જ્ઞાનતંતુ મજબૂત રાખી સાદો ખોરાક રાખો તો માથાના દુખાવાથી સમગ્ર દુનિયાને જે ૧૪૦ અબજ પાઉન્ડનું અર્થતંત્રનું નુકશાન થાય છે. તે નિવારી શકાય.
હું જો ‘મોસમ’ નામનું માણસ હોઉં કે ‘‘ચોમાસા’’નામનો પુરુષ હોઉં તો અષાઢ શ્રાવણ ભાદરવામાં બીમારી આવે તેને મોસમ કે ચોમાસાનું કારણ ગણે તેનાં ઉપર બદનક્ષીનો કેસ કરું. મારા ફેવરીટ નવલકથાકાર અને ફિલસૂફ લેખક હેન્રી મિલર જેણે બડકમદારીથી ટ્રોપિક ઓફ કેન્સર જેવી રીયલ સેક્સી નવલ લખીને ધબધબાટી બોલાવેલી તે ધીંગુ ધીંગુ ૮૯ વર્ષ જીવ્યા અને દુનિયા ઉપર ગુસ્સે થઈને ૩૧ વર્ષ પહેલાં ખિન્ન મને ગુજરી ગયા. તેણે આ ભોગવાદી, વલ્ગર અને ટોળાંશાહીવાળા સમાજ ઉપર તીખો કટાક્ષ કર્યો છે.
હેન્રી મિલરે ડેમોગોગ શબ્દનો પ્રયોગ કર્યો છે. ડેમાગોગ એટલે જનોત્તેજક, જનાન્દોલક, કલહપ્રિય વકતા, અવસરવાદી નેતા, બજારૂ લીડર, અને પ્રવંચક ભાષણખોરો. તેમનાં રોષ ઠાલવ્યો કહે છે કે ‘ખરેખર તો આપણે આજે ટોળાંશાહીમાં જીવતો વલ્ગર સમાજ છીએ જેને ગંદુગંદુ વધુ ભાવે છે. આપણે બુદ્ધિને અભરાઈએ ચઢાવી દીધી છે અને એને કારણ અવસરવાદી અને ખોખલા ચરિત્રવાળા નેતા જે શબ્દોથી તમને ભડકાવે છે કે શબ્દોના શણગારવાળા લેખનથી ભડકાવે છે તેમાં ભોળવાઈ જઈએ છીએ. કલહ કરનારા ભાષણખોર નેતા તમને ગમે છે. રીલીજીયસ કવકેસ ગમે છે. (સચિન તેંડુલકર અને સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ પણ જેના ભંડારમાં કરોડાના સોના રૂપા અને રૂપિયાની થપ્પીઓ નીકળે છે. તેના ભકત છે.)
આપણે આજે આ પવિત્ર જીવનની અને તેના દાતાની અને કુદરતની બદનક્ષી કરીએ છીએ. આપણે જ ભોગવાદ થકી આરોગ્યની ધાર ખોદીને બીજાને દોષ દઈએ છીએ અને આ વાતને પ્રોગ્રેસ ગણીએ છીએ. જ્યાં આજે વરસાદના બે છાંટા પડે ત્યાં શરદી, ખોખલું,ખડખડીયું, માથાનો દુખવો, આધાશીશી વગેરે ભોગવીએ છીએ. એટલી હદે કે આપણે આ ગુજરાતી શબ્દોને બદલે માઈગ્રેન અને હેડેકને માતૃભાષાની જેમ બોલાવી આ બે તકલીફ જે રોગ નથી તેને રોગ બનાવીને અબજો રૂપિયાનો વકરો દવા કંપનીઓને કરાવીએ છીએ.
બહુ જ પ્રાથમિક ઉપચારની માથાના કે બીજા તમામ ઉપચારની ‘ઓન ધ કાઉન્ટર’ પર મળતી દવામાં અમેરિકનો ૫ અબજ ડોલર ખર્ચે છે. તેમાં જે માથાના દુખાવા માટે કે માઈગ્રેન માટે દવા લે છે તે પાછી તમારી કીડની બગાડે છે. હૃદયરોગને વણસાવે છે અમેરિકામાં પ્રોગ્રેસ થયો તેમ હવે ખાસ માથાના દુખાવા-માઈગ્રેન માટે ‘‘પાંચ ડઝન હેડેક ક્લિનિક ઊભા થયા છે. ભારતમાં તેને પગલે લીલાવતી હોસ્પિટલનાં એક ડોક્ટરે માથાના દુખાવાવાળા ઉલ્લુઓને ખંખેરવા હેડેક-માઈગ્રેન ક્લિનિક કર્યું છે.
જુના સમયમાં અમે મહુવા કે ઝોઝમેર ગામે જોતા કે વરસાદની હેલી ચઢે ત્યારે ગામના લોકોની ધીંગી પાચન શક્તિ હતી એટલે ગરમ ગરમ ભજીયાને માટે જીભ સળવળતી આજે તો રોટલી પણ ન પચાવી શકનારા મોનોસોડીયમ ગ્લુટામેટ ઉર્ફે આજીના મોટાના જાપાની-મોંઘા પાવડરથી કૃત્રિમ રીતે સ્વાદિષ્ટ બનાવેલા તળેલા, કે ભુંજેલા નાસ્તા શેરીએ શેરીએ વેચાય છે.
