વડોદરાના ગાયકવાડી શરણાઈવાદકોએ પાટનગર ગાંધીનગરમાં રાજય વિધાનસભાના વિઠ્ઠલભાઈ પટેલ ભવનના ઉબરે શુક્રવારની ગુલાબી ઠંડીવાળી સવારે શરણાઈની ‘જય જય ગરવી ગુજરાત’ની મધુર સૂરાવલિઓ છેડી એની સાથે રાજયના સંસદીય ઇતિહાસમાં સ્વર્ણિમ અવસરનો ગૌરવપૂર્ણ પ્રારંભ થયો છે.
પ્રચંડ જનઆંદોલન થકી ૧લી મે- ૧૯૬૦ના સપરમા દિવસે મુંબઈ રાજયમાંથી અલગ ગુજરાતની સ્થાપના થયાની સુવર્ણજયંતીની ભવ્યાતિભવ્ય ઉજવણીનો ઉમંગભર્યો પ્રારંભ ૨૦૧૦ની સાલના પ્રથમ દિવસથી થયો છે.
નયનરમ્ય રંગોળીઓ અને સ્વર્ણિમ કળશ સહિત સુશોભિત વિધાનસભાભવન અને સન્માનનીય ગૃહમાં વર્તમાન અને ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓ તેમજ લોકપ્રતિનિધિ તરીકે ચૂંટાનાર હાલના અને નિવૃત્ત સાંસદો-ધારાસભ્યો અને જાહેરજીવનને ઝળહળાવનાર મહાનુભાવો ઉષ્માસભર રીતે મળી રહ્યા હતા ત્યારે જાણે સાચું સ્વર્ણિમ ગુજરાત સર્જાયું હતું.
રાજકારણ અને પક્ષાપક્ષીને જાણે તડકે મૂકીને સૌ ગુજરાતના ગૌરવ-ગરિમા કાજે ને ગુજરાતના સર્વાંગી ઉત્થાનના સંકલ્પ કાજે એક છત્ર હેઠળ એકઠા થયા હતા. ગુજરાતની સંસદીય લોકશાહીની આ અભૂતપૂર્વ ઘટના એક જાજરમાન સંભારણું બની રહી. આ અવસર માત્ર ઔપચારિક નહીં, ગુજરાતનાં સત્વ, શકિત, સામર્થ્યને જોડવાનો પ્રસંગ બની રહ્યો.
૫૦ વર્ષમાં ગુજરાતે કરેલી પ્રગતિનો શ્રેય એક-બે પક્ષો અથવા આજ-કાલના નેતાઓને નહીં, સૌ કોઈના સહિયારા પ્રયાસોના પરિપાકરૂપ સંગિઠત તાકાતને આપવાનાં ખેલદિલીપૂર્વક ઉચ્ચારણો તમામ સ્તરેથી આ જાજરમાન સમારોહમાં થયા એ ગુજરાતનું ગૌરવ જ નહીં, જાહેરજીવનનું સાચું કલ્ચર છે.
ગુજરાતની વાત આવે ત્યારે બીજું બધું એક તરફ- એવી ખુમારી સાથે સૌ મહાનુભાવો ખભેખભા મિલાવે એવા નિર્ધારનો ઉદ્ઘોષ ગાંધીનગરથી ઉદભવ્યો છે, જે આગામી દિવસોમાં રાજયભરમાં પડઘાઈ ઊઠવાનો છે.
મુખ્ય સવાલ આજની અત્યારના સ્પિરિટને માત્ર સ્વર્ણિમ અવસર પૂરતો જ નહીં, વર્ષોવર્ષ લગી તંતોતંત જાળવી જાણવાનો છે. જો આ સંભવિત બનશે તો પર-સેવા માટે પરસેવો પાડતા ગુજરાતની સમાજશકિત ‘સુરાજય’નું નિર્માણ કરી શકશે. કોઈ વ્યકિત કે કોઈ સરકાર દુનિયા બદલી શકતી નથી. સંગિઠત તાકાત અને સૌની ઉત્તમ ભાવના જ આવતીકાલના ગુજરાતના સમાજને ઘડશે.