કેનેડાના ગુજરાતી બિઝનેસ એસોસિયેશને કેનેડામાં ‘સ્વર્ણિમ ગુજરાત’ની ઉજવણીનું આયોજન કર્યું છે. આઠ અને નવ મે દરમિયાન યોજાનારા આ સમારંભમાં ગુજરાતી બિઝનેસમેન, રાજકારણીઓ અને કલાકારો હાજરી આપશે
ધરતી અને ગગન જેટલાં વિશાળ છે તેટલી જ વિશાળતામાં ગુજરાતીઓ વસેલા છે. નોકરી વ્યવસાય અર્થે વિદેશમાં વસેલા લોકો આજે પણ તેમની ધરતી સાથે એટલી જ મજબૂતાઇથી જોડાયેલા છે. જેનું ઉદાહરણ કેનેડાના ગુજરાતી બિઝનેસ એસોસિયેશને કેનેડામાં ‘સ્વર્ણિમ ગુજરાત’ની ઉજવણીનું આયોજન કરીને પૂરું પાડયું છે. આઠ અને નવ મે દરમિયાન યોજાઇ રહેલા આ સમારંભમાં ગુજરાતી બિઝનેસમેન, રાજકારણીઓ અને કલાકારો હાજરી આપશે.
સ્વર્ણિમ ગુજરાતની ઉજવણી કેનેડામાં થવાની છે અને તેનું આયોજન કરવા અમદાવાદ આવેલા ગુજરાતી બિઝનેસ એસોસિયેશન, કેનેડાના પ્રમુખ મુકુંદ પુરોહિત કહે છે કે, ‘કેનેડામાં સ્વર્ણિમ ગુજરાતની ઉજવણીની રજૂઆત મેં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને કરી છે. તેઓએ અમારી આ કામગીરીને બિરદાવી છે અને અમારા આ સમારંભમાં ગુજરાતના પ્રતિનિધિઓને તેઓ મોકલશે તેવી ખાતરી આપી છે.’
સ્વર્ણિમ ગુજરાતના સમારંભનું આયોજન ટોરેન્ટો કોમર્સ સેન્ટરમાં રાખેલું છે. દરેક ગુજરાતી સમાજના લોકોને એક સાથે ભેગા કરવા માટે ૨૩મી માર્ચે ખાસ સમારંભ યોજાશે. મુકુંદભાઇ કહે છે કે, ‘અમે કેનેડામાં ગુજરાતી ટૂરિઝમ શરૂ કરવાના છીએ. જેમાં ગુજરાતના દરેક પ્રવાસન સ્થળોની માહિતી આપવામાં આવશે. આ સાથે કેનેડાની પાંચ કંપનીઓને અમે ગુજરાતમાં વ્યવસાય સ્થાપવા માટે લાવી રહ્યાં છીએ.’
કેનેડામાં રહીને ગુજરાત રાજ્યને વિદેશમાં જાણીતું બનાવવા અને ગુજરાતમાં વિદેશી વ્યાપાર લાવી વિકાસની વાતો સાથે કેટલાક સાંસ્કતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આપણાં ગુજરાતી બાળકો ગુજરાત પર નિબંધ લખશે. સાથે કેનેડામાં વસતા ગુજરાતના લોકોને પ્રોત્સાહિત કરવા માટે ગુજરાત વિશ્વ પારિતોષિક એવોર્ડ, ગુજરાત ગૌરવ એવોર્ડ અને પ્રાઉડ કેનેડિયન ગુજરાત એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.