કોંગ્રેસને પણ ભોપાલકાંડ નામનું ઘંટીનું પડ ગળામાંથી જલદી કાઢવું છે
કોઈને ધરી દઈને બલિનો બકરો બનાવી દેવાનું બીજું નામ રાજકારણ છે. ભોપાલ ગેસકાંડના આરોપી વોરન એન્ડરસનને ભારતમાંથી ભગાડી દેવા માટે તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધી અને મધ્યપ્રદેશના તત્કાલીન મુખ્યપ્રધાન અર્જુનસિંહ જવાબદાર હોવાનું ભલે દીવા જેવું સ્પષ્ટ હોય, સાવ અભણ માણસ પણ ભલે આ સત્ય સમજી ચૂકયો હોય, ધાવણાં છોકરાં પણ આ રહસ્ય જાણતા હોય, કેન્દ્ર સરકાર કાંઈક અલગ જ શોધી કાઢશે.
રખે માનતા કે સરકારે વોરન એન્ડરસનના મામલાની તપાસ કરવા માટે બનાવેલી ગ્રૂપ એ.કે. મિનસ્ટિર્સની સમિતિનું કામ સાચા આરોપીને શોધી કાઢવાનું છે. તેમનું કામ તો દોષનો ટોપલો ઢોળવા માટે કોઈ બલિનો બકરો શોધી કાઢવાનું છે. જવાબદારીનો ઉલાળિયો કરીને કોઈ એક ખમિસાના ખભે નાખી દેવાનું છે. આ દેશમાં આરોપ ઘડવા સૌથી આસાનીથી મળી રહેતું કપાળ સીબીઆઈનું છે. સરકારની આ નોકરડી સંસ્થા બોફોર્સમાં બરાબર તપાસ નહીં કરવાના સહિત હજારો આરોપના કલંક પોતાના કપાળે લઈને બેઠી છે. તેમાં એકનો વધારો, બીજું શું ? સીબીઆઈ પર ઓળિયો ઘોળિયો ઢોળીને આખાં પ્રકરણનો અંત લાવવો સહેલો છે. કોંગ્રેસને જેટલું બને તેટલું જલદી આ પ્રકરણમાંથી છુટવું છે.
દુર્ઘટનાના પચ્ચીસ વર્ષ પછી રાજીવ ગાંધીનું નામ કલંકિત થઈ રહ્યું છે તેનાથી કોંગ્રેસ બેબાકળી થઈ ગઈ છે. અર્જુનસિંહ વટાણાં વેરી ન દે અને અન્ય અસંતુષ્ઠ કોંગ્રેસીઓ નિવેદનો આપીને પક્ષને કફોડી સ્થિતિમાં ન મૂકે તે માટે પક્ષના સત્તાવાર પ્રવકતા સિવાય તમામને નિવેદન આપવા પર પ્રતબિંધ મૂકી દીધો.
મહત્વની બાબત એ છે કે મધ્યપ્રદેશની શિવરાજસિંહ ચૌહાણની સરકાર આરોપીઓને ન્યાયતંત્રની સામે લાવવા પ્રયત્નશીલ છે. મુખ્યપ્રધાન ચૌહાણે અર્જુનસિંહને પત્ર લખ્યો હતો અને હવે અદાલતના ચુકાદા સામે રિવઝિન પિટિશન કરવાની તૈયારી કરી રહ્યા છે. જનતા પણ કેસ રિઓપન થાય, આરોપીઓને સજા થાય અને પીડિતોને અધકચરો નહીં, સાચો અને પૂરો ન્યાય મળે તેવું ઇચ્છે છે.
એક તરફ કેન્દ્રની યુપીએ સરકાર છે અને બીજી બાજુ જનતાની અપેક્ષા છે પણ જનતાને રાજકારણ રમતાં આવડતું નથી એટલે છેલ્લે થશે તો કેન્દ્રનું ધાર્યું જ. બહાના શોધી લેવાશે, દોષના ટોપલા ઢોળી દેવાશે. ઢાંકપિછોડો કરી દેવાશે અને જનતા બિચારી, મોં વકાસીને, જોતી રહેશે.