મુંબઈની ૧૦૭ વર્ષ જુની તાજ પેલેસ હોટલની હેરિટેજ વિંગ ગત રવિવાર સ્વાતંત્રયદિને ફરીથી ખુલ્લી કરી દેવાઈ. દરેક વ્યક્તિ એ જાણે છે કે, ગેટ વે ઓફ ઇન્ડિયા પાસે આવેલી આ બહુમૂલ્ય સંપદા સાથે ૨૬ નવેમ્બર, ૨૦૦૮ના રોજ શું થયું હતું. ત્યારબાદ તેણે પોતાને ફરીથી તૈયાર કરવા માટે અંદાજે બે વર્ષ સુધી પોતાની સંચાલનને લગતી ગતિવિધિઓ બંધ કરી દીધી, જે તેના ૧૦૭ વર્ષના ઈતિહાસમાં પહેલીવાર થયું. તેમણે તેની તમામ પાઈપલાઈનો બદલી નાખી, જે ૧૧૦ વર્ષ કરતાં વધારે જુની હતી.
તમામ સીવેજ લાઈનો પણ બદલી નાખી. હોટલ સાથે એક જબરદસ્ત વાત એ થઈ કે, ભલે દુર્ભાગ્યવશ સ્થિતિને કારણે તેને બંધ કરવી પડી, પરંતુ તેનાથી તેને પોતાને ત્યાં એવી તકનિક લાગુ કરવામાં મદદ મળી, જે આવનારાં સો-બસો વર્ષ સુધી ચાલી શકે છે. તાજ ગ્રૂપની મિલકતવાળા ઇન્ડિયન હોટલ્સના એમડી રેમન્ડ બિકસનનું કહેવું છે કે, ‘અમે આ સમયનો ફાયદો ઉઠાવ્યો અને આધુનિક ગ્રાહકોની રુચિના હિસાબે તેને સમકાલીન અને અત્યાધુનિક બનાવવાનો નિર્ણય લીધો.’ ખરેખર તો આતંકવાદી હુમલા પછી હોટલે પોતાના વિકાસના સંદર્ભમાં આક્રમક નીતિ અપનાવી છે.
આ મોટા આઘાતને ઝીલતી વખતે તેમની ૬૧ હોટલ અને ૮૩૦૦ રૂમો હતી. વર્ષ ૨૦૧૦માં ૧૦૪ હોટલ અને ૧૫,૫૦૦ રૂમો છે. જો તમે તેમના આવનાર પ્રોજેક્ટ પર નજર ફેરવશો તો તેમાં ૪૪ હોટલ હજુ ઉમેરાશે, જેનાથી રૂમોની સંખ્યામાં ૧૨ હજારનો વધારો થશે. વાસ્તવમાં તે સાત અઠવાડિયાંમાં એક નવી હોટલ ખોલી રહ્યા છે અને ભવિષ્યમાં શક્ય છે કે, દર ત્રણ અઠવાડિયા બાદ તેમની એક નવી હોટલ ખૂલવા લાગે ! આતંકવાદી હુમલો ઈતિહાસની ગંદી ઘટના હતી પરંતુ આ ગ્રૂપે દુનિયાભરના લોકો તરફથી આવતી સંવેદનાઓની રાહ ન જોઈ.
તેઓ ઊભા થયા અને તેમણે અહીંયા જ નહીં, પરંતુ ન્યૂયોર્ક અને લંડન સહિત દુનિયાભરમાં પોતાની સંપત્તિઓ ઊભી કરવાનો નિર્ણય કર્યો. તેમણે આ સમયનો ઉપયોગ પોતાને પુનર્ગિઠત અને એકજુટ કરીને હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીના લીડર બનવામાં કર્યો. તેમનું નવું સૂત્ર છે, ‘કાં તો અમે નંબર એક કે બે છીએ, અથવા અમે તેને વેચી દઈએ છીએ.’
ફંડા એ છે કે, મુશ્કેલીઓ ગમે તે વ્યક્તિના જીવનમાં આવી શકે છે. સવાલ એ છે કે શું આપણે એવી કોઈ આપદાને અવસરમાં બદલીને તેનો પોતાના પક્ષમાં ઉપયોગ કરી શકીએ છીએ ખરા?