ત્રિવેદીની રિવોલ્વરમાં રહી ગયેલી ગોળીઓ અંગે તપાસ
સુરતના એરપોર્ટ પાસે એટીએસના મોકડ્રીલમાં ગોળીબારની ઘટનામાં તમામ પોલીસ અધિકારીઓની સર્વિસ રિવોલ્વરમાંથી કારતૂસ ખાલી કરાવવાની કામગીરી ખુદ ડીસીપી સુભાષ ત્રિવેદીએ જ સંભાળી હતી ત્યારે કયાં કારણોસર તેમની જ રિવોલ્વરમાં કારતૂસ રહી ગયા તે બાબતની તપાસ અમદાવાદની એટીએસના વડા અજય તોમર અને સુરતના પોલીસ કમિશનર શિવાનંદ ઝા ચલાવી રહ્યા છે તેમ પત્રકાર પરિષદમાં રાજ્યના પોલીસ વડા એસ.એસ. ખંડવાવાલાએ કહ્યું હતું.
વધુમાં તેમણે જણાવ્યું કે, બંને અધિકારીઓની તપાસનો પ્રાથમિક રિપોર્ટ મને મળ્યો છે પરંતુ આખરી રિપોર્ટ ટૂંક સમયમાં આવી જશે ત્યારે ઘટનામાં બેદરકારી બદલ પગલાં લઇ શકાશે. મને એવું લાગે છે કે કયાંક કોઇક ક્ષતિ રહી ગઇ છે.
૨૪મી ફેબ્રