આજે ભારત-યુરોપ અને અમેરિકામાં સમાજ વિક્ષિપ્ત છે. પાડોશી બીજા પાડોશીને જાણતો નથી પછી શરમ ક્યાંથી હોય ? આખું જગત શરમ થકી જ અત્યારે ચાલે છે. સામાજિક જવાબદારીઓ અને શિક્ષણમાં શિસ્ત પણ ૨૧મી સદીમાં જગત બેશરમીથી ચાલે છે.
શહેનશાહ અકબરના દરબારમાં કવિરત્નો હતાં તેમાં મુખ્ય કવિ ગંગ હતા. ગંગ તરંગ પ્રવાહ ચલે, ફીર કૂપ કો નીર પીયો ને પીયો- જ્યાં કવિ ગંગની કવિતાની ગંગા વહેતી હોય ત્યાં કૂવાનાં પાણી પીવાની શું જરૂર છે. આવું લખનાર કવિએ શરમ બાબતમાં વહેલાસર કવિતા લખેલી.રણે ચઢ્યો રજપૂત છુપે નહીં, દાતા છુપે નહીં ઘર માગણ આયો પોતે જ એકલા એ જમાનામાં દાન ન કરનાર અને માત્ર ખાનારા ધનિકો માટે સમાજમાં માન નહોતું. ઋષિ કે મહાત્મા કે યોગીઓનાં બેન્કના ખાતાં કે ભંડોળ નહોતાં.
આજે મોટા ભાગના કથાકારો શ્રી શ્રી રવિશંકર, રામદેવ વગેરે યોગી કહેવાય છે પણ યોગીની વ્યાખ્યા પ્રમાણે એ બધા યોગી છે ખરા ? જો યોગીઓ ધનના સ્વામી હોય તો પછી અમેરિકનો માત્ર સ્વાર્થ ખાતર ધન ઉસેડતા હોય તેને શું દોષ દેવો? એક બાજુ કંપનીઓ નફો વધારવા કામદારોને બેકાર બનાવી ભારત-અમેરિકામાં ભૂખે મારે છે અને ફાઈનેન્શિયલ એક્ઝિકયુટિવો એક જ વર્ષમાં ૨૦ અબજ ડોલરનાં તગડાં બોનસો ઝાપટે છે.
જ્યારે દેશ ફાઈનેન્શિયલ કટોકટીમાં સપડાયો હતો ત્યારે ઓબામાની સરકારે ગરીબને નહીં પણ તગડી કંપનીઓને દેવાળામાંથી બચાવવા ૨૪૫ અબજ ડોલર ખર્ચેલા તેમ જેનિફર જેકેટ કહે છે. ૩૦ લાખ અમેરિકનોનાં ઘરો ખાલી કરાવી તેમને રસ્તે રઝળતા કરી નંખાયા પણ પછી એ જ બેન્કો પૈકી સિટીગ્રુપ બેન્કના એક્ઝિકયુટિવ માટે પાંચ કરોડ ડોલરનું કોર્પોરેટ જેટ ખરીદવામાં આવેલું. એ બધી બેન્કોને મદદ કરીને પ્રમુખ ઓબામા મકાઈની ધાણી ખાતા હતા ત્યારે એક પત્રકારે પૂછ્યું કે આ બેન્કોના ઓફિસરો બીજાને બેકાર બનાવી અંગત જેટ ખરીદે છે તે યોગ્ય છે? ત્યારે ઓબામાએ એટલું જ કહ્યું ‘એ શરમજનક છે પણ એ શરમ બેન્કના માંધાતાને આવવી જોઈએ, મને નહીં ’!
જેનિફર કહે છે કે આજે ભારત-યુરોપ અને અમેરિકામાં સમાજ વિક્ષિપ્ત છે. પહેલાં સમાજ પાડોશમાં નિકટમાં રહેતો હતો. ધે વેર વોચિંગ ઇચ અધર. કોઈની તકલીફ જોઈને મદદ કરતા. આજે પાડોશી બીજા પાડોશીને જાણતો નથી પછી શરમ ક્યાંથી હોય ? લોસ એન્જલસમાં એક ગજબની નારી નીકળી. શોપિંગ મોલમાં તેના પતિએ ચોકલેટ અપાવવા ચેષ્ટા કરી તો પત્નીએ ચોકલેટ ખાવાની ના પાડી કહ્યું કે ગરીબ દેશોમાં ખેડૂતોને બેઘર બનાવી કોકોની ખેતી કરી તેમાંથી ચોકલેટ બને છે તે ચોકલેટ ખાવી તે ગુનો અને શરમ છે ? આવી શરમ અહીં મુંબઈ કે અમદાવાદમાં આપણને લાગે છે?
