શહેરની ગમે તેટલી તકલીફો છતાં ગામડાના લોકોને સુરત, વડોદરા, સુરેન્દ્રનગર, નાગપુર, ઔરંગાબાદ અને નાસિકમાં વસવું છે. સુરતની સુંદરીને હજી વધુ વૈભવ માટે મુંબઈ આવવું છે.
પૂનમચંદના નાનિયા પાસે/ડોશી લખાવે ખત/ગીગો મારો મુંબઈ કામે/ગીગુભાઈ ગાંગજી નામે/ગગા તારે વીજળી દીવા / મારે અંધારાં પીવા. ગામડાની ડોશી ૧૦૦ વરસ પહેલાં અંધારાં પીતી. આજે ૨૧મી સદીનો ગીગુભાઈ મુંબઈ, સુરત, કલકત્તા કે દિલ્હી કમાવા જાય ત્યાં ૬૦થી ૬૫ ટકા ગીગાઓ ઝૂંપડામાં રહે છે. તેમને ભાગ્યે જ વીજળીના દીવા મળે છે, જ્યારે ગીગુની માતાઓ ગામડાંમાં છે તેને વીજળીદીવા મળે છે. શહેરોની વસતિ કૂદકે ને ભૂસકે વધતી જાય છે. આખી વાત સુધીરકુમારજીએ ઔરંગાબાદ જેવા શહેરની જેટ ઝડપે વિકસતી આર્થિક પ્રગતિની નાડ પારખીને ત્યાં ‘દિવ્ય મરાઠી’ દૈનિક શરૂ કર્યું તેમાંથી હિન્દુસ્તાનનાં બીજાં શહેરોની પ્રગતિ વિશે લખવાનું મન થયું છે.
શહેરનું આકર્ષણ કાંઈ ૨૧મી સદીનું નથી. રામનું રાજ્ય અયોધ્યા શહેરમાં હતું. કૃષ્ણ ભગવાન ગોકુળથી મથુરા ખેલ ખેલવા જતા એ બન્ને શહેરો હતાં. આજે ગામડામાં સૌને મુંબઈનું આકર્ષણ છે. ૭૦ વર્ષ પહેલાં ગોંડલ - ભાવનગરના મહારાજા ગામડામાં ઉત્સવ કરવા જતા, નવરાત્રિ જોવા જતા. આજે મોરારિબાપુ કળસાર, કોંજળી કે કોળિયાક કે ઝાંઝમેર ગામે કથા કરવા નહીં જાય. મુંબઈ, ભાવનગરની જેલથી માંડીને લંડન કે ન્યુયોર્ક જશે.
માર્ક ટ્વેન નામના મશહૂર અમેરિકન કટાક્ષકાર-નવલકથાકારે ૯૦ વર્ષ પહેલાં શહેરોને બિચારાને ઉતારી પાડેલાં, લખેલું કે અમેરિકા અને બીજા દેશોનાં ગામડાંની એગ્રીરિયન ડેમોક્રસી એટલે ગામડાની કૃષિઆધારિત લોકશાહીને બદલે શહેરોની ઇન્ડસ્ટ્રીયલ તાનાશાહી સવાર થઈ જશે.
લોકો ઉપભોગવાદી થઈ જશે એ શહેરોમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિનો નાશ થશે. જગત ‘સિટીફાયડ’ થઈ જશે.’ પણ માર્ક ટ્વેન ખોટા પડ્યા છે. શહેરોમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિ હવે વધુ થાય છે. ‘ન્યુઝવીક’ના લેખકે તાજેતરમાં કહ્યું છે ‘‘હિન્દુસ્તાન એ શહેરોની સંસ્કૃતિવાળો ૧૦૦થી વધુ વર્ષ પહેલાં દેશ હતો. આર્ટિસ્ટિક ક્રિએટિવિટી અને ટેકનિકલ ઇનોવેશન’ હિન્દુસ્તાનનાં શહેરોમાં થતું હતું. ૪૫૧૧ વર્ષ પહેલાં હિન્દુસ્તાનનાં શહેરોમાંથી જ જગતમાં આખી સંસ્કૃતિ ફેલાઈ હતી.
શહેરની ગમે તેટલી તકલીફો છતાં ગામડાના લોકોને સુરત, વડોદરા, સુરેન્દ્રનગર, નાગપુર, ઔરંગાબાદ અને નાસિકમાં વસવું છે. સુરતની સુંદરીને હજી વધુ વૈભવ માટે મુંબઈ આવવું છે. સુરત શહેર આજે માત્ર સૂતરફેણી કે ઘારીનું કે સુરતનું જમણ અને કાશીના મરણવાળું શહેર રહ્યું નથી. સુરતની માત્ર એક જ નાનકડી વાત કહું. ત્યાં ઘનશ્યામ કટારિયાએ બ્યુટિશોપ ખોલી છે. ઘણાને શંકા હતી કે સુરતમાં બ્યુટિશોપ ચાલે? પરંતુ બીજે જ દિવસે કટારિયાની બ્યુટિશોપમાં અડધો ડઝન યંગ સુરતી સુંદરીઓ પોતાના ફોટોગ્રાફ સાથે આવીને કરગરવા માંડેલી કે અમારે મુંબઈ જવું છે અને ત્યાં મોડલિંગ કે ટી.વી. સિરિયલમાં કામ કરવું છે.
