જગતભરમાં ઠેર ઠેર કેમિકલ પ્લાન્ટસ તેનાં ઝેર ફેલાવે છે. આજે માર્કેટમાં ૧ લાખ જેટલા રસાયણો મળે છે તેની ઝેરી અસરની કસોટી થઇ નથી.
જે પોષતું તે મારતું એ કહેવત પ્રમાણે ઇજિપ્ત, આરબ દેશો અને ભારતમાં કેમિસ્ટ્રી એટલે કે રસાયણ શાસ્ત્રના મૂળ નંખાયા તે રસાયણ પોષતું તે આજે મારે છે. આરબ કીમિયાગરો અને આપણા રસવૈદો ધાતુઓમાંથી અને છોડમાંથી ઔષધો બનાવતા. ૨૦૦૦થી વધુ વર્ષ પહેલાં ઇજિપ્તના એલેકઝાન્ડ્રીયા શહેરમાં રસાયણશાસ્રનો ઉપયોગ ધાતુ બનાવવામાં, માટીનાં રમકડાંને રંગવામાં અને ડાઇઝનો ઉપયોગ વસ્ત્રોને રંગવામાં થતો.
૬૦૦૦ વર્ષ પહેલાં આયુર્વેદમાં રસવિદ્યા મુજબના ઔષધો ધાતુ અને છોડમાંથી બનતા ઇજિપ્તને આરબોએ જીત્યું પછી જ્યારે સ્પેન સુધી આરબો પહોંચ્યા ત્યાં રસવિદ્યા લઇ ગયા. પછી જ યુરોપમાં ગ્રીક ફીલોસોફરો રસવિદ્યા પણ જાણતા થયાં તેમાં હીરાકલીટસ, એમ્પેડોકલ્સ હીપોકેટસ અને એરિસ્ટોટલ એ બધા રસવિદ્યા જાણતા થયા. એ પછી આધુનિક કેમિસ્ટ્રીનો જર્મનોએ સૌથી વધુ ઉપયોગ કર્યો પણ આજે કેમિકલ્સમાં સર્વોપરી હોય તો અમેરિકન કંપનીઓ છે. તેમાં યુનિયન કાર્બાઇડને ખરીદનાર ડાઉ કેમિકલ ૫૭.૫૧૪ અબજ ડોલરની આવક સાથે પ્રથમ નંબરે છે.
તમે સવારે ઊઠો ત્યાંથી કેમિસ્ટ્રીના વિજ્ઞાનમાંથી નીપજેલી નાનેથી મોટી ચીજો વાપરો છો. તમે પહેરેલા રંગીન વસ્ત્રો અને તે પહેલાં ટૂથપેસ્ટ વાપરો છો તેની ટયૂબ પરના રંગ સહિત તમામ કેમિસ્ટ્રીની દેન છે. ભારતમાં ઇન્ડિયન સ્કૂલ ઓફ કેમિસ્ટ્રીનાં પાયોનિયર આચાર્ય પ્રફુલ્લ ચંદ્ર રોય હતા, તેમણે કલકત્તા યુનિવર્સિટીમાં ૧૮૯૬માં ઇન્ડિયન સ્કૂલ ઓફ કેમિસ્ટ્રી સ્થાપી અને કેમિસ્ટ્રી શીખવા પડાપડી થતી. તે પડાપડી છેક મુંબઇ સુધી આવી મુંબઇમાં બોમ્બે યુનિવર્સિટીના નેજા હેઠળ ઇન્સ્ટિટયૂટ ઓફ કેમિકલ ટેક્નોલોજી ૧૯૩૩માં સ્થપાઇ. મુંબઇ યુનિ.ની કેમિકલ ટેક્નોલોજી સંસ્થાના માનદ સભ્યો તરીકે પૂર્વ અણુ વિજ્ઞાની એચ. એન. શેઠના અને મુકેશ અંબાણી છે.
જામનગરની રીફાઇનરી પણ કેમિકલ્સ સાથે જોડાયેલી છે. મુકેશ અંબાણી આમાં ભણ્યા છે. પછી આજે માટુંગાથી વિલેપાર્લે સુધી ઠેર ઠેર કેમિકલ એન્જિનિયરિંગની કોલેજો છે. ૧૯૯૪માં દ્વારકાદાસ સંઘવી નામનાં કપોળના દાનથી મુંબઇમાં વિલે પાર્લેના ઉપનગરમાં કેમિકલ ટેક્નોલોજીની કોલેજ સ્થાપી. ૨૦મી સદીનાં મધ્યમાં કેમિસ્ટોની એટલી બધી જરૂર પડતી કે વિલે પાર્લેની કેમિસ્ટ્રી કોલેજમાં ૬૦ સીટો હતી ત્યાં તેના પૂર્વ પ્રિન્સપાલ ડૉ. ડી. જે. શાહના કહેવા પ્રમાણે ચારગણી અરજી આવતી. સિમેન્ટ પ્લાન્ટ હોય કે અંકલેશ્વરનાં કેમિકલ પ્લાન્ટ હોય તે તમામમાં કેમિસ્ટની જરૂર પડતી. અને પછી જ ખબર પડી કે આ તમામ કેમિકલ પ્લાન્ટો માનવના ‘ઉદ્ધાર’ સાથે તેના કારખાનામાંથી નીકળતા રગડા થકી પર્યાવરણ અને ભૂતળના પાણીને બગાડે છે.
