જીવન એક નાટક છે : રંગલો
‘પૃથ્વીનો છેડો ઘર’ એ કહેવતને સાર્થક કરતા જયંતી પટેલ ઉર્ફે ‘રંગલો’ એક લાંબા અંતરાલ પછી પાછા અમદાવાદમાં સ્થાયી થવા આવ્યા છે. મુંબઈ અને અમેરિકાના લાંબા વસવાટ દરમિયાન તેમણે નાટક અને યોગનો ખાસ્સો પ્રસાર અને પ્રચાર તો કર્યોજ પણ ‘નાટક એક યોગ’ ઉપર પી.એચ.ડી. પણ કર્યું. પાશ્ચાત્ય ‘એબ્સર્ડ’ નાટકની હરોળમાં એમણે આપણી ‘ભવાઈ’ મૂકી આપી અને વિદેશની ધરતી પર ભારતની કલા અને સંસ્કૃતિનો ઘ્વજ ફરકાવ્યો.
એમના ‘રામાયણ’ નાટકમાં હનુમાનનો રોલ કરનાર અમેરિકન ડ્રગ એડિકટ કલાકારે નાટક કર્યા પછી ડ્રગને કાયમ માટે લાત મારી દીધી! આ છે પ્રભાવ આપણા સાહિત્યનો અને સંસ્કારનો! રંગલો કહે છે કે જીવન એક નાટક છે. આપણે શાલિગ્રામ પથ્થર જેવા છીએ. ગબડતાં ગબડતાં મનમાં ગોઠવાઈ જઈએ છીએ. અમેરિકામાં ‘આનંદાશ્રમ’માં ‘અભિનયાનંદજી’ના નામે એમણે વર્ષો સુધી પોતાનું અને અન્યનું ઘડતર કર્યું. ‘ગાંધીજી, ચેપ્લિન અને હું’ પુસ્તક લખનાર જયંતી પટેલ કહે છે કે જાતને ઓળખવી હોય તો પોઝિટિવ વિચારો કરવા જોઈએ.
નાટક દરેક દર્દની દવા છે એવું દ્રઢ પણે માનનારા જયંતી પટેલ છયાશી વર્ષની વયે પણ યુવાન જેવી કાંતિ ધરાવે છે - તનની અને મનની. અમેરિકા જતાં પહેલાં અહીં પણ એમણે નાટ્ય પ્રયોગો કર્યા હતા. ‘રંગલો’ પાત્ર સર્જી અડવો, બફાટ, રાજકારણ આદિ વિષયો એમણે ઊપસાવ્યા. ‘નાટક ચેટક’માં ભાગ લેવા બદલ એમને ગૃહત્યાગ કરવો પડેલો પણ નાટકનો જીવ એમ કાંઈ ઝાલ્યો રહે? અને હજી આજે પણ નાટકને જાણે કે જીવી રહ્યા છે. બાળકોને સંવાદની સંવાદિતા સમજાવી રહ્યા છે.












