ભારતના ૨૦ લાખ હીજડા તેમને મળેલી સ્થિતિને બહુ જ મુશ્કેલીથી નિભાવે છે. ઘણી વખત તેમણે વેશ્યાગીરી પણ કરવી પડે છે અને સજાતીય લોકો સાથે તેને રીઝવવા ગંદી હરક્તો કરવી પડે છે.
હિન્દુસ્તાનની માનવજાતના વીસ લાખ જીવો વિષે લખતાં ખૂબ પીડા થાય છે. પ્રશ્ન થાય છે કે શું કામ ? શું કામ ? વિધાતાએ અમુક લોકોને હીજડા બનાવ્યા? આવી ક્રૂરતા શું કામ ? રોમન રાજા પ્યુબિલિયસે જોકે વહેલાસર કહેલું કે ડેસ્ટિની કે વિધાતા પણ ભૂલો કરે છે પણ વિધાતાએ આપેલી સ્થિતિને માનવે નિભાવવી રહી કારણ કે વિધાતાએ દરેક જીવમાં થોડી થોડી ડિવિનિટી પણ મૂકી હોય છે. આવી ડિવિનિટી અથૉત્ દેવતા કે દેવતાપણું જગાડવા વિધાતાના મારેલા લોકો ગુરુ શોધે છે કે ભકત બને છે અને અમુક જણ બહુચરાજીની યાત્રાએ જાય છે.
બહુચરાજીમાં હીજડાઓની જબરી વસતિ હોય છે. સાથેસાથે ભણેલા-ગણેલા અને લગ્ન પછી લાંબે ગાળે પણ સંતાન ન થતું હોય તેવા લોકો પણ જોવા મળે છે. બહુચરાજીના મંદિર નજીક હીજડાઓનો મઠ છે ત્યાં ૨૦૦૦ જેટલા હીજડા રહેતા. તેમાં એક ગ્રેજ્યુએટ થયેલો હીજડો પણ હતો. નિ:સંતાન યુગલ બહુચરાજીની પૂજા કરે પછી હીજડા તેને ઘેરીવળીને ખોળાનો ખૂંદનાર, આલો બહુચર મા...વાંઝિયા મેણું ટાળો બહુચર મા...એવો રાસ ગાય છે.
આ બહુચરાજીનું મંદિર એ ગુજરાતની એક શક્તિપીઠ છે. મહેસાણા જિલ્લામાં આવેલું છે. જૂનું મંદિર ૧૭૮૩માં બંધાયેલું. તેના જીર્ણોદ્ધાર માટે પછી અહીં આઁવતા ૧૫ લાખ યાત્રાળુને સગવડ મળે તેવી વ્યવસ્થા ગુજરાત સરકારે R ૧૧ કરોડના ખર્ચે કરી છે. પવિત્ર તળાવ, માનસરોવર, અન્નપૂણૉ ભવન અને બગીચો વગેરે તૈયાર થયાં છે કે થાય છે. જો આ યાત્રાએ જાઓ તો નજીકમાં મોઢેરાનું સૂર્યમંદિર પણ જરૂર જોજો અને નજીકમાં વડનગર છે. નજીકમાં જ આરોગ્યના દેવતા મનાતા હાટકેશ્વર મહાદેવ છે. ગુજરાત સરકારે મંદિર પાસે શર્મિષ્ઠા તળાવ પણ બનાવ્યું છે. ઘણાની શ્રદ્ધા છે કે બહુચરાજી માતા તેના દર્શને આવનારાને માતા વીરીલીટી આપે છે. સંતાનવાળો બનાવે છે. મહાભારતમાં કથા છે કે દ્રુપદના પુત્ર શિખંડીએ બહાદુરી અને વીરીલીટી માટે બહુચરાજીને પૂજ્યાં હતાં.
આજે મહારાષ્ટ્ર અને મુંબઈમાં ઘણા લોકો બહુચરાજીનું નાનું મંદિર જેને માતાની ચોકી કહે છે તે ઘરે રાખે છે. મહારાષ્ટ્રના રાજકારણી કૃપાશંકર સિંહ માતાજીના ભકત છે. ઝાયેદ ખાન પણ માતાની ચોકીનાં ભજન ગાવા આવે છે.કરાચીમાં બહુચરમાતાનું મંદિર છે ત્યાં નવરાત્રિ અને બીજા પ્રસંગોએ નાચગાન કરવા પાકિસ્તાની હીજડા આવે છે. માર્ચ મહિનામાં કરાચી શહેર બહુચરમાતાના ભકતોથી ઉભરાય છે. મહાભારતમાંય હીજડાના અસ્તિત્વને બહુ જ રુડી રીતે સ્વીકારાર્યું છે. પાંડવોના વનવાસ દરમિયાન અર્જુને બૃહન્નલા નામ ધારણ કરીને હીજડાનું રૂપ લેવું પડેલું.
