નેહરુના સતત આડોડાઈભર્યા વલણથી પછી સરદારે ખૂબ જ માનસિક ત્રાસ ભોગવ્યો. તેમની તબિયત પર અસર થઈ. કોંગ્રેસ પ્રમુખ તરીકે પુરુષોત્તમદાસ ટંડનને ચૂંટવામાં નેહરુ આડા આવ્યા તેનાથી સરદારની તબિયત વધુ બગડી. ૧૫ ડિસેમ્બરે સરદારે દેહ છોડ્યો.
આસપાસ, કાંતિ ભટ્ટ વિધાતા તો માનવી પ્રત્યે ક્રૂર બને છે જ પણ મોટા દિગ્ગજ લોકો પણ વિધાતા કરતાંય વધુ ક્રૂર અકોણા અને કેટલાક અદેખા પણ બને છે. સદાશિવ કાનોજી પાટિલ ઉર્ફે સદોબા પાટિલ જે મહારાષ્ટ્રના બેતાજ બાદશાહ ગણાતા હતા તેમણે ઈતિહાસનું એક એક ગુજરાતીઓને વેદના થાય તેવું પ્રકરણ તેમની દુર્લભ આત્મકથામાં પ્રગટ કર્યું છે. આ પુણ્યતિથિએ સરદાર પટેલને જવાહરલાલ નેહરુ અને વિધાતાએ રચેલા ક્રૂર ખેલની વિગતો આપણે પાટિલની આત્મકથામાંથી જોઈએ. વિધાતાએ અને નેહરુ જાણે મળી જઈને સરદાર પટેલને વડાપ્રધાન થતા રોક્યા હતા. તે આધારભૂત વાત જાણવા જેવી છે.
કોંગ્રેસના ખજાનચી અને અન્ન પ્રધાન રહી ચૂકેલા સદોબા પાટિલ ૧૯૪૭ પછીની મહત્વની રાજકીય ઘટનાના સાક્ષી રહ્યા છે. તેની ચોંકાવનારી વાતો તેમની અપ્રગટ અગર દુર્લભ આત્માકથામાંથી જાણવા મળે છે. ‘જવાહર અને સરદાર પટેલ વચ્ચેની કડવાશને સદોબા પાટિલ જાણતા હતા એટલું જ નહીં ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્રબાબુ અને નેહરુ વચ્ચે કેવું અવિશ્વાસનું વાતાવરણ હતું તે પણ સદોબા પાટિલ જાણતા હતા. સદોબા પાટિલ ત્રણ - ત્રણ વખત મુંબઈના મેયર રહેલા. કાનોજી સખારામ પાટિલની બીજી પત્ની કૃષ્ણાબાઈના તે પુત્ર હતા. મુંબઈના મતવિસ્તારમાંથી ચૂંટાઈ તેઓ લોકસભામાં ગયા અને અન્ન પ્રધાન તરીકે અમેરિકા પાસેથી અનાજની સહાય મેળવી શક્યા હતા. સદોબા પાટિલ સરદાર પટેલની ખૂબ નિકટ હતા, તેમના ચાહક હતા. તેથી જ પાટિલને ૧૯૫૭ના પ્રધાનમંડળથી નેહરુએ દૂર રાખેલા.
(૧) જવાહરલાલ નેહરુ ડૉ.. રાજેન્દ્ર પ્રસાદને ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે ઇચ્છતા નહોતા. નેહરુને તો સી. રાજગોપાલાચારી પસંદ હતા. એ સમયે રાજેન્દ્રબાબુ કોંગ્રેસીઓમાં બહુ જ લોકપ્રિય હતા પણ જવાહરલાલ તો પરદેશ જતાં પહેલાં રાષ્ટ્રપતિ તરીકે સી. રાજગોપાલાચારીનું નામ ફિકસ કરી લેવા માગતા હતા. નેહરુ પોતાનું ધાર્યું કરાવનારા ‘ડેમોક્રેટિક’ ડિકટેટર હતા.
(૨) નેહરુનું આ બાબતમાં એટલું મક્કમ વલણ હતું કે બ્રિટન જતાં પહેલાં નેહરુએ એક કાગળ લખેલો તેમાં જણાવેલું ‘જો રાજેન્દ્રબાબુને રાષ્ટ્રપતિ બનાવશો તો હું વડાપ્રધાન તરીકે રહેવા માગતો નથી. આ પ્રકારનો કાગળ નેહરુએ બ્રિટન જવાની આગલી રાત્રે સરદાર પટેલને મોકલ્યો હતો.
