નાગેશ કૂકનૂર એવું માને છે કે ઋષિકેશ મુખર્જીની રાજેશ ખન્ના અભિનિત ‘આનંદ’ ભારતની સર્વશ્રેષ્ઠ ફિલ્મ છે. એ ફિલ્મની ભાવના પર આધારિત નાગેશની જોન અબ્રાહમ અભિનિત ‘આશાએં’ ફિલ્મ છે. તેમણે ચેરાપૂંજીમાં સતત ૩૭ દિવસ શૂટિંગ કરીને આ ફિલ્મ પૂરી કરી હતી, પરંતુ મૂડીરોકાણ કરનાર ફાઈનાન્સરના આંતરિક વિવાદને લીધે એ ફિલ્મનું મોડેથી પ્રદર્શન કરાઈ રહ્યું છે. ‘આનંદ’ મૃત્યુ સામે મનુષ્યના સંઘર્ષની કથા છે.
નાગેશ એવું માને છે કે મૃત્યુ સામે ઝઝૂમતી વ્યક્તિના પાત્ર માટે સુગઠિત દેહયિષ્ટ ધરાવતા જોન અબ્રાહમને પસંદ કરીને તેમણે સંવેદનાને ધારદાર બનાવી છે કારણ કે મૃત્યુ સામે બળવાન અને કમજોર બંને સરખા હોય છે.
ખરી બાબત છે લડવાની સંઘર્ષવૃત્તિ, એ પણ હસતા હસતા લડવું . ઋષિકેશ મુખર્જીના મનમાં એ કથાનો વિચાર તેઓ રાજ કપૂર સાથે હળવી પળો માણ્યા બાદ મુંબઈ પાછા આવતા હતા એ વખતે આવ્યો હતો. ‘આનંદ’ની પટકથામાં બધી ઘટનાઓનો જન્મ મુખર્જી સાહેબે પોતાની આંખે નિહાળ્યો હતો. બંનેની ખૂબ ઇચ્છા હોવા છતાં કેટલાંક કારણોસર રાજ કપૂર ‘આનંદ’ ફિલ્મ કરી ન શક્યા. કદાચ તેથી જ ઋષિકેશ મુખર્જીએ આ ફિલ્મ રાજ કપૂર અને મુંબઈ શહેરને સમર્પિત કરી છે. ‘આનંદ’માં મુખર્જીને સૌથી વધુ સર્જનાત્મક સહયોગ ગુલઝારનો મળ્યો.
મૂળ પટકથામાં ખેલદિલ નાયક રસ્તે ચાલતા અજાણ્યા માણસને કોઈ કાલ્પનિક નામે બોલાવે છે અને તેની સાથે દોસ્તી બાંધવા ઇચ્છે છે પરંતુ એ અજનબી પોતાનું અસલ નામ કહીને આગળ ચાલવા માંડે છે. એ કાલ્પનિક નામવાળો માણસ એક દિવસ ખરેખર મળી જાય. એ ગુલઝારનો વિચાર હતો એની એ ચરિત્ર ભૂમિકાને જોની વોકરે જીવંત બનાવી દીધી. વળી ફિલ્મનો પેલો સૂત્ર સંવાદ પણ એ જ પાત્ર અદા કરે છે ‘દુનિયા રંગમંચ છે ઔર હમ સભી કઠપૂતલિયાં ભૂમિકા કરકે પરદા ગિરા દેતી હૈ.’ નાગેશની ફિલ્મ, ‘આનંદ’ની એ ભાવનાને કેવા નવા રૂપમાં રજુ કરે છે, તેનું અનુમાન કરવું અઘરું છે.
અહીં જોન અબ્રાહમને રાજેશ ખન્નાથી ઉતરતો અભિનેતા માની લેવાની ભૂલ કરવી ન જોઈએ કારણકે રાજેશ ખન્ના અત્યંત સફળ સુપરસ્ટાર હતા, પરંતુ તેમની અભિનય ક્ષમતા ઘણી મર્યાદિત હતી. ખરેખર તો સિનેમા, દિગ્દર્શકનું માધ્યમ છે અને કઠપૂતળીઓની દોર તેમના હાથમાં હોય છે. જોકે, નાગેશે અતિવર્ષોનું લોકેશન પસંદ કર્યું છે. ત્યાં તડકો પણ વાદળામાં ચળાઈને ધરતી પર પડે છે. તડકો - છાંયો જીવનનાં સુખ-દુ:ખ છે.
ફિલ્મ ‘આનંદ’ કેન્સરનું રોમાન્ટિક રૂપ રજુ કરે છે કારણ કે વાસ્તવમાં એ બીમારી ભોગવનારાના ચહેરા પર સહેજ સ્મિત ફરકાવવાની તાકાત પણ હોતી નથી. પરંતુ પોતાની પ્રાર્થના વડે કેન્સરની પીડાને પરાજિત કરનારા હિંમતવાન લોકો પણ છે. મુખર્જીની ફિલ્મ ‘અનાડી’માં કવિ શૈલૈન્દ્રએ લખ્યું હતું ‘મર કર ભી યાદ આયેંગે કિસી કે આંસુઓ મેં મુસ્કુરાયેંગે .... જીના ઈસી કા નામ હૈ.’