અમને ગોઠવી દો? નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાયડ ઇકોનોમિક રિસર્ચના સંશોધનો કહે છે કે નાગપુર, જયપુર, કોઈમ્બતુર, સુરત અને ઔરંગાબાદ તેમ જ બીજાં ૨૦ શહેરોમાં લોકો ખૂબ કમાય છે. સાંસ્કૃતિક કાર્યક્રમો શહેરમાં વધુ થાય છે. ‘ધ એન્ડલેસ સિટી’નામનું મોટું થોથું ૨૦૦૮માં પ્રગટ થયેલું તેમાં લખેલું કે ૨૦૦૮માં ૫૦ ટકા વસતિ શહેરોમાં રહેતી હતી તે ૨૦૫૦માં ૭૫ ટકા શહેરોમાં જશે. ‘ન્યુ સ્ટેટ્સમેન’ નામના સાપ્તાહિકમાં લેખક કહે છે કે એન્ડલેસ સિટીને બદલે પુસ્તકનું નામ ‘એન્ડલેસ કેટેલિસ્ટ’ રાખવું જોઈતું હતું. આજે શહેરો મલ્ટિકલ્ચરલ બની ગયાં છે.
એક જાય છે તો ૧૦ને ગામડાથી શહેર આવવું છે. શહેરોમાં વિવિધ ધમોgના અને સંસ્કૃતિના લોકો રહેવા આવ્યા છે. શહેરોનું અર્થતંત્ર હવે નોલેજ ઇકોનોમીવાળું બન્યું છે. શહેરને નીંદશો નહીં તેની તકલીફો સાથે સગાઈ કરીને શહેરની મોજ લેજો. શહેરમાં મોજના અનેક વિકલ્પો છે. મોજ શોધો તો મળશે. મુંબઈ કે કલકત્તા કે દિલ્હીની વાત થાય તો સુગાળવા પર્યાવરણવાદીઓ ત્યાંની ગંદકીની વાત કરે છે, પણ ગંદકી ગામડાંમાં ઓછી નથી. ત્યાં હજી ખુલ્લામાં, રસ્તા વચ્ચે લોકો હાજતે બેસે છે.
શહેરોમાં લોકોની દ્રષ્ટિ વિકાસમુખી છે.‘ દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર ડેવલપમેન્ટ કોપોઁરેશન’ના મેનેજિંગ ડિરેક્ટર કહે છે કે નાગપુર કે કોઈમ્બતુર કે મુંબઈ જેવાં શહેરોની ઝૂંપડપટ્ટીઓની વાતો કર્યા ન કરો. આ ઝૂંપડાંના મુંબઈગરા તો તેના મુંબઈમાં ઝૂંપડામાં શહેરની અદકેરી સગવડો ભોગવે છે. અરે, સૌને ગમે તેમ કરીને શહેરમાં આવવું છે. અને આવતાં ૨૦ વર્ષમાં ૩૦ કરોડ લોકો અત્યાધુનિક સ્વચ્છતામાં રહીને શહેરની સંસ્કૃતિ ભોગવી શકે તેવાં ૩૦ જેટલાં પ્રાઈવેટ સિટી ઊભાં કરવા માગીએ છીએ.’
જગતમાં આવાં પ્રાઈવેટ શહેરો છેક ૧૨મી સદીમાં વિકસતાં આવ્યાં છે. ઓગસ્ટ ૨૦૧૦ના મારા પ્રિય ‘આટલાન્ટિક’ મેગેઝિનમાં લેખ આવ્યો તે પ્રમાણે જર્મન પ્રિન્સ હેન્રી ધ લાયને એક લુબેક નામનું માછીમારનું ગામડું જીતી લીધું. તેણે મચ્છીનો ધંધો ભૂલાવી દે તેવું એક જંગી બંદર ઊભું કર્યું અને ધમધમનું શહેર બનાવ્યું. આ શહેરમાં વસનારા માટે કસ્ટમ ડયુટી અને બીજા કરવેરા માફ હતા. આજે ભલે દિલ્હી કે મુંબઈમાં આવાં આકર્ષણો ન હોય પણ દિલ્હીમાં ડી.એલ.એફ. નામની બિલ્ડર કંપનીએ ખાનગી શહેરોની મીની આવૃત્તિ ઊભી કરવા માંડી છે.
મુંબઈમાં હીરાનંદાનીએ આખા બિલ્ડિંગ કોમ્પલેકસની ખાનગી શેરીઓ, બિલ્ડિંગોની ખાનગી સિકયોરિટી, સફાઈ વગેરે ખાનગી હાથોમાં લીધું છે. જમશેદપુરથી માંડીને મોદીનગર અને ગુજરાતના મીઠાપુરમાં ગુજરાત સરકારની પરવાનગી સાથે ઉદ્યોગપતિઓએ શહેરના વિકાસનું ખાનગીકરણ કર્યું છે. એટલે ૧૯મી સદીમાં માર્ક ટ્વેને શહેરો માટેની જે હોપલેસ સ્થિતિ કલ્પી હતી તે ખોટી પડી છે.
ગુજરાતીઓએ હિન્દુસ્તાનનાં નાના શહેરોમાં જઈ તેને વિરાટ બનાવવા માંડ્યાં છે. મુંબઈ કે કલકત્તાની ઝૂંપડપટ્ટી વિશે લખતાં અમેરિકનો થાકતા નથી પણ ‘ફોરચ્યુન’ મેગેઝિને લખ્યું હતું કે અમેરિકામાં જ બે લાખ અમેરિકનો આજે ફૂટપાથ ઉપર સૂએ છે. તેમાંથી વરસે રાત્રે ૪૦૦૦ ટ્રાફિકમાં ચગદાઈને મરી જાય છે. ઘણા હાથે કરીને ગુનો કરે છે.