કતારગામમાં વરુણ યજ્ઞ કરવામાં આવ્યો
બપોર બાદ દક્ષિણ-પશ્ચિમના ૧૦ કિમીની ઝડપના પવનોથી રાહત
૧પ જુનથી ચોમાસાની શરૂઆત થયા બાદ આજે ૨૩ જુન સુધી વરસાદ નહીં પડતા કતારગામ બાપા સીતારામ ચોક ખાતેની મઢુલીમાં વરુણ યજ્ઞ કરવામાં આવ્યો હતો. વાટલિયા પ્રજાપતિ સમાજની મહિલા સમિતિ દ્વારા આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ૮ દંપતીઓએ ભાગ લીધો હતો.
યજ્ઞના આચાર્ય ભદ્રેશભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે આ પર્જન્ય યજ્ઞ દ્વારા વરુણ દેવને પ્રસન્ન કરવાના હોય છે. વરસાદનો સમય હજુ ગયો નથી પરંતુ યોગ્ય નક્ષત્રમાં પડે તે માટે આમંત્રણ આપવા માટેનો યજ્ઞ હોય છે. મહિલા મંડળનાં ગીતાબેન આંબલિયા તથા અન્ય બહેનોએ આયોજન કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં દર્શનાર્થે ભાવિકો ઊમટી પડ્યા હતા.
શહેરમાં મંગળવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે ઉકળાટનો માહોલ રહ્યો હતો. જોકે, બપોર બાદ દક્ષિણ-પશ્ચિમ દિશાના ૧૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા તેજ પવનોએ બફારામાં થોડી રાહત આપી હતી. આ સાથે જ શહેરનું મહત્તમ તાપમાન ૩૪.૮ ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન ૨૯.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.












