પર્યાવરણ-વાદીઓ મીઠીવીરડીના અણુવીજળી પ્રોજેક્ટ સામે ગાંગરે છે. તેને દેશમાં નહીં જગતમાં વીજળીની ખેંચનો ખ્યાલ છે.
ભોપાલના અખબાર નવેશોને ઘેર જાઓ કે ઋષિકેષનાં આશ્રમ કે લોનાવાલા કે કેરળના સિદ્ધાચલમ આશ્રમમાં જાઓ ત્યાં રોજ સવારે સૂર્યોદય વખતે સૂર્યને શું કામ અધ્ર્ય આપીને પૂજે છે કે પાયલાગણ કરે છે. અણુવીજળીના વાત લખતી વખતે સૂર્યના આપણા ઉપરનાં લાખ લાખ આશીર્વાદ યાદ કરવા જોઈએ. એ સૂરજ છે છતાં આજે ભારતના ૩૦ કરોડ ભાંડુઓ છતે પૈસે વીજળી વગર રહે છે. તે વખતે થોડો સમય સૂર્ય ન હોય તો શું થાય તે યાદ કરીએ. સૂર્ય માત્ર પ્રકાશ નહીં બીજું ઘણું આપે છે.
કલ્પના કરો કે આવતીકાલે સવારે સૂરજ ઊગે જ નહીં તો એકાએક આખી પૃથ્વી ઉપર શિયાળો ફેલાઈ જાય ટૂંક સમયમાં તમામ નદીઓ અને તળાવ ઠરીને બરફ થઈ જંગલોનાં વૃક્ષો અને પ્રાણીઓ મરવા માંડે. તમારી કારનું ડીઝલ કે કોઈ પણ તેલ ઠરીને ઠીકરું થઈ જાય. કોઈ એન્જિન કામ ન કરે. તમામ પાવરજનરેશન સ્ટેશનો સ્તબ્ધ થઈ જાય. ટ્રાન્સપોર્ટ બંધ. બધું જ બંધ પણ નસીબજોગે આવું થતું નથી. અંગ્રેજીમાં કહેવું વધુ પાવરફુલ લાગે છે. કે ‘‘વી ટેઈક ઈટ ફોર ગ્રાન્ટેડ.’’ ધ સૂરજ અને ઈલેક્ટ્રિસિટી આપણને સહજ રીતે મળે છે અને નાનું બચ્ચું બટન દબાવતાં શીખે ત્યારથી બટન દબાવે એટલે વીજળીનો બલ્બ પ્રગટવો જોઈએ જ તેમ માની લે છે. (ટેઈક ઈટ ફોર ગ્રાન્ટેડ.)
ફરી હું મા-બાપને વિનંતી કરું છું કે લંડનનાં સાયન્સ મ્યુઝિયમે રૂપાળું નાનકડું સચિત્ર વીજળીની કથાવાળું પુસ્તક ખાસ બાળકો માટે પ્રગટ કર્યું છે. તે મંગાવી લે. નામ છે. ‘‘આય વીટનેસ-સાયન્સ - લાઈટ)આમાંથી વીજળી વિશે સાદી ભાષામાં એ ટુ ઝેડ માહિતી મળશે. એ પછી ડેવિડ બોડાનીસનું પુસ્તક ‘‘હાઉ ઈલેક્ટ્રિસિટી સ્વીરડ ઓન ધ મોડર્ન વર્લ્ડ - ઈલેક્ટ્રિક યુનિવર્સિ’’એ યુવાનો અને બુઝર્ગો માટે છે અને હાલમાં દિવ્ય ભાસ્કરે જે ઉપાડો લીધો છે તે અણુવીજળીના જન્મથી જ વાત જાણવી હોય તો હમણા સુંદર પુસ્તક પ્રગટ થયું છે.
‘‘ધ મેન હું ઈન્વેન્ટેડ ટવેન્ટીએથ સેન્ચુરી (ઈલેક્ટ્રિસિટી) લેખક છે રોબર્ટ લોમાસ અને છેલ્લે ‘‘ધ એટમીક બઝાર - ધ રાઈઝ ઓફ ધ ન્યુકલીઅર પુઅર’’ પુસ્તકના લેખક છે વિલિયમ લેન્જ વીશચે. એ પછી ભારત વિશે વધુ ગૌરવ હોય તો ‘‘ધ મેઈકિંગ ઓફ ધ ઈન્ડિયન એટમિક બોમ્બ’’ પુસ્તક છે. લેખક છે ઈટ્ટી અબ્રાહમ નામનું છે.
મને ય બધાં નામો લખવાનું આકરું લાગે છે પણ છુટકો નથી. તો પણ ‘‘વિક્રમ સારાભાઈ -એ લાઈફ’’ એ તો ભારતને હોમી ભાભા સાથે મળીને અણુ બોમ્બનાં દર્શન કરાવનારા ગુજરાતના સપૂતના જીવન વિશેનું અમ્રીતા શાહનું પુસ્તક જરૂર વસાવવું. દેશના કમનસીબ છે કે ડૉ. હોમી ભાભા પૂર્ણ અણુશક્તિ વિકસાવીને ભારતને અણુબોમ્બ આપે તે પહેલાં ૪૬ વર્ષ અગાઉ ભેદી વિમાન અકસ્માતમાં ગુજરી ગયા અને પછી અમને પત્રકારોને હૃદયની બળતરા ઠાલવવા મુંબઈમાં ગેટ વે ઓફ ઈન્ડિયાની એટમિક એનર્જી કમિશનની સાંકડી ઓફિસમાં ડૉ. વિક્રમ સારાભાઈ ૨૬-૫-૧૯૭૦ના રોજ મળ્યા પછી ૩૦-૧૨-૧૯૭૧ના રોજ કુદરતે ક્રુર ઉતાવળ કરીને ડૉ. વિક્રમને બાવન વર્ષની યુવાન વયે અધૂરાં સપનાં સાથે ઉપાડી લીધા.