વિરાટનગરમાં અર્જુન હીજડા વેષે સંગીત નૃત્ય શીખવતો. આ બતાવે છે કે નાની વ્યક્તિથી માંડીને મહાન વ્યક્તિ તમામે વિધાતાના ખેલને ખેલી લેવા પડે છે. આનંદથી વિધાતાએ આલેખેલી સ્થિતિ જે નિભાવે છે તે અંતે મોક્ષ પામે છે. પરંતુ ભારતના ૨૦ લાખ હીજડા તેમને મળેલી સ્થિતિને બહુ જ મુશ્કેલીથી નિભાવે છે. ઘણી વખત તેમણે વેશ્યાગીરી પણ કરવી પડે છે અને સજાતીય લોકો સાથે તેને રીઝવવા ગંદી હરક્તો કરવી પડે છે.
હીજડા વિષે અવનવી માહિતી મળી તે વાચકો સમક્ષ પીરસું છું.
(૧) દિલ્હીમાં હીજડાઓનું યુનિયન છે. તેનો નેતા રાજ સિંહા છે. તે હીજડાઓના હક્ક માટે લડે છે. ભોપાલના હીજડા પાવરફુલ છે, તે માટે પણ ભોપાલ પ્રખ્યાત છે. શબનમ મૌસી નામનો હીજડો મધ્યપ્રદેશની ધારાસભામાં ચૂંટાઈ આવેલો. તેને માત્ર હીજડાના જ મત મળેલા તેવું નથી. રાજ્યમાં ભ્રષ્ટાચાર સામે આ હીજડો લડેલો તેથી ઘણા મત મળેલા. ઉપરાંત મ.પ્ર.ના કટની શહેરમાં કમલા જાન નામનો હીજડો મેયર તરીકે ચૂંટાયો હતો.
(૨) ઇટાલીના લે’ એસ્પ્રેસો મેગેઝિનનો પત્રકાર ભોપાલ આવીને હીજડા વિષે ઇન્વેસ્ટિગેશન કરી ગયેલો. તેણે લખેલું કે હીજડામાં કાંઈક મેજિકલ પાવર છે તેમ મનાતું. સંતાનહીન યુગલો બહુચરાજીની યાત્રા સાથે હીજડાને પણ ખુશ કરતા. સંતાન થાય એટલે છેક મુંબઈમાં પણ હીજડાને અમુક યુગલો R ૫૦૦૦ની બક્ષીસ આપે છે. રાજસ્થાન કે મધ્યપ્રદેશમાં નવા ઘરના વાસ્તુ વખતે પણ હીજડાને ખુશ કરાય છે. લે’એસ્પ્રેસો લખે છે કે કળિયુગમાં એક જમાનો એવો આવશે કે હીજડાનું રાજ હશે. રાજેશ તલવાર નામના લેખકે આંધ્ર અને તામિલનાડુના હીજડા વિષે પુસ્તક લખ્યું છે ‘ધ થર્ડ સેક્સ એન્ડ હ્યુમન રાઈટ્સ’.
(૩) હીજડાને કોઈ પ્રકારના અલગ પોલિટિકલ રાઈટ્સ મળ્યા નથી. ભોપાલના પાવરફુલ હીજડા પોતાની મેળે હક્ક પડાવે છે. ભોપાલના લેખક એન. ડી. શર્માના કહેવા પ્રમાણે હીજડાને અહીં કિન્નર કહે છે. કેટલાક હીજડા હવે તેનાં કર્મફળને શાંતિથી ભોગવવાના બદલે નવાં કર્મ બાંધતા જાય છે. નાના બાળકોનું અપહરણ કરીને તેનું લિંગછેદન કરીને પોતાની વસતિ વધારે છે. શર્માજી લખે છે કે હીજડાની અંદરની વેદનાને આપણે કદી સમજયા નથી. પણ શર્માજીને હું આશ્વાસન આપું છું કે મારી પુત્રીના પતિ કવિ જીત થૈલે ‘નારકો પોલીસ’ નામની નવલકથામાં જાતે હીજડા કોમ્યુનિટીને નિકટથી જાણીને તેમના વિશે લખ્યું છે.
જીત થૈલે હીજડાની કથાને ‘નારકો પોલીસ’ કહી છે કારણ કે મુંબઈ શહેર માત્ર ગંદકી જ નહીં પણ એક પ્રકારના ઘેનમાં સતત જીવે છે. હીજડાઓના બ્રોધેલમાં નાગરિકો પણ ગાંજા કે હેરોઇનવાળી ચુંગી કે હુક્કો પીવા આવે છે અને મુંબઈના ‘નર્કને વધુ નર્ક બનાવે છે. નર્કને ભૂલવા નાકોર્ટિકસનો નશો કરે છે. ડિમ્પલ નામની ૨૪ વર્ષની છોકરી હીજડો બનીને ઝીન્નત નામ ધારણ કરે છે. તેને પૂછાય છે ‘સ્ત્રી થવું સારું કે પુરુષ?’ જવાબ મજેદાર છે- વાર્તાલાપ માટે સ્ત્રી વધુ અને બાકી બધા માટે અને સેક્સ માટે પુરુષ થવું સારું છે.... પરંતુ પરંતુ સ્ત્રી કે પુરુષ એ શબ્દ અમને લાગુ પડતો નથી. અમે બેમાંથી કોઈ નથી. આઈ એમ નથિંગ -જાણે હું કાંઈ જ નથી. આ કોની ક્રૂરતા? વિધાતાની?