મીઠીવીરડી ગામે અમેરિકાની વેસ્ટિંગ હાઉસ નામની વીજળી કંપની ૧૧૫૦ મેગાવોટ વીજળી આપતો પ્લાન્ટ ઊભો કરવામાં મદદ કરશે. જો ૨૦૧૬ સુધીમાં અણુ વીજળી પ્લાન્ટ ઊભો થઈ જાય તો કચ્છ-કાઠિયાવાડની અને ગુજરાતનાં થોડાં શહેરોની વીજળીની ભૂખ ભાંગી જાય.
કેવો યોગાનુયોગ છે કે જે મીઠીવીરડી ગામે ન્યુક્લિયર પાવર કોપોરેઁશનના ચીફ પ્રોજેક્ટ ઇજનેર પંકજ શાહ તે ગામે. અમે નાના હતા ત્યારે ડૉ.. વિક્રમ સારાભાઇનાં માતા સરલાબહેન, રશિયન ચિત્રકાર સર નિકોલસ રોરીક અને બીજા વિજ્ઞાનીઓ મીઠીવીરડીના લોકજનોનાં દાંડીયારાસ અને ગરબી જોવા આવેલા. આજે છ-સાત દાયકા પછી મીઠીવીરડીના દરિયાકાંઠે અણુ વીજળી પ્લાન્ટનો પ્રોજેક્ટ ચર્ચાય છે.
કોલસાથી વીજળી પેદા થાય તેના વિષયમાં પવનચક્કીની વીજળીથી માંડીને સૂર્યશક્તિને નાથીને વીજળી પેદા કરવાની ખર્ચાળ માથાફૂટના વિકલ્પમાં હવે અણુવીજળી આપણી વીજળીની ભૂખ ટાળશે અને જો મીઠી વીરડીમાં ૨૦૧૬ સુધીમાં અણુ વીજળી પ્લાન્ટ ઊભો થઈ જાય તો કચ્છ-કાઠિયાવાડની અને ગુજરાતનાં થોડાં શહેરોની વીજળીની ભૂખ ભાંગી જાય. આ આખા સુંદર સોનેરી ચિત્રની આધારભૂત વિગતો મીઠી વીરડીના અણુ પ્રોજેક્ટના સૂત્રધાર પંકજ શાહે વીજળીનો આખો એન્સાઈકલોપીડિયા ખોલ્યો, વાંચ્યો.
કોઈ પણ પ્રકારે પેદા થતી વીજળીનો સરેરાશ વપરાશ જગતનો ૨૫૦૦ યુનિટ છે ત્યારે ભારત વીજળીમાં ગરીબ છે. આપણો માથાદીઠ વીજળીના વપરાશમાં ૧૪૯મો નંબર છે. માથાદીઠ માત્ર ૭૫૦ યુનિટ એટલે જગત કરતાં લગભગ ચોથા ભાગની વીજળી વાપરીએ છીએ. કોલસાથી વીજળી મળે તેની બળતરા એ છે કે એક કિલો કોલસો વપરાય તેની સામે ત્રણ કિલો કાર્બન પેદા થાય. તે પર્યાવરણ બગાડે અને જગતના હવામાનને ગરમ કરે. શાહસાહેબે કહ્યું કે આજે જગતમાં જે બેફામ રીતે કોલસો વપરાય છે તે જોતાં કોલસાના સ્તરો માત્ર ૬૦ વર્ષ ચાલશે. ભવિષ્યની દ્રષ્ટિએ પર્યાવરણને ન બગાડનાર વૈકલ્પિક સાધન અણુવીજળીની જ છે.
ધારો કે ભારતમાં કોલસાને બદલે બીજા વીજળીના સ્ત્રોતો વાપરીએ તો, પાણીના ધોધમાંથી વીજળી મળે. પણ ભારતમાં જ્યાં જ્યાં પાણીના ધોધ છે તે ત્યાં હાઈડ્રો ઇલેક્ટ્રિક પ્લાન્ટ થઈ ચૂક્યા છે. તેમાંથી બહુ બહુ તો જરૂરની પાંચમા કે છઠ્ઠા ભાગની વીજળી મળે. ગેસમાંથી વીજળી પેદા થઈ શકે છે પણ ભારતમાં ગેસના સ્તરો બહુ નથી. પવનચક્કીથી સસ્તી-ચોખ્ખી વીજળી મળે. તેને વિજ્ઞાનીઓ કલીન સોર્સ ઓફ એનર્જી કહે છે પરંતુ પવનચક્કીઓ વિશાળ જમીનના પટ્ટ ખાઈ જાય. ૫૦૦ મેગાવોટ વીજળી માટે પવનચક્કીઓને ૧૨૦૦૦ હેકટર જમીન જોઈએ. ત્યારે શાહસાહેબના કહેવા પ્રમાણે ૬૦૦૦ મેગાવોટ વીજળી માટે ફકત ૭૦૦ હેકટર (અઢી એકર) જમીન જ જોઈએ.