સ્ત્રીઓની જીભ વધુ સળવળે છે સ્ત્રીઓ ચંચળ છે, કોમળ છે. જરી વાતમાં દુ:ખ લાગે છે એટલે ડૉ. કેરોતીન બર્નસ્ટિન (એમ.ડી) તેના પુસ્તક ‘‘ધ માઈગ્રેન બ્રેઈન’’માં લખે છે કે દરેક પાંચ વ્યક્તિમાંથી એકને આજે માથાનો દુખાવો કે માઈગ્રેન થાય છે તેમાં સ્ત્રીઓની સંખ્યા ત્રણ ગણી છે. તેના આંકડા પ્રમાણે દરેક પાંચ અમેરિકન સ્ત્રીમાંથી એકને માઈગ્રેન છે, પણ હવે આ આંકડો ભારતના શહેરોને ય લાગુ પડ્યો છે. કેરોલીન બર્નસ્ટિન કહે છે કે ૧૨ વર્ષની બાળકીને પણ માઈગ્રેન થાય છે.
આવી બાળકી કે તેના મોન્ટરોને મમ્મીઓએ કહ્યું નથી કે ચોકલેટ થકી માથાનો દુખાવો ‘ટ્રિગર’ થાય છે (ઉછળે છે) બજારૂ નાસ્તામાં ન્યુટા સ્વીટ કે એસ્પેરેટેપ નામનું કૃત્રિમ ગળપણ, વાસી પનીર, રેસ્ટારોમા સ્વાદિષ્ટ વાનગી બનાવવા વપરાતો આજીનો મોટો અને હોટેલના ઈડલી ઢોસામાં તમારી કે હોટલના માલિકની જાણ વગર ટાયરેમાઈન નામનું આથો લાવતું રસાયણ માઈગ્રેન પેદા કરે છે.
ડૉ. કેરોલીન કહે છે કે તમામ બજારૂ માઈગ્રેનની દવામાં અમુક પ્રમાણમાં કેફેન હોય છે અને તેથી જ તમે દુખાવાની ટીકડી લો ત્યારે રાહત લાગે પણ બંધ કરો એટલે વ્યસની ટીકડી હોઈને ફરી ફરી દવા લેવી પડે છે. તમે તેથી જ ભારતમાં R ૨૫ અબજનો વકરો દવાની ટીકડીથી માડીને ‘બામ’ બનાવતો શેરીનો ફેરિયો ફેરિયામાંથી અબજપતિ બન્યો છે.
અમેરિકામા તો નેશનલ હેડેક ફાઉન્ડેશન ઊભું થયું છે. ૩.૫ કરોડ અમેરિકનો માથાના દુખાવાથી પીડાય છે. એડવીલ, મોટરીન, એસ્પ્રો, કોલ્ડારીન, ઈબ્રુપ્રોફેનથી માંડીને અનેક ટીકડીઓ ગળાય છે માથામાં ગરમ સળિયા ભરાવાતા (૧૯મી સદીમાં), ૨૦મી સદીમા કપાળમાં ડામ દેવાતા, કપાળમાં કાણું પાડી તેમાં લસણની પોટલી મુકતા અબુ અલ કાસીમને પગલે મહુવાની પીરની જગામાં રહેતાં ‘બાપુ’ કપાળે ડામ દેવા આવતા. ખેરખર તો માઈગ્રેન એ જ્ઞાનતંતુનો રોગ છે. સાચુ, માનશો? જો તમે, મજબુત મન કરીને ‘માઈગ્રેન’ એક નઠારૂ માણસ હોય તેમ કહી દો કે ‘‘જા હું તને સ્વીકારતો નથી.’’ તો દુખાવો ભાગી જાય તેમ ઘણાં મનોવિજ્ઞાની કહે છે.
તમે સ્વીકારો કે ન સ્વીકારો જુલીયસ સીઝરથી માંડીને નેપોલીયન, વીન્સેન્ટ વાનગો, સગિમન્ડ ફ્રોઈડ, મહાન જર્મન ફિલસૂફ નિત્સેને અને મહેન્દ્રસિંહ ધોનીને માથાનો દુખાવો થાય છે. પછી તેમને જતી જિંદગીએ ખબર પડી કે તેમનો જ્ઞાનતંતુને તંગી કરીને માથાનો દુખાવો પેદા કરનારા બીજા રાજકારણીઓ, પત્રકારો અને ખાસ તો તેમની પ્રેમિકાઓ અને પત્નીઓ હતી. જ્ઞાનતંતુ મજબૂત રાખી સાદો ખોરાક રાખો તો માથાના દુખાવાથી સમગ્ર દુનિયાને જે ૧૪૦ અબજ પાઉન્ડનું અર્થતંત્રનું નુકશાન થાય છે. તે નિવારી શકાય.