ભારત માટે આટલા મેડલ જીતી લાવનાર વર્લ્ડ ચેમ્પિયને પણ અમલદારશાહીનો ભોગ બનવું પડે
વર્લ્ડ ચેસ ચેમ્પિયન વિશ્વનાથન આનંદ વધુ ભારતીય ગણાય કે સ્વિસ બેંકોમાં કૌભાંડોના અબજો રૂપિયા જમા કરાવનાર નેતાઓ? જનતા ભલે વિશ્વનાથન આનંદને સાચો ભારતીય માને, ભારતના અમલદારો નથી માનતા. આનંદને માનદ્ ડિ-લિટ્ની ડિગ્રી આપવાની હૈદરાબાદ યુનિવર્સિટીની દરખાસ્તને મહિનાઓ સુધી માનવ સંસાધન મંત્રાલયે દબાવી રાખી, માત્ર એ મુદ્દે કે આનંદ સ્પેનની પણ નાગરિકતા ધરાવે છે.
આનંદે ભારતીય નાગરિકતા ઉપરાંત સ્પેનની પણ નાગરિકતા સ્વીકારી છે જેથી ચેસનો તેનો અભ્યાસ વધુ સારી રીતે થઇ શકે. આનંદ જ્યારે વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતે છે ત્યારે કોઈ નથી કહેતું કે એક સ્પેનયાર્ડે ટાઈટલ જીત્યું છે, બધા એવું જ કહે છે, એક ભારતીયે વિશ્વ સ્પર્ધા જીતી છે.
આનંદની પત્ની અરુણાએ વિદેશ મંત્રાલયને આનંદના પાસપોર્ટની નકલ મોકલી આપી તો પણ, કપિલ સબ્બિલનું ખાતું ટસનું મસ ન થયું. આનંદે પોતાને ભારતનો નાગરિક સાબિત કરવા માટે પાસપોર્ટની કોપી મોકલવી પડે? દુનિયામાં ભારતના વડાપ્રધાનને કે કપિલ સિબ્બલને જેટલા લોકો નહીં જાણતા હોય એટલા વિશિને જાણે છે અને, તેને એક ભારતીય તરીકે જાણે છે.
વિશ્વ વિખ્યાત રમતવીરે પોતાની નાગરિકતા સાબિત કરવી પડે અને સાબિતી આપ્યા પછી પણ સરકારી તંત્ર તેની વાત કાને ધરે નહીં એ આ દેશની કમનસીબી છે. આનંદની નાગરિકતાનો વિવાદ ઊભો થતાં સફાળા જાગેલા કપિલ સિબ્બલે ડેમેજ કંટ્રોલ એક્સરસાઇઝ હાથ ધરી અને આનંદને ફોન કરીને માફી માગી લીધી.
સન્માન સ્વીકારવાનો ઇનકાર કરનાર આનંદે માફી પછી ડિ-લિટ્ની ડિગ્રી લેવાની હા તો સિબ્બલને પાડી દીધી પણ, જે નુકસાન થવું હતું તે તો થઈને જ રહ્યું. કોમનવેલ્થ ગેમ્સનો વિવાદ હજી શમતો નથી. રમતગમતની બાબતમાં આપણા રાજકારણીઓ માથું મારે છે ત્યારે ઊંધુ જ વેતરાય છે. આનંદના મુદ્દે માનવ સંસાધન મંત્રાલયે સ્ટીલમેટની સ્થિતિ ઊભી કરતાં સિબ્બલ ચેકમેટ થઈ ગયા છે.