અનેક પ્રકારની વિશેષતાઓથી છલકાતા અમદાવાદનું સ્વાદવૈવિઘ્ય પણ સદીઓથી જાણીતું છે. અહીં વસતા અને બહારથી આવતા લોકોની જીભે અનેક વસ્તુઓનો ચટાકો વર્ષોથી લાગેલો છે. મજાની વાત એ છે કે બહારની દરેક વાનગીઓનું અમદાવાદીઓ અમદાવાદીકરણ કરી નાખે છે.
આજે ગુજરાતી થાળીમાં ચાઇનીઝ સમોસા પણ જોવા મળે છે. આ ચાઇનીઝ સમોસાનો સ્વાદ માણી ચાઇનીઝો પણ આશ્ચર્યચકિત થઈ જાય છે. અમદાવાદમાં કેટલીક પેઢીઓ તો એવી છે જે દાયકાઓથી લોકોની સ્વાદપ્રીતિને પોષે છે. સમયના બદલાતા વહેણની સાથે અહીં ફૂડમાર્કેટમાં નવું ઘણું આવ્યું છે, પરંતુ તેને લીધે ‘પરંપરા’ તૂટી નથી.
શહેરની નવી પેઢીના મોઢે સ્વાભાવિક રીતે જ ઓનેસ્ટ, ચોઇસ, હેવમોર કે ઇન્ટરનેશનલ બ્રાન્ડ મેકડોનાલ્ડ્સનાં નામ છે. જમાનો જ જંકફૂડનો છે, પરંતુ તેને લીધે અમદાવાદે સ્વાદ માટેની મૂળ ઓળખ ખોઈ નથી. ભાજીપાંઉ આજે જ લોકપ્રિય છે તેવું નથી, વર્ષોથી લોકો સરસપુરમાં તેનો ટેસ્ટ માણવા જાય જ છે. અમદાવાદમાં આજે ગાંડિયારથની ચાર-પાંચ બ્રાન્ચ છે, પરંતુ ફાફડા માટે મહેતા ચવાણામાં લાઇન લાગતી તે દિવસો લોકોને યાદ જ છે.
ગ્રાન્ડ ભગવતી કે ગોરધન થાળ કે અમે ગુજરાતી ૨૧મી સદીના અમદાવાદની ઓળખ છે, તો ૭૦-૮૦ વર્ષથી અમદાવાદીઓ જેની જલેબીની મીઠાશ માણે છે તે ચંદ્રવિલાસ આજે પણ અડીખમ છે અને અહીંના લોકોની આ ત્રીજી પેઢી છે, જે ચંદ્રવિલાસની તુવેરની દાળ પીને ‘વાહ’ બોલે છે.
તેવી જ ચેતના રેસ્ટોરન્ટ તેના ઢોંસાને લીધે આજે પણ લોકોને યાદ છે. રાયપુરનાં ભજિયાં અને જેલના ભજિયાંએ અમદાવાદને એક આઇડેન્ટિટી આપી છે. જેમ ફાફડા સૌરાષ્ટ્રના, ગોટા ડાકોરના તેમ દાળવડાં અમદાવાદનાં! મોહનથાળની વાત નીકળે એટલે દુનિયાના કોઈ પણ ખૂણે બેઠેલા અમદાવાદીને કંદોઈ ભોગીલાલ જ યાદ આવે તો નવતાડનાં સમોસાં અને દાસના ખમણ પણ દાઢે વળગે જ!
ચવાણા કે બાજરી વડા માટે પ્રખ્યાત મહેતાની કેટલીક વિશેષતા એ છે કે તેની શરૂઆત છેક ૧૯૫૦માં થઈ હતી. નરોડામાં ચામુંડા ચારરસ્તા પાસે પહેલી બ્રાન્ચ ખૂલી ત્યારે મિલોનો જમાનો હતો. તેના માલિક અશ્વિન મહેતા કહે છે કે, ‘ઊધિયાની શરૂઆત અમદાવાદમાં અમે જ કરી હતી. શ્રાવણ માસમાં બફવડાં ઉપરાંત ખમણ અને ખાંડવી પણ ફરાળી આપીએ છીએ.’
અનેક સંસ્કતિઓના સમન્વય, સતત પરિવર્તન છતાં આગવી પરંપરાઓને જાળવીને ધબકતું એવું આ શહેર આજે પણ શોખીન છે. ફૂટપાથ પરનાં પૂરીશાક કે આલીશાન હોટેલના ડાઇનિંગ હોલ બંનેને પોતાનું ‘ટાર્ગેટ ગ્રૂપ’ છે. હવે તો દર દસ ફૂટે ચોળાફળી છે, સૂકી ભેળના ઠેલા છે. એક સમયે માણેકચોક કે લોગાર્ડનની જે ઓળખ હતી તે આજે વસ્ત્રાપુર લેકની છે.
સોડાનાં મશીનોમાંથી ૧૮ ફલેવર રેડાય છે, ડિસ્પોઝેબલ ગ્લાસમાં. દાબેલી, વડાપાંઉ, મસ્કાબન નવા અમદાવાદની જીભને ભાવે છે. પતંગ હોટેલની રિચ થાળી હોય કે પતંગ ચગાવતાં ખવાતું ઊધિયું બધું અમદાવાદીઓ મોજથી ખાતા રહ્યા છે, ખાતા રહેશે. તે સાથે હવે ચાઇનીઝ ફૂડ હોટ ફેવરીટ છે.
અગ્રણી નેતાઓની ખાસ પસંદગીની વાનગીઓ
મહેતાના થેપલાં અને આથેલાં મરચાં વર્ષોથી જાણીતાં છે. ગુજરાતી ફિલ્મ કલાકાર ઉપેન્દ્ર ત્રિવેદી ફિલ્મોમાં હતા ત્યારે, ધારાસભ્ય થયા ત્યારે અને આજે પણ ત્યાંથી થેપલાં મગાવે છે. અશોક ભટ્ટ પણ ખાડિયામાં ભજિયાં ખાય તે જ રીતે પાલડીમાં પાપડી ખાતા. નવનિર્માણ સમયે પણ ઉમાકાંત માંકડ સહિત અનેક રાજકીય આગેવાનો ત્યાં એકત્ર થતા.
રોજ શું કેટલું ખવાય છે?
૧૦ લાખ રૂપિયાની પાણીપૂરી ખવાય છે
૦૭ લાખ રૂપિયાનાં વડાપાંઉ ખવાય છે
૦૫ લાખની સેન્ડવિચ ખવાતી હોવાનો અંદાજ
૩૫૦૦ હોટેલો શહેરમાં છે
૦૫ હજારથી વધારે લારીઓ ધમધમી રહી છે