આજથી ૪૨ વર્ષ પહેલા ડૉ. વિક્રમ સારાભાઈ તેમની ઓફિસમાં મને એકલા મળેલા. આજે તો અમેરિકનો ડૉ. મનમોહનસિંહને પટાવીને લટુડાં પટુડાં કરીને પોતાની અમેરિકન વીજકંપનીને ભારતનાં ડઝનબંધ અણુવીજળી પ્લાન્ટ સ્થાપવા આપણી દાઢીમાં હાથ ધાલે છે પણ ત્યારે ૪૨ વર્ષ પહેલાં ડૉ. હોમી ભાભા અને ડૉ. વિક્રમ સારાભાઈ માત્ર શાંતિઅર્થે અણુ શક્તિ વાપરવા માગતા હતા છતાં ભારતના રસ્તામાં કેટલાય રોડાં નાખતા હતા. દેશની કમનસીબી એ હતી કે કેટલાક વિલાયતી પાણી પીધેલા મધુસી પત્રકારો અમેરિકનોની ભેર તાણીને ડૉ. ભાભા અને ડૉ. સારાભાઈને અણુશક્તિ વિકસાવવામાં રોકતા હતા. કહેતા કે ‘‘ભારત જેવા ગરીબ દેશને વળી અણુવીજળીના શોખ શેના?’’!!!
અણુવીજળી શક્તિનાં વિકાસનો ઈતિહાસ ઘણો લાંબો છતાં સમયની દ્રષ્ટિએ ટૂંકો છે. ૨-૧૨-૧૯૪૨ના રોજ શિકાગો યુનિવર્સિટીના એક ફૂટબોલનાં સ્ટેડિયમ નીચે જ ફૂટબોલ શોખીન મતને પેટે જન્મે તો ઈટાલિયન વિજ્ઞાની ડૉ. એન્રીકો ફર્મિનાએ આપમેળે ચાલુ રહે તેવી અણુ વિસ્ફોટની સિરિયલ પ્રક્રિયા સિદ્ધ કરી. પણ તે પછી ૧૪-૧૪ વરસે સુધી અણુશક્તિના ઉપયોગથી આઘા રહેલા ભારતે અણુશક્તિનો ઉપયોગ કરવાના પ્રયોગો મોડે મોડે છતાં જલદી આદર્યા આપણે દોઢ દાયકો મોડા પડ્યા છતાં ટૂંક સમયમાં આપણે અણુક્ષેત્ર ખૂબ જ ક્રાંતિ કરી ગણાય.
૧૯૭૧ના અંતમાં અમેરિકાના પ્રબુદ્ધ વિજ્ઞાનીઓ અને કેનેડાના ભારત-શુભેચ્છકો આપણા વિજ્ઞાનીજ્ઞાનની તારીફ કરતા થાકતા નહોતા મોડું મોડું ભારતે ૨૦ અણુવીજળી પ્લાન્ટ સ્થાપીને તેની વૈજ્ઞાનિક સિદ્ધિ બતાવી છે. ખરેખર તો આખી વાત ભાવનગર નજીક મીઠીવીરડીમાં આપણા અણુઊર્જા વિભાગ વતી પંકજ એમ. શાહ જે આ પ્રોજેક્ટના ચાર્જમાં છે તેના મોઢેથી ભારતની અણુવીજળીની પ્રગતિની વાત જાણવી જોઈએ.
હજીય દેશનાં ૩૦થી ૩૫ ટકા ઘરો વીજળી વગરનાં છે. અમેરિકામાં ૧૦૨, પશ્ચિમ યુરોપમાં ૧૩૦ પૂર્વ યુરોપમાં ૬૭, ફ્રાંસમાં ૫૯, બ્રિટનમાં ૧૯ જર્મની એકલામાં ૧૭, સ્વીનમા ૧૦, સ્પેનમાં ૮, બેલ્જિયમમા ૭, સ્વિટ્ઝર્લેન્ડમાં પાંચ, ફીનલેન્ડ સાવ મૂઠી જેવડો દેશ છે ત્યાં ૪ અને નેધરલેન્ડ જે પવનચક્કીનો દેશ છે ત્યાં ૧ અણુવીજ પ્લાન્ટો છે. ભારતમાં ૨૦ અણુવીજળી મથકો છે. હવે વધુમાં ગુજરાતમાં ત્રણેક થશે. તે સદ્ભાગ્ય છે. પણ ધારો કે ૨૦૧૫માં શાહ સાહેબ મીઠીવીરડીનો અણુ પ્લાન્ટ શરૂ કરશે અને કાનાભાઈના ખેતરને વીજળીના પંપે ખેંચેલું પાણી મળશે ત્યારે આપણે તે વીજળી માટે બેડઝન વિજ્ઞાનીઓને યાદ કરવા પડશે.
વીજળી-પ્રકાશના ઈતિહાસમાં માયકલ ફેરાડે, એલેકઝાન્ડર બેલ, રોબર્ટ વોટસન વોટ, ઓટ્ટો લોવી, બ્રિટિશર જે. જે. થોમ્પશન, ન્યુઝીલેન્ડર અરનેસ્ટ રૂધર કોર્ડ વગેરે વગેરે સાથે આપણા ડૉ. ભાભા અને ડૉ. વિક્રમભાઈને યાદ કરી આભાર વ્યક્ત કરીએ. ફેરાડેએ તો ઝૂંપડાના અંધારામાં જન્મી જગતને પ્રકાશ આપ્યો!