ચોકલેટી રણબિર કિશોર કુમારનો રોલ કરશે
થોડા દિવસો પહેલા એવા સમાચાર હતાં કે યુટીવી પિક્ચર લિજેન્ડરી ગાયક કિશોર કુમારની જીવન પર એક ફિલ્મ બનાવા જઈ રહ્યું છે. ત્યાર બાદ દિગ્દર્શક શશાંક ઘોષ પણ આવા જ વિચાર સાથે આવ્યા હતાં. નાગેશ કુકુનૂર, સુધિર મિશ્રા અને શૂજીત સરકાર પણ કિશોર પર ફિલ્મ બનાવવાનું વિચારી રહ્યા છે. પરંતુ આ બધામાં અષ્ટવિનાયક બાજી મારી જાય તો નવાઈ નહી!
ગયા અઠવાડિયે રણબિર કપૂર એક કામ માટે નવી દિલ્હી ગયો હતો. અનાયસે અષ્ટવિનાયક સિનેવિઝનના સ્ક્રિપ્ટ રાઈટર પણ તેની સાથે મુસાફરી કરી રહ્યા હતાં. સુત્રોના જણાવ્યા પ્રમાણે મુસાફરી દરમિયાન અષ્ટવિનાયકના સ્ક્રિપ્ટ રાઈટરે રણબિરને કિશોરના જીવન પર આધારિત સ્ક્રિપ્ટ કહી સંભળાવી હતી.
ફિલ્મની સ્ક્રિપ્ટ વાંચ્યા બાદ રણબિર કપૂરે પણ અષ્ટવિનાયકની કિશોર કુમારના જીવન પર આધારિત ફિલ્મમાં કામ કરવામાં ઉત્સાહ દાખવ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રણબિરે અષ્ટવિનાયકને એવો જવાબ આપ્યો હતો કે ફિલ્મની વાર્તા ખરેખર રસપ્રદ છે, તેના મત પ્રમાણે તેને ફિલ્મમાં કામ કરવામાં કોઈ જ વાંધો નથી.
ફિલ્મ માટે રણબિરની પસંદગી કરવામાં આવશે કે નહીં એ તો અષ્ટવિનાયક દ્વારા ફિલ્મના દિગ્દર્શક નક્કી કરવામાં આવ્યા બાદ જ ખબર પડશે. અષ્ટવિનાયકના પ્રવક્તાએ પણ આ વાતને સમર્થન આપ્યું હતું. તેણે જણાવ્યું હતું કે હાલના તબક્કે આ બાબતે કંઈ પણ કહેવું યોગ્ય નથી. રણબિર કપૂરે આ બાબતે કોઈ પ્રતિક્રિયા આપી ન હતી.












