયિક માર્ગદર્શન જેવા અનેક કાર્યક્રમો ચલાવે છે. આ કાર્યક્રમ એકદમ સાદગીભર્યો હતો. તેમાં કેટલાક વક્તાઓએ ગુજરાતના વિકાસ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. આર્થિક વિકાસના આંકડા જબરદસ્ત હતા. અહીં પાયાના સ્તરથી વિકાસ થઈ રહ્યો છે. છેલ્લાં દસ વર્ષમાં ભારતનો સરેરાશ કૃષિ દર ૨.૫ ટકા રહ્યો છે જ્યારે ગુજરાતની કૃષિવ્યવસ્થા ૯.૮ ટકાના દરે આગળ વધી છે.
આ કાર્યક્રમનો એકમાત્ર એજન્ડા હતો - વિકાસ. ઉદ્યોગપતિઓ, નેતાઓ અને આઈએએસ અધિકારીઓમાંથી કોઈએ પણ વિકાસ સિવાય બીજા એક પણ વિષય પર વધુ વાત કરી ન હતી. આ કાર્યક્રમમાં એક વ્યક્તિ એવી પણ હતી જેની હાજરી માત્રથી આયોજનનો રંગ બદલાઈ ગયો હતો. આ વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હતા.
ગુજરાતના વિકાસ પર અત્યંત જુસ્સેદાર ભાષણ આપનારા મોદીએ એક વાતનો સ્વીકાર કર્યો કે જે કોઈ વ્યક્તિ તેમના પડખે ઊભી રહે છે, તેના પર સમાજના એક વર્ગ દ્વારા હુમલા કરવામાં આવે છે અને જાત-જાતના આક્ષેપો કરવામાં આવે. તેમણે એમ પણ કહ્યું કે, તેમનાં વખાણ કરનારી વ્યક્તિ જ નહીં પરંતુ તેઓ ખુદ જે વ્યક્તિનાં વખાણ કરે તેની પણ ટીકા કરવામાં આવે છે.
મારો વારો આવતા અત્યંત તટસ્થ રહીને મારો મત પ્રસ્તુત કર્યો. મેં જણાવ્યું કે, ગુજરાત સારું કામ કરી રહ્યું છે તો મુખ્યમંત્રી મોદીનો રાષ્ટ્રીય સ્તરની વિકાસ યોજનાઓમાં પણ સમાવેશ કરવો જોઈએ કેમ કે આપણા દેશમાં ગુજરાત સિવાય બીજાં ૨૭ રાજ્યો છે, જે ગુજરાતના આ અનુભવનો ફાયદો ઉઠાવી શકે છે. મને એવું નથી લાગતું કે મેં કોઈ રાજકીય કોમેન્ટ કરી હતી, કેમ કે આ વાત સારું કામ કરતા કોઈ પણ મુખ્યમંત્રી માટે હું કહી શકું છું.
પરંતુ તેના થોડી જ મિનિટોમાં મારું ટ્વિટર પેજ જાત-ભાતની કોમેન્ટથી ભરાઈ ગયું. કેટલાક લોકોએ લખ્યું કે હું મોદીની ચાપલૂસી કરી રહ્યો છું, એક નરસંહારકને ટેકો આપ્યો છે અને કેવી રીતે તે આરએસએસના સિક્રેટ એજન્ટ બની ગયા (શું આરએસએસ એટલી સક્ષમ છે કે સિક્રેટ એજન્ટ રાખી શકે? શું તે સીઆઈએ જેવી કોઈ સંસ્થા છે?). કેટલાકે તો એવું પણ કહ્યું કે મેં મારી સંપૂર્ણ વિશ્વસનીયતા ગુમાવી દીધી છે અને તેઓ હવે મારી કોઈ વાત નહીં સાંભળે.
