ગુજરાત દેશના ઔધોગિક વિકાસની ધોરીનસ પુરવાર થઇ રહ્યું છે. દેશના ઔધોગિક ઉત્પાદન ક્ષેત્રે ભાગ્યે જ એવું ક્ષેત્ર હશે. જેમાં ગુજરાતનું યોગદાન ન હોય.
ગુજરાતના ઉધોગોની રેન્જ હાથવણાટ કે ભરતકામથી માંડી મોટી મહાકાય મિલો સુધી, ગૃઉધોગ તરીકે બનતા સાબુથી માંડી કરશનભાઇ પટેલની નિરમા સુધી, નાના-નાના બંદરોથી માંડી કંડલા કે અદાણીના જમ્બો પોર્ટ સુધી, નાના પાયે ગેસ કે તેલ સંશોધનના શારકામથી માંડી રિલાયન્સની જામનગરથી એશિયાની સૌથી મોટી પેટ્રોકેમિકલ રિફાઇનરી સુધી, નાના પાયાના સિરામિક ઉધોગથી માંડી મહાકાય મશીનરી બનાવતા એન્જિનિયરિંગ ઉધોગ સુધી, સુરતના જરી ઉધોગની ચમકથી માંડી હીરા ઉધોગની ચમક સુધી, ઉત્તરસંડાના પાપડના ‘ક્રન્ચીપણા’થી માંડી રસનાના સોફટ ડિ્રંકસ સુધી અને ધેર-ધેર બનતા કોઠી આઇસક્રીમથી માંડી વાડીલાલના વિશ્વપ્રસિદ્ધ આઇસક્રીમ સુધી ગુજરાતી ઉધોગોની અને ઉધોગ સાહસિકોની આણ પ્રવર્તે છે.
આ બધા ઉધોગોની વાત પછી ગુજરાતના ફાર્માસ્યુટિકલ ઉધોગની વાત જરા વિસ્તારથી કરીશ, કારણ કે દેશની આઝાદીને જેટલા વર્ષ થયા તેટલા વર્ષ જૂનો મારો આ ઉધોગ સાથેનો નાતો રહ્યો છે.
આજે ગુજરાતનો ફાર્માસ્યુટિકલ્સ ઉધોગ એ કક્ષાએ વિકસિત અને સક્ષમ થયો છે કે તે સમગ્ર વિશ્વની માનવજાતને મહામારીમાંથી ઉગારે તેવા ક્રાંતિકારી સંશોધનો રજૂ કરી શકે છે. ગુજરાતમાં ફાર્માસ્યુટિકલ્સ ઉધોગના વિકાસનું એક ઉત્કષ્ટ પાસુ એ છે કે ‘ટેકનોક્રાફટ ઓરિએન્ટેડ’ ઉધોગ છે, જેમાં નાણાં કરતાં તે વિષયનું જ્ઞાન વધારે અગત્યનું છે.
ગુજરાતમાં ફાર્મા ઉધોગક્ષેત્રે સંશોધન અને વિકાસની પ્રવૃત્તિ શરૂઆતથી જ અગ્રસ્થાને રહી છે. તેથી તેનો પાયો મજબૂત બન્યો છે, અને માટે જ આજના મહામંદીના ગાળામાં પણ રાજયના ફાર્માસ્યુટિકલ્સ ઉધોગને ખાસ વિપરીત અસર થઇ નથી.
મારા મતે તો આ યશની ખરી હકદાર ગુજરાતની પ્રજા છે. ગુજરાતીઓ સ્વભાવે ખંતીલા, ઉધમી, સાહસિકને શાંતિપ્રિય છે. આ તમામ ગુણોનું સંયોજન દેશના અન્ય પ્રાંતોના લોકોમાં કયાંય જોવા મળ્યું નથી. સ્કિલ્ડ અને સેમિસ્કિલ્ડ વર્કર્ફોસ ગુજરાતના ઉધોગોને સ્થિર વિકાસ માટે એક ઉત્તમ માહોલ પૂરો પાડયો છે. કોઇ પણ ક્ષેત્રે સાહસ ખેડવું એ ગુજરાતની પ્રજાનો પાયાનો ગુણધર્મ છે અને આ ગુણધર્મ ગુજરાતના ધીરુભાઇ અંબાણી, કરશનભાઇ પટેલ જેવા અનેક સાહસિકોએ સુપેરે અપનાવ્યો છે.
આજે તો ગુજરાતના આ ઉધોગ સાહસિકોની બીજી-ત્રીજી પેઢીમાં ગુણ ગુણાકાર થઇને તેમના લોહીમાં અને જનીનમાં વણાઇ ગયો છે. જો કે ઔધોગિક વિકાસની સાથે સાથે પર્યાવરણનો મુદ્દો એટલો જ અગત્યનો છે. પર્યાવરણના ભોગે ઔધોગિક વિકાસ લાંબે ગાળે વિનાશ નોતરે, એટલે તેમાં બાંધછોડ ન જ કરી શકાય. સાથો સાથ પર્યાવરણને લગતા કેટલાક જડ નિયમો અંગે સરકાર સૌને અનુકૂળ એવા ફેરફારો કરે તે પણ આવશ્યક છે.
રાજય પાસે દેશનો સૌથી લાંબો ૧૬૦૦ કિ.મી. લાંબો દરિયાકિનારો છે, વિશાળ વેસ્ટ લેન્ડ છે, સ્કિલ્ડ અને સેમી-સ્કિલ્ડ વર્કફોર્સ છે તથા ઉધોગોને કાચોમાલ પૂરો પાડી શકે તેવા નાના અને મઘ્યકક્ષાના ઔધોગિક એકમો છે.
ખાસ કરીને રાજયમાં જે રીતે એસ.ઇ.ઝેડ (સેઝ) એકમોના વિકાસની મંજૂરીઓ મળી છે તે જોતા તેમાં ગુજરાતની વેસ્ટ લેન્ડનો અને દરિયાકાંઠાનો કાર્યક્ષમ ઉપયોગ થાય તો ‘એક કાંકરે બે પક્ષી મારી શકાય તેમ છે.’
ગુજરાતે તેની સ્થાપનાના પચાસ વર્ષોમાં સો વર્ષ જેટલી પ્રગતિ કરી છે તેમ કહું તો જરાય અતિશયોકિત નહીં ગણાય. આ પ્રગતિ ઉત્તરોત્તર વધતી રહે તે જ અભ્યર્થના... જય જય ગરવી ગુજરાત.
એક રાજ્ય તરીકે ગુજરાત...
- ૨૦૦૮માં નિર્ધારિત ૧૦.૨૦ ટકાના વિકાસ દરની સાપેક્ષે ૧૦.૪૦ ટકા વિકાસદર હાંસલ કર્યો.
- ભારતને ૮ ટકા વિકાસદર અપાવવા માટે બધા જ રાજયોમાં ગુજરાતનો ફાળો સૌથી મોટો છે.
- દેશના ૨૯ ટકા શહેરીકરણની સાપેક્ષે ગુજરાત ૩૮ ટકા સાથે દેશનું સૌથી વધુ શહેરીકત રાજય છે.
- ૨૦૦૫-૦૬ની કિંમતો પ્રમાણે આપણી માથાદીઠ આવક ૮૩૩ ડોલર છે.