અમેરિકા ગયેલા ભારતીય અને ખાસ કરીને ગુજરાતી અમેરિકાને ભારે પડતા નથી.
ઊલટાના અમેરિકાની રાષ્ટ્રીય પેદાશ અને રોજગારી વધારે છે
અમે મહુવાની સ્કૂલમાં ભણતા હતા ત્યારે ૧૯૪૫માં કનુભાઈ લહેરી અને જસુ મહેતાની નેતાગીરી હેઠળ રાષ્ટ્રગીત ગાતા કે ‘સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા’. જરૂર આધ્યાત્મિક કે ધાર્મિક અર્થમાં કે નૈતિકતાના અર્થમાં આપણું હિન્દુસ્તાન સૌથી ટોચે હતું, છે અને રહેશે પણ આજે તો બધું નાણાંમાં જ મપાય છે. આર્થિક અને ઔધ્યોગિક ક્ષેત્રે ત્યારે ૧૯૪૫માં આપણે કંગાળ હતા પણ આજે તો વર્લ્ડ બેન્ક પણ કબૂલ કરે છે કે ૨૦૫૦માં તો ભારત જગતની ટોચે હશે, પણ આપણો વિષય છે નોન રેસિડન્ટ ઇન્ડિયન્સ અને એમાંય ગુજરાતીઓ જે પરદેશમાં વસીને માભોમને ભૂલ્યા નથી.
દર વર્ષે આપણા વિદેશ વસતા બંધુઓ માભોમને જે કમાણી મોકલે છે તેમાં ચમત્કારી વધારો થતો જાય છે. અરે, એ વાત જવા દો કે જગતમાં ચારેકોર મંદી છે. અમેરિકા અને ઇંગ્લેન્ડનું અર્થતંત્ર ખાડે જતું જતું રહી ગયું છે. એ દેશના લોકોનો જ તેમના દેશમાં મૂડી રોકવામાં રસ નથી. નાણાપ્રધાન પ્રણવ મુખરજીએ વિદેશી ભારતીયની ડિપોઝિટોના વ્યાજ હમણાં જ વધાર્યા છે. ૨૦૧૦ની સાલમાં ‘ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ’ એટલે કે વિદેશના મૂડીરોકાણકારોએ ભારતના શેરબજારોમાં ૨૮.૪ અબજ ડોલર એટલે કે R ૧,૩૫,૦૦૦ કરોડ રોક્યા હતા. વિદેશ વસતા ભારતીઓએ ભારતમાં વિશ્વ બેન્કના માર્ચ ૨૦૧૦ના લેટેસ્ટ આંકડા પ્રમાણે પૂરા બાવન અબજ ડોલર પોતાના ભાંડુઓને મોકલ્યા છે.
વિશ્વ બેન્કને આ આંકડો પણ ૨૦૦૮નો મળ્યો છે. સાચો આંકડો તો એનઆરઆઈ જાણે છે. જોકે આપણે ચીનને ટપી શકીએ નહીં. ચીનાઓ વિદેશમાં ભારત કરતાં વધુ પથરાયેલા પડ્યા છે. છતાંય વિશ્વ બેન્ક કહે છે કે ચીનાઓએ એ વર્ષમાં ભારત કરતાં ૧૨ અબજ ડોલર ઓછા સ્વદેશ મોકલેલા. જો જો ૨૦૨૫માં આપણા બંધુઓ સ્વદેશમાં ૧૦૦ અબજથી વધુ ડોલર મોકલશે. જગતભરની મંદી ભારતને નડી નથી. તેમાં આપણા વિદેશ વસતા ભાંડુઓનો પણ મોટો ફાળો છે. ‘
ઇન્ડિયા ફર્સ્ટ હેન્ડ’ નામના સ્ટડી પેપરમાં શ્રીહરિ નામના પત્રકાર કહે છે કે તમે બાવન અબજ ડોલરના રેમિટન્સીઝ લખી નાખ્યા પણ તે કેટલા થાય? એટલે કે આપણા ‘બેંગલોરિયા’ સોફટવેર કે ઇન્ફોટેકના નિકાસકારો વિદેશમાં નિકાસ કરી કમાય છે તેનાં કરતાં બમણી રકમ બંધુઓ વિદેશથી મોકલે છે. ચીન સાથે આપણે જેટલો વેપાર છે તેટલી રકમ એનઆરઆઈ મોકલે છે. જોકે તમે પર અબજ ડોલરથી તુષ્ટ થયા હો તો સાંભળો કે આ બાવન અબજ ડોલર તો કાનૂની માર્ગે આવ્યા છે. આપણા લાલકૃષ્ણ અડવાણી વિદેશ જઈને ભાજપ માટે નાણાં ઉઘરાવીને પછી હવાલા દ્વારા (તથાકથિત) ભારત લાવ્યા તે કક્ષાના હવાલા દ્વારા તો અબજોના અબજો રૂપિયા ભારતમાં આવે છે. જાય છે. આપણે થોડાક નામ દઈને એનઆરઆઈ માટે ગૌરવ અનુભવીએ:-
(૧) ત્રણ વર્ષ પહેલાં ન્યુયોર્કમાં આપણા વિદેશ પ્રધાન વ્યાલાર રવિએ કહેલું કે વિદેશમાં રહીને આપણા ત્રણ કરોડ ભારતીઓએ જે તે દેશોમાં ૪૦૦ અબજ ડોલરનો અર્થતંત્રમાં ફાળો આપ્યો છે.
