ભલે શરીરને સુંદર રાખો પણ સવારથી તમારું ફિકસેશન બાહ્ય નહીં, આંતરિક હોવું જોઈએ. તમારી જાતને બાહ્ય ધોરણથી નહીં માપો. બીજા લોકો તમારું કેટલું મૂલ્ય આંકે છે તેની પણ બહુ ચિંતા રાખો નહીં
અણ્ણા હજારે થકી એક લાભ થયો છે કે આપણને સૌને આત્મપરીક્ષણ કરવાનો મોકો મળ્યો છે. તેને હું ત્રણ ભાગમાં વાચકને રસ પડે અને ઊંડેથી સમજાય તે રીતે રજુ કરું છું. (૧) એક તો સ્ત્રીઓ જે પોતાને જેવી છે તેવી સ્વીકારતી નથી. ઉંમરને સ્વીકારતી નથી. ઈશ્વરે આપ્યો છે તે ચહેરાને અને પ૦ની ઉંમર પછી તેની ઉંમરને સ્વીકારવા તૈયાર નથી. (૨) બીજા- ત્રીજા ભાગમાં મારે ફિલોસોફરોની વાત કહેવી છે કે તમે શું સવારે તમારો ચહેરો અરીસામાં જોયો છે ? (૩) ત્રીજા ભાગમાં રશિયન ચિંતક હ્યુજીનેવ યેવતશેંકોની ઘણી વિચારવા જેવી વાત છે. અણ્ણા હજારેએ ભ્રષ્ટાચાર સામે લડત આરંભતા પહેલાં પોતાનું આત્મપરીક્ષણ કરવું જરૂરી હતું. તે સંદર્ભમાં નીચેના ત્રણ ટુકડા લખું છું.
(૧) યહૂદી ધર્મને ચુસ્તપણે પાળે છે તે એકદમ પ્રશંસાપાત્ર નિયમ છે. મેં ઇઝરાયલની મુલાકાતમાં જોયેલું કે કેટલાય યહૂદી ઘરોમાં સવારે અરીસાઓની ઉપર પડદા ઢાંકી દેવાય છે એટલે સવારે જુવાન છોકરીઓ અને પત્નીઓ અરીસામાં ચહેરાને અને પોતાનાં વસ્ત્રોની શોભા જોવાને બદલે પોતાનું આંતર પરીક્ષણ કરે.‘ફોબ્ર્સ’ મેગેઝિનમાં મેડમ એલન વેનરેબે લખ્યું છે કે (૨૩-૯-૧૧)આમ કરવાનું પ્રયોજન એ જ કે સવારે તમામ સ્ત્રી-પુરુષો બાહ્ય શરીરને બદલે આંતરપરીક્ષણ કરી શકે.
ધે હેવ ટુ ફોકસ ઇન્ટરનલી ચેન્જ ધ ફિકસેશન. ટેક ડાઉન ધ મિરર્સ. ભલે શરીરને સુંદર રાખો પણ સવારથી તમારું ફિકસેશન બાહ્ય નહીં, આંતરિક હોવું જોઈએ. તમારી જાતને બાહ્ય ધોરણોથી નહીં માપો. બીજા લોકો તમારું કેટલું મૂલ્ય આંકે છે તેની પણ બહુ ચિંતા રાખો નહીં.
તમારા શરીરને કે ચહેરાને સુંદર રાખવામાં જે એનર્જી ખર્ચો છો તે જ ઊર્જા તમે તમારું આત્મપરીક્ષણ કરવામાં ખર્ચો. આને અંગ્રેજીમાં સેલ્ફ રિફલેકશન કહે છે. ૨૧મી સદીની અબળખા સમજવા જેવી છે. સ્ત્રીઓ આજ-કાલ વધુ પ્રેટ્ટિયર, વધુ સેક્સી અને વધુ યુવાન દેખાવા માગે છે, પણ એવી ઇચ્છાની અતશિયતા થવા લાગી છે. વિમેન સ્ટ્રાઈવ ટુ બી સમવન, ધે આર નોટ. બહુ ગંભીર તારણ છે. સ્ત્રીઓ જે નથી તેનો દેખાડો કરવા માગે છે. અરે બાપલા! જેવા છો તેવા જ દેખાઓ.
તમે ભલે કોઈ ધર્મમાં ન માનો પણ સેલ્ફ રિફ્લેકશનમાં માનવું જ પડશે. તમારે નાર્સિસીઝમ અથૉત્ તમારા ઉપર જ મોહી પડવાની ઝંખનામાંથી બહાર નીકળવું પડશે. પોતાના ઉપર જ મોહિત થવા માટે અને સુંદર દેખાવા માટે સ્ત્રીઓ આજે તેના ચહેરાને જુવાન બનાવવા એકલા અમેરિકામાં પચીસ લાખ ‘બોટોકસ’નાં ઓપરેશનો કરાવે છે. શરીરમાં બોટોકસના રસાયણનું ઝેર ઘૂસાડે છે.