અમેરિકાના મેબ્રાસ્કા રાજ્યે કમાલ કરી છે. જે વ્યક્તિ ૨૦૦૦ ડોલરથી વધુની કરચોરી કરે તેના ફોટા અને નામો ભીંત પર ચોંટાડાય છે. અરે! પાકીટમારો, લુટારા અને છેતરનારા પકડાય એટલે તે છુટયા પછી તેના ગળામાં એક મોટું પાટિયું ફરજિયાત પહેરાવાય છે- ‘હું બદમાશ છું.’ સમાજશાસ્ત્રીને આશા હતી કે જેમ અમેરિકામાં ગુલામ રાખનારાના નામો પ્રગટ કરવાથી તે શરમાશે અને બાળમજુરોને સસ્તી મજુરીથી રાખનારાના નામ પ્રગટ થશે એટલે તે શરમના માર્યા આ પ્રથા બંધ કરશે. પણ આજેય કોઈને બાળમજુર રાખવામાં શરમ નથી. મહેન્દ્રસિંહ ધોની! શરમાઓ નહીં, ડિસ્કો ક્લબમાં નાચો અને કરોડો રૂપિયા મળે છે તે વાપરો.
અમારા ગામડામાં શિક્ષક શેરી બહાર નીકળે તો બાળકો સંતાઈ જતાં. વડીલો આવે તો ઊભા થઈ યુવાનો તેને માન અને બેઠક આપતા. વહુવારુઓ લાજ કાઢતી. હવે ભલે લાજ ન કાઢે પણ મોડર્ન વહુઓ પરણીને સસરાના દેખતાં ટીશર્ટ અને જીન્સ પહેરે છે. યુરોપમાં શિલ્પકાર રોડીને એક આરસનું સ્ત્રીનું પૂતળું ચોકમાં ઊભું કર્યું છે. તેને શરમથી મોઢું નીચું મૂકેલી કોતરાઈ છે. ‘ઇવ આફ્ટર ફોલ’. સ્ત્રીઓ આડો સંબંધ કરતાં પકડાય તો આપઘાત કરતી તેવી શરમાયેલી સ્ત્રીનું પૂતળું છે.
સુરતમાં હીરાના વેપારીની પત્ની આડો સંબંધ બાંધતા પકડાઈ જતા પાંચમે માળેથી પડતું મૂકેલું. ૧૯મી સદીના વિજ્ઞાની ચાર્લ્સ ડાર્વિને ‘ધ એક્સપ્રેશન ઓફ ધ ઇમોશન્સ ઇન મેન એન્ડ એનિમલ્સ’ નામનું પુસ્તક લખ્યું છે. તેમાં શરમ વિષે આખું પ્રકરણ છે. આખું જગત શરમ થકી જ અત્યારે ચાલે છે. સામાજિક જવાબદારીઓ અને શિક્ષણમાં શિસ્ત પણ ૨૧મી સદીમાં જગત બેશરમીથી ચાલે છે. જાપાન એક એવો દેશ હતો જ્યાં રણસંગ્રામમાં કે સામાજિક પડકારમાં મોં છુપાવવું તે મરવા બરાબર ગણાતું. જાપાનમાં મોરચે બાયલાપણું બતાવનારાએ પોતાની તલવારથી જ શિરોચ્છેદ- હારાકીરી કરવાની રહેતી.
રામદેવ નામના યોગમાંથી અબજપતિ બનનારા, આસનો શીખવનારા નિષ્ણાતના ચહેરા ઉપર સ્યાહી ફેંકી તેની રામદેવને કોઈ શરમ નથી. સ્ત્રીનાં કપડાં પહેરીને ધરપકડમાંથી બચવામાં રામદેવને શરમ નહોતી. R ૪૦૦ કરોડનું ધન ભેગું કરવામાં શરમ નથી અને યોગી કહેવડાવે છે. ફિલિપાઇન્સનાં સમાજશાસ્ત્રી મેયર આલ્ફ્રેડો લીમએ જે જે ફિલિપિયન લોકો હરામની કમાણી કરે, હેરોઈન કે ગાંજો વાપરે તેનાં મોઢાં કાળાં કરીને તેને બજારમાં ફેરવેલા. આ ‘શેઇમ કેમ્પેઈનથી’ ઘણા હેરોઈનના વાપરનારા અટકી ગયેલા. રામદેવના કાળા મોઢા પછી શ્રીશ્રીઓ ચેતે.
સાઈકોલોજી ટુ-ડે મેગેઝીને તેના ડિસેમ્બર ૨૦૧૧ના અંકમાં લખ્યું છે કે ‘શરમ’ના તત્વની પણ એક શક્તિ છે. શેઇમ પાવર છે. અમુક જણને શરમાવવાથી તે શરમજનક કામ કરતી નથી. ચોકલેટ ખાતા નથી. બેશરમીએ પરાકાષ્ઠા પકડી છે. ભારત જેવા દેશમાં દારૂના બારમાં નાચનારી યુવતીઓ માતા-પિતા કે બાળકને પોષવા દેહના સોદા કરતાં પકડાય તો મોઢું ઢાંકી દે છે પણ તે નાચનારી સાથે નખરાં કરનારા બેશરમ પુરુષો પકડાતા નથી. કોઈ જ શરમ અનુભવતા નથી. તેમનાં મોંઢા કાળા કરવાની જરૂર છે. છેલ્લે સાયિન્ટસ્ટો પણ બેશરમ થઈ ગયા છે તે વાત ‘પ્રોમિથિયસ’ નામના મેગેઝિનના ૨-૬-૧૦ના અંકમાં લખી છે. પહેલાં વિજ્ઞાનીઓ કોમર્શિયલ પેઢીની આરોગ્યને હાનિ કરતી ચીજ માટે દલાલી કરતા શરમ અનુભવતા. આજે ? તમે જાણો છો.