પ્રાકૃતિક વાતાવરણમાં રહેવા ટેવાયેલી વ્યક્તિઓ માટે આ સ્થળ ઉત્તમ સાબિત થઇ શકે તેમ છે. આ હોટેલ તેની યુરોપીયન શૈલીને કારણે પણ લોકોમાં પ્રિય છે.
ગુજરાતની હેરિટેજ હોટેલોનું નામ લો અને ગોંડલના રીવરસાઇડ પેલેસનું નામ વિસરાઇ જવાય તો ભૂલ થઇ ગણાય. જી, હા ગોંડલની ઓગણીસમી સદીની આ હેરિટેજ સંપત્તિ એક સમયે ગોંડલના યુવરાજનું નિવાસસ્થાન હતું. જે સમય જતાં હેરિટેજ હોટેલમાં સ્થાન પામ્યું.
રીવરસાઇડ પેલેસ... નામ પરથી જ માલુમ પડે છે કે તે નદી કિનારે આવેલો હશે. માટે જ તેની યોગ્યતામાં વધારો થાય છે. ખાસ કરીને પ્રાકૃતિક વાતાવરણમાં રહેવા ટેવાયેલી વ્યક્તિઓ માટે આ સ્થળ ઉત્તમ સાબિત થઇ શકે તેમ છે. આ હોટેલ તેની યુરોપીયન શૈલીને કારણે પણ લોકોમાં પ્રિય છે. પેલેસનો જ એક ભાગ ઓર્કીડ પેલેસ તરીકે ઓળખાય છે. જે રાજાઓના સમયમાં ગેસ્ટહાઉસ રહેતો હતો. પેલેસમાં સુંદર વિન્ટેજ કારનું પણ મોટું કલેક્શન છે. વિન્ટેજ કારના શોખીનો આ કલેક્શનને જોવા માત્રથી જ આનંદિત થઇ ઉઠશે.
રીવરસાઇડ હોટેલમાં 11 ડબલ બેડરૂમની સુવિધા છે. જ્યારે ઓર્કીડ પેલેસમાં બીજા સાત ડબલ બેડરૂમ છે. રીવરસાઇડ અને ઓર્કીડ બંનેના બેડરૂમમાં રોકાણ કરનાર મુસાફર યુરોપીયન કોલોનલ સમયના ફર્નિચરની સગવડ મેળવશે. જેમાં પેઇન્ટિંગથી લઇને બાથરુમ સુધીની સુવિધાનો સમાવેશ થાય છે. પરંપરાગત ભોજન તેમજ મહારાજા અને મહારાણીની પસંદગીના અન્ય ભોજન અહીંની રેસ્ટોરંટમાં પીરસવામાં આવે છે.
અહીંથી નજીકના જોવાલાયક સ્થળોમાં ખાદીનું ઉત્પાદન કરતું સ્થળ, આયુર્વેદિક ફાર્માસી, પૌરાણિક મંદિરો તેમજ પક્ષી નિરીક્ષણની જગ્યાનો સમાવેશ થાય છે. અહીં પહોંચવા માટે રેલવે મુસાફરીની સગવડ લઇ શકો છો. આ સિવાય ગોંડલ રાજકોટથી 40કિમીના અંતરે આવેલું હોવાથી દૂરથી આવનારા મુસાફરો રાજકોટના એરપોર્ટ પર ઉતરી અહીં પહોંચી શકે છે.