સ્ત્રીઓના મગજ ઉપર આજે સૌથી વધુ બોજ પોતાને યંગ અને બ્યુટીફુલ બતાવવાનો છે. પણ સમાજને કાંઈ બહુ પડી હોતી નથી. આ બોજ સ્ત્રીઓએ પોતે જ પોતાના પર નાખ્યો છે. એ બોજ સેલ્ફ ઇમ્પોઝ્ડ છે. આજે હવે ભારતમાં ૨૦૧૫ સુધીમાં બહાર ઓફિસે જતો વર્કફોર્સ સ્ત્રીઓનો થશે. સ્ત્રીઓ ભારતના અર્થતંત્રના રથના બળવાન ઘોડલા (કે ઘોડલી) થશે. તો પછી શું કામ સ્ત્રીઓ પોતે જ પોતાને સેકન્ડ કલાસ સિટઝિન માની સૌંદર્યના લપેડા અને બોટોકસનાં પ્રોસજિર કરાવે છે ?
(૨) મારે મહત્વનો પ્રશ્ન પૂછવો છે. ઘણી સ્ત્રીઓ શું કામ સવારે અરીસામાં પોતાનો ચહેરો જોતાં ડરે છે. જવાબ અઘરો છે. કવિ ઇમરસને કહેલું કે માત્ર રોટી કમાવા માટે જીવવા કરતાં કોઈ રૂપસુંદરી માટે મરી જવું બહેતર છે. પરંતુ ઇમરસન સાહેબ! તકલીફ એ વાતની છે કે જે રૂપસુંદરીના રૂપ માટે તમે મરવા તૈયાર છો તે રૂપસુંદરીને પોતાને જ સવારે પોતાનો ચહેરો અરીસામાં જોતાં ડર લાગે છે! અંજુ મહેન્દ્રુ નામની અભિનેત્રી ક્રિકેટર ગેરી સોબર્સના પ્રેમમાં હતી.
તે ગેરી સોબર્સ બિચારો કહેતો હતો કે તેને પોતાનો ચહેરો ગમતો નથી ! ફિલોસોફરો કહે છે કે રૂપાળું હોવું કે કદરૂપા હોવું તે રિલેટીવ વસ્તુ છે. કોઈની સરખામણીમાં જ તમે વધુ રૂપાળા કે અસુંદર કે કદરૂપા હોવ છો. ગ્રીસની સુંદરી હેલન ઓફ ટ્રોયને લોકો માત્ર કર્ણોપકર્ણ સુંદર માનતા. તેને કોઈએ જોઈ નહોતી પણ જ્યારે બહાર આવી ત્યારે લોકોને થયું કે આ બાઈ કરતાં તો ગ્રીસમાં ઘણી વહુવારુઓ વધુ સુંદર છે !
આપણા ચહેરા વિષે મિત્રો, પત્ની, પ્રેમી કે પતિ જે નથી કહી શકતા તે અરીસો કહી દે છે. ‘ધેર ઇઝ ગોડ ઇન ધ મિરર. આ શેકસપિયરના વાક્યને લેખનું એકમાત્ર અંતિમ વાક્ય માનો. કવિ કહેવા માગે છે કે આપણે અરીસામાં ચહેરો જોઈએ છીએ તે ઈશ્વરનું જ બીજું રૂપ છે. તે કદરૂપા કે સુંદર ચહેરાને માણસ દૈવીતત્વ તરીકે સ્વીકારે અને વાણી તથા વર્તનથી તેને વધુ સુંદર કરતાં વધુ સાત્વિક બનાવે. સાત્વિક સૌંદર્યને ૨૧મી સદીનો મંત્ર માનો.
(૩) છેલ્લી વાત, રશિયન કવિ યુજિનેવ યેવત શિંકોની છે. તેમણે એક કવિતારૂપે કહેલું કે માનવીના ચહેરા પાછળ લપાયેલો બીજો ચહેરો છે... પરંતુ હું તો દરેક માનવીના આ લપાયેલા ચહેરામાં તેનું કવિવત્વ જોઉં છું. દરેક વ્યક્તિ કવિ છે. પોતે જ કવિતા લખી શકે છે. પણ એ લપાયેલા ચહેરાના કવિ તત્વને આપણે પોષતા નથી.
બીજું, તમારા ચહેરાનું દર્શન કરો ત્યારે બીજી એક મહત્વની વાતની નોંધી લેવાનું કવિ યુજિનેવ યેવત શિંકો કહે છે. દર્પણમાં ઊંડાણથી જોશો તો લાગશે કે તમે માત્ર એક જ વ્યક્તિ નથી પણ અનેક વ્યક્તિનો બનેલો સરવાળો છો. તમારે તમારા ચહેરામાં અનેક ચહેરાને પારખવાના છે.
એવું નહીં કરો ત્યાં સુધી તમે તમને પામી નહીં શકો. તમારી અંદર એક ખેડૂત, કલાકાર, ચિત્રકાર, તમારામાં ઝવેરચંદ મેઘાણી કે કલાપી કે અમિતાભ બચ્ચન છુપાયેલા છે. યેવત શેંકોનું અંતિમ વાક્ય-માનવજાત એ અન્યોન્યના આશ્રયથી જોડાયેલું જીવંત ઘટક છે. અણ્ણા હજારે કે હું કે તમે બધા છો તે બીજા અનેક લોકોની મહેરબાની થકી છીએ.