(૨) હવે તો આપણા રાજસ્થાન-પંજાબના મૂળ રહેવાસી બોબી જિન્દાલ કદાચ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ અને સંભવત: રિપબ્લિકન પક્ષના રાષ્ટ્રપતિ પણ બને. પેપ્સીકોલાની હેડ ઇન્દ્રા નૂઈ ન્યુયોર્ક રહે છે તે ભારતીય છે. એમ. નાઈટ શ્યામલાન નામના ફિલ્મ નિર્માતા અમેરિકા રહે છે, તે ભારતના છે. અમેરિકાની અવકાશયાત્રામાં કલ્પના ચાવલા શહીદ થઈ ગયેલી. તમે નામો ઉમેરતાં જ જાઓ. અમેરિકાની શાન વધારનારા ફરીદ ઝાકરિયા, વિનોદ ખોસલા, એસ. નારાયણ છે. ૧૫૦ જેટલા પટેલ-ડેન્ટિસ્ટોને અમેરિકા લઈ જનારા સૌરાષ્ટ્રના ડૉ.. પી. પી. પટેલ અને ડૉ.. ભાસ્કર સવાણી હવે અમેરિકાના પ્રમુખોને સૌરાષ્ટ્રની કેસર કેરી ખવડાવનાર છે. ડૉ..પી. પી. પટેલે અને તેના ભાણેજોએ કેટલીય સૌરાષ્ટ્રની શિક્ષણ સંસ્થાને ફિલાડેલ્ફિયાથી કરોડોમાં નાણાં મોકલ્યા છે. અમેરિકામાં ૨૭,૬૫,૮૧૫ ભારતીઓ છે.
(૩) વ્યાલાર રવિના કહેવા પ્રમાણે જે ત્રણ કરોડ ભારતીઓ જગતભરમાં વિદેશ વસે છે તે ભારતની કુલ રાષ્ટ્રીય પેદાશના ૩૦ ટકા જેટલું ત્યાં બેઠા કમાય છે.
(૪) કેનેડામાં ૯.૬૨ લાખ ભારતીયો છે તેમાં ૩૪ ટકા શીખો છે અને ૧૭ ટકા ભારતીય મુસ્લિમો અને ૨૭ ટકા ભારતીય હિન્દુ છે.
(૫) શારજાહની મલ્ટિનેશનલ ઓઈલ રિફાઈનરીમાં ૧૦૦ ભારતીઓ છે તેમાં વિજયકુમાર ભટ્ટ એ ગાંધીનગરના અને મૂળ ઝાંઝમેરના છે. ધીરુભાઈ અંબાણીના મિત્ર ભરતભાઈ શાહ પહેલાં એડનમાં હતા. આજે દુબઈમાં છે.
(૬) સિંગાપોરના હેમંત ભટ્ટ કાર્લાઈલ કંપની માટે જગતભરમાં ફરીને અનાજ ખરીદે છે. બીજા મૂળ ભાદરોડના નરેન્દ્ર મોહનલાલ જોષી સિંગાપોરની મલ્ટિનેશનલમાં ઇજનેર છે.
(૭) કેનેડામાં રહીને ફિલ્મ ડિરેકશનનું કામ કરનારાં દીપા મહેતા છે. બોલિવૂડની એક્ટ્રેસ લીસા રે મૂળ ભારતની અને પછી જ કેનેડાની છે. કેનેડાના રાજકારણમાં ભરત અગ્નિહક્ષેત્રી સહિત ૩૦ જેટલા ભારતીયો છે. અને હર્બ ધારીવાલ તો કેનેડાના પ્રથમ કેબિનેટ પ્રધાન છે.
(૮) બ્રિટનના જગવિખ્યાત બ્રિટિશ પેટ્રોલિયમના જંગી તેલ જહાજમાં ટોચના ઓફિસર તરીકે ભારતીય છે. લંડનમાં ઇન્દિરા જોશી, ઇસ્માઈલ મરચન્ટ અને નવીન એન્ડ´એ જેવા મનોરંજનના ત્રણ ડઝન બાદશાહો છે. લંડનમાં ચંદ્રકાંત બી.પટેલ ગુજરાત સમાચાર નામનું સાપ્તાહિક ચલાવે છે. એ પહેલાં વર્ષોથી રમણીક સોલંકી ‘ગરવી ગુજરાત’ નામનું સાપ્તાહિક શરૂ કરેલું.
(૯) લક્ષ્મી મિત્તલ અને હિન્દુજા બ્રિટનમાં અબજપતિ થયા છે. આજકાલ જગતભરમાં મંદી છે ત્યારે ભારત જ એક ઇન્વેસ્ટમેન્ટ માટેનું મોટું આકર્ષણ છે. નોનરેસિડન્ટ ઇન્ડિયનો જ નહીં પણ ભારતના જ મહેનત અને બચતના બાદશાહ-સાહસિકો અમેરિકા યુરોપ જેવી મંદી આવવા નહીં દે. કોઈ પણ દેશ કરતાં ભારતીયો પાસે સૌથી વધુ બચતો અને સોનું છે. અમેરિકન સરકાર કરતાં ભારતના ભગવાનો પાસે વધુ સોનું છે.