તેની સાથે-સાથે જ મારાં વખાણ કરતી પ્રતિક્રિયાઓનું પણ જાણે કે પૂર આવી ગયું. કોઈએ લખ્યું કે અંતે મેં મારા સમયના એક સાચા નાયકનો બચાવ કરવાનું સાહસ દેખાડ્યું છે. ધર્મનિરપેક્ષતાનો ઢોંગ કરતા નેતાઓ ક્યારેય સારા નેતાને આગળ આવવા નહીં દે અને મારે હવે ક્યારેય પણ મોદી પ્રત્યે નફરત કરતાં લોકની વાત નહીં સાંભળવી. મારું માનવું છે કે બંને પ્રકારનો કટ્ટર દ્રષ્ટિકોણ રાખવો એ ખોટી વાત છે.
હું ગોધરા પ્રકરણથી સારી રીતે પરિચિત છું. મેં આ મુદ્દે એક પુસ્તક પણ લખ્યું છે અને આ પ્રક્રિયામાં આ વિષય પર વર્ષો સુધી સંશોધન કર્યું છે. આ પ્રકારની પરિસ્થિતિમાં કોઈ પણ નિર્ણય પર પહોંચવું મુશ્કેલ છે, ખાસ કરીને એવા મુદ્દે જ્યારે આ પ્રકરણ અને બંને પક્ષો દ્વારા ભડકાવનારા કૃત્યો જોડાયેલા હોય છે. સરકાર ભલે તેમાં સંડોવાયેલી હોય પરંતુ સાચ્ચાઈ એ છે કે તેમાં સામાન્ય પ્રજા પણ મોટાપાયે ભાગીદાર હતી અને ફક્ત એક વ્યક્તિ પર આરોપ લગાવવાથી કે તેને ખલનાયક બનાવવાથી આ હીનભાવનામાંથી તમે છુટી શકતા નથી. તેનો અર્થ એ નથી કે આપણે જે સાચું છે તેની તપાસ ન કરીએ.
જોકે ગોધરા ઉપરાંત ગુજરાત, ગુજરાતીઓ અને તેમના મુખ્યમંત્રી અંગે કહેવા માટે બીજી પણ અનેક બાબતો છે. ગુજરાતી સંસ્કૃતિ એવી ખાસ ભારતીય સંસ્કૃતિઓમાંની એક છે, જે ખંતીલી છે અને આપણા દેશની આ મહત્વની જરૂરિયાત છે. આ રાજ્યનો સફળ વિકાસ મોડેલનો જો બીજી જગ્યાએ અમલ કરવામાં આવે તો સમગ્ર દેશનું ભાગ્ય બદલાઈ શકે છે. હા, અનેક સારા કામ એક બૂરાઈને ઢાંકી શકતા નથી, પરંતુ શું એક બૂરાઈનો અનેક સારાં કામોને ઢાંકવામાં ઉપયોગ કરવો જોઈએ ખરો?
આપણે ગુજરાતના મુખ્યમંત્રીના સમર્થક હોઈએ કે વિરોધી, પરંતુ આપણે બધાને વિકાસ જોઈએ છે અને હવે આપણને નવા કોમવાદી રમખાણ નથી જોઈતા. આપણે એક-બીજાની વાત સાંભળવાથી પણ દૂર ન ભાગવું જોઈએ અને એ વાતનો પણ સ્વીકાર કરવો જોઈએ કે દુનિયામાં સારું અને ખરાબ બંને સાથે-સાથે ચાલે છે.
જીવનમાં પડકાર સારા કે ખરાબમાંથી એકને પસંદ કરવાનો નથી હોતો પરંતુ આપણે બૂરાઈને હાંસિયામાં ધકેલી દઈને કેવી રીતે વધુ ને વધુ સારું પ્રાપ્ત કરી શકીએ છીએ તે હોય છે. આવો, આપણે ગુજરાત પાસેથી શીખીએ કે સારું શું છે અને સાથે-સાથે જે ખોટું થયું છે તેના માટે ન્યાયની માગણી પણ ચાલુ રાખીએ.
ચેતન ભગત,લેખક અંગ્રેજીના જાણીતા સાહિત્યકાર છે.
letter2editor@bhaskarnet.com