વિજ્ઞાનીઓ સતત અણુવીજળીને પણ કલીન વીજળી કહે છે. તેના થકી કોઈ ગેસ પેદા થતો નથી. પર્યાવરણનો પ્રશ્ન નથી અને જંગી પ્રમાણમાં અણુ પ્લાન્ટમાંથી વીજળી વીંયાય છે. મીઠીવીરડી પસંદ કરતા પહેલાં ઇજનેરો-વિજ્ઞાનીઓએ જોયું કે આ કાઠિયાવાડનું ગામ ધરતીકંપના પટ્ટામાં તો નથી ને? વળી અણુવીજળી કેન્દ્રની જગા કોલસાનાં ફિલ્ડથી દૂર હોવી જોઈએ. નસીબે કે કમનસીબે ગુજરાતમાં કોલસાની ખાણો નથી. વળી એક વીજળી પ્લાન્ટ જે કોલસાથી ચાલે છે તે એક આખી ટ્રેનના વેગનનો ભરેલો કોલસો ખાઈ જાય છે. તેમાંથી ધુમાડા તો ઠીક પછી રાખ પણ પેદા થાય. જોકે અમુક રાખ સિમેન્ટ કે ઇંટોમાં વપરાય છે.
આપણે જોયું કે જે વીસ અણુ પ્લાન્ટો ભારતમાં છે તે સ્થળ નજીક કોલસા નથી.૧૯૬૯માં તારાપુરમાં પ્રથમ અણુપ્લાન્ટ સ્થપાયો ત્યારે પત્રકાર તરીકે અમે ભાગ્યશાળી હતા કે તે જોયો. છેક ૧૯૬૩થી ભારતમાં અણુ વીજળી પ્લાન્ટની વાતો ચાલતી હતી. પણ અમેરિકા આડું આવતું હતું. પછી જ્યારે ભારતે પોખરણમાં વાજપેયીજીની હાજરીમાં અણુ પ્રયોગ કર્યો ત્યારે તારાપુરમાં અણુ ટેક્નોલોજી આપનાર અમેરિકાએ તેની ટેક્નોલોજી આપવાનું બંધ કર્યું.
આજે જગતની-યુરોપની સરખામણીમાં અણુવીજળી પ્લાન્ટો ભારતમાં બહુ ઓછા છે તેનું કારણ એ પણ છે કે અમેરિકાની પ્રારંભિક અવળચંડાઈ પછી આપણે આપણા જ વૈજ્ઞાનિક બળ ઉપર અણુપ્લાન્ટો ઊભા કર્યા છે. વળી આપણે અણુ બોમ્બ બનાવ્યો છતાં પણ તેનાથી હિંસા કરી નથી. તે જગતને બતાવ્યું છે. મોડે મોડે પ્રમુખ જયોર્જ બુશ અને બીજા દેશોને અક્કલ આવી. ઉપરાંત શાહસાહેબના કહેવા પ્રમાણે ડૉ.. અનિલ કાકોડકર અને વડા પ્રધાન ડૉ.. મનમોહનની ડિપ્લોમસી થકી આપણે અમેરિકા પાસેથી અણુ ટેક્નોલોજી મેળવવામાં તેમ જ યુરેનિયમ નામનો અણુ વીજળી માટેનો પદાર્થ મેળવવામાં સફળ થયા.
આપણા અણુ વિજ્ઞાનીઓનો મત હતો કે આપણે મોટી સાઈઝના પ્લાન્ટ ઊભા કરવા. ૧૦૦૦ યુનિટ વીજળીના તૈયાર પ્લાન્ટ આયાત કરી તેની ડિઝાઇન અને ટેકનીક વાપરી તે પ્લાન્ટને ભારતમાં એસેમ્બલ કરવા. આવા પાંચ પ્લાન્ટની વાત થઈ. પહેલો આવો પ્લાન્ટ કન્યાકુમારીના દરિયાકાંઠે કુડનકોલન ખાતે ઊભો થયો છે. બીજો મહારાષ્ટ્રના જૈતાપુર જે ગામ રત્નાગિરીના દરિયાકાંઠે આવેલું છે ત્યાં અણુપ્લાન્ટ થશે. ત્રીજા માટે આપણું મીઠીવીરડી ગામ પસંદ થયું છે અને ત્યાં અમેરિકાની વેસ્ટિંગ હાઉસ નામની વીજળી કંપની સેવા આપીને ૧૧૫૦ મેગાવોટ વીજળી આપતો પ્લાન્ટ ઊભો કરવામાં મદદ કરશે.
અણુ વીજળી વિષે વધુ લેખનો હપ્તો હવે આપવો નથી. પણ આપણે પૂણૉહુતિમાં જાણીએ કે ‘ન્યુક્લિયર પાવર કોર્પોરેશન’ જેની વડી કચેરી મુંબઈમાં છે તેનો કુલ મેનપાવર ૧૧૦૦૦નો છે. મીઠીવીરડીમાં અણુ પ્લાન્ટ ઊભો કરવા એક આખું અણુવિલેજ ઊભું થશે. તે નજીકના કુકડ ગામે થશે. ત્યાં ૩૦૦૦ અણુવર્કરો હશે. ગુજરાત આનંદે. એક સૌરાષ્ટ્રનું ગામડું જગચોતરે ચઢશે. અચ્યુતમ્ કેશવમ. અધૂરી વાત પછી પૂરી કરીશું.