.... એટલે ભોપાળના યુનિયન કાર્બાઇડના કેમિકલ પ્લાન્ટ જેવાં જ ભારતભરમાં કૃષિની જંતુઘ્ન દવા (પેસ્ટિસાઇડઝ) બનાવતા પ્લાન્ટ ઠેર ઠેર છે તે બધા જોખમી છે. ભારતમાં મોટા મોટા ૩૨ જેટલા કેમિકલ પ્લાન્ટ છે તે બધા જ તમારી સેવા સાથે કુસેવા પણ કરે છે. કુસેવા કરે કે ન કરે કેમિસ્ટ્રી અને રસાયણના પદાર્થો અનિવાર્ય છે. એટલે જ ૧૯૦૪માં કેમિસ્ટ્રીમાં નોબેલ પ્રાઇઝ મેળવનાર ડૉ. રામસેને જમશેદજી તાતાની સ્કોલરશિપમાંથી ૧૯૦૦ની સાલમાં કેમિસ્ટ્રી ભણવા બ્રિટીશ સરકારે જર્મની મોકલ્યા હતા. ભારતમાં ઇન્ડિયન સોસાયટી ઓફ કેમિસ્ટ્રી છે.
બંગાળનાં જાણીતા વિજ્ઞાની ડૉ. એસ. એન. બોઝ અને જગદીશચંદ્ર બોઝ એ જૂના જોગી રસાયણ શાસ્ત્રી હતા. આજે વાપી પાસે મૂળ સૌરાષ્ટ્રનાં યુનુસભાઇ બીલખીયા શાહીનું કારખાનું ધરાવે છે. તે પણ કેમિસ્ટ્રીનો એક ભાગ છે. શાહીની ટીકડીમાંથી આજે જંગી રંગ-રસાયણનું કારખાનું તે બીલખીયાએ અબજોનું બનાવ્યું છે. અજંતાની ગુફામાં અમુક લખાણો લખાયેલા તેમાં ભારતમાં બનેલી શાહી વપરાઇ હતી તેમ રસાયણ શાસ્ત્રના જાણકાર ડી. પી. અગ્રવાલ કહે છે. એના કહેવા પ્રમાણે અમુક શાહી ભૂંજેલી ડાંગર, ખાંડ અને પ્લાન્ટના રસમાંથી બનતી તકલીફ ત્યાં પેદા થઇ કે શાહી કે બીજા આધુનિક રસાયણો ભાગ્યે જ હવે કુદરતી છોડમાંથી બને છે બધા જ હાનિકારક રાસાયણિક સંયોજનથી બને છે.
જાપાનની મીનામાતા શહેર પાસેની ‘નિપોન ચીસ્સો કંપની’ જે કેમિકલ ફર્ટિલાઇઝર (યુનિયન કાબૉઇડ કે ડાઉ કેમિકલ્સ જેવા) બનાવતી હતી. તે કારખાનામાંથી જે કેમિકલનો કચરો નીકળતો હતો તે નજીકના દરીયાઇ વિસ્તારમાં ગયો. એ કચરાવાળું પાણી માછલીઓએ પીધું અને એ માછલી ખાવાથી માછીમારો ગાંડા થઇ ગયા, ઘણાને લકવો થયો અને ઘણા મરી ગયા,૧૯૫૬માં ત્યારે તેને મીનામાતા ડીઝીઝ તરીકે ઓળખવામાં આવ્યો હતો તેની ખબર મોડે મોડે ૧૯૭૦ના દાયકામાં પડી.
લંડનના ‘ઓબ્ઝરવર’માં સાયમન કોલકીને લખેલું કે આ રસાયણો આશીર્વાદ સાથે શાપ રૂપ પણ છે. તમામ ઇન્ડસ્ટ્રિયલ પ્રોસેસમાં રસાયણ જરૂરી છે. ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અને તમે કમ્પયુટર, પ્રિન્ટર કે તેની શાહી વાપરો છો તે તમામમાં કેમિકલ્સ વપરાય છે. યુરોપમાં કેમિકલ્સ તો ત્રીજા નંબરની મોટામાં મોટી ઇન્ડસ્ટ્રી છે અને ૧૭ લાખ યુરોપિયનો તેમાં કામ કરે છે. ૨૦૦૦ની સાલમાં વિલે પાર્લેની દ્વારકાદાસ સંઘવીના પ્રિન્સપાલે અમને કહેલું કે ‘કેમિકલ ઇન્સ્ટિ.નો ગ્રેજ્યુએટ સોનાની લગડી જેવો છે.’
એ ગ્રેજ્યુએટને બીચારાને ખબર નહોતી કે તે જે કેમિકલ ઉદ્યોગમાં જવાનો છે તે તમામ ‘હેઝારડસ કેમિકલ્સ’ છે. કેન્સરથી માંડીને જુદી જુદી એલર્જી કેન્સર અને સ્ત્રી-પુરુષોની જનનેન્દ્રીયોને અસર કરે છે. ડૉ. સાયમન કોલકીન કહે છે કે (૨૭-૭-૨૦૦૩) ફાર્મસી ઉદ્યોગની દવાઓનો તો ટેસ્ટ (કસોટી) થાય છે પણ ‘કેમિકલ્સ હેવ નેવરબીન પ્રોપરલી ટેસ્ટેડ.’ માત્ર ૧૯૮૧માં યુરોપમાં અમુક કેમિકલોનો જ ટેસ્ટ થતો. પણ તે ડૉ. સાયમનનાં કહેવા પ્રમાણે ૯૦ ટકા કેમિકલ્સ અનટેસ્ટેડ છે. એટલે કે આજે માર્કેટમાં ૧ લાખ જેટલા રસાયણો મળે છે તેની ઝેરી અસરની કસોટી થઇ નથી.