(૩) વિધાતાના ખેલ જોઈ લો. તે રાત્રે સરદાર પટેલની તબિયત સારી નહોતી. જ્યારે નેહરુનો કાગળ આવ્યો ત્યારે પુત્રી મણીબહેને કાગળ લીધો. સરદાર ત્યારે સુતા હતા. મણીબહેનને ખબર પડી કે નેહરુનો કાગળ છે પણ તે સરદારની ઊંઘ બગાડવા માગતાં નહોતાં. આ કાગળ સવારે સરદારને આપીશ તેમ મણીબહેને નક્કી કર્યું.
(૪) બીજે દિવસે સવારે સરદારની તબિયત હજુ પણ સારી નહોતી તો પણ જવાહરને એરપોર્ટ ઉપર મળવા જવાનો સરદારે આગ્રહ રાખ્યો. મણીબહેન રાતવાળો કાગળ આપવાનું તો ભૂલી જ ગયાં. જ્યારે નેહરુએ સરદારને જોયા ત્યારે માની લીધું કે સરદારે તેનો કાગળ વાંચ્યો છે અને કશીક પ્રતિક્રિયા જણાવશે જ. પણ સરદાર તો એ કાગળથી સાવ અજાણ હતા. કાંઈ બોલ્યા નહીં. તે સમયે જ જવાહરે વળી ધારી લીધું કે દાળમાં કંઈક કાળું છે. ત્યારથી જ બન્ને વચ્ચે ગેરસમજના અને નેહરુના મનમાં કડવાશનાં બી વવાયાં. નેહરુ માનવા માંડ્યા કે તેમને વડાપ્રધાન ન થવા દેવાનો કંઈક ત્રાગડો રચાય છે !
(૫) એ ઘટના પછી નેહરુએ સરદાર સાથે જાણે અબોલા લઈ લીધા. સરદાર પટેલ નેહરુને વળાવી ઘરે આવ્યા ત્યારે મણીબહેને નેહરુનો કાગળ આપ્યો. સરદાર તો કાગળ વાંચીને શરૂમાં તો ગંભીર થઈ ગયા. સદોબા પાટિલે પૂછ્યું ‘શું વાત છે ? કંઈક ખોટું થયું છે ? ત્યારે સરદારે નેહરુનો કાગળ સદોબાને વંચાવ્યો. પણ પછી એકાએક સરદાર પટેલ જોર જોરથી હસવા લાગ્યા. સરદારનું આવું હાસ્ય ભાગ્યે જ કોઈએ જોયેલું. કોઈએ સરદારને હસતા જોયા નથી. એકાએક આવો પલટો કેમ થયો. સરદાર કેમ આટલું હસ્યા! સદોબા પાટિલનો પ્રશ્નાર્થવાળો ચહેરો જોઈ સરદારે ખુલાસો કર્યો.
નેહરુને હું સારી રીતે જાણું છું. રાજેન્દ્રબાબુ રાષ્ટ્રપતિ તરીકે પસંદ થાય અને નેહરુનું ધાર્યું ન થાય તો પણ નેહરુ વડાપ્રધાન પદ છોડી દે તે વાતમાં માલ નથી. સરદારનું તે સમયનું હાસ્ય કદાચ વેદનાનું હાસ્ય હશે. પણ સદોબા પાટિલ લખે છે કે નેહરુના સતત આડોડાઈભર્યા વલણથી પછી સરદારે ખૂબ જ માનસિક ત્રાસ ભોગવ્યો. તેમની તબિયત પર અસર થઈ. કોંગ્રેસ પ્રમુખ તરીકે પુરુષોત્તમદાસ ટંડનને ચૂંટવામાં નેહરુ આડા આવ્યા તેનાથી સરદારની તબિયત વધુ બગડી. ૧૫ ડિસેમ્બરે સરદારે દેહ છોડ્યો.
સરદારના અવસાન પછી પણ સરદાર પ્રત્યે નેહરુની આડોડાઈ ચાલુ રહી. સ્મશાનમાં અગ્નિદાહ વખતે નેહરુને સદોબાએ બે શબ્દો બોલવાનું કહ્યું નેહરુએ ચોખ્ખું સંભળાવ્યું ‘એવું જરૂરી છે?’ સરદારના સ્મારક માટે ઘનશ્યામદાસ બિરલાએ R ૫૦ લાખ આપ્યા ત્યારે પણ નેહરુએ કહ્યું ‘આટલી જંગી રકમ ખર્ચવાની જરૂર નથી.’ દિલ્હીના વિજય ચોકમાં સરદારનું પૂતળું બેસાડવા સામે પણ નેહરુએ વિરોધ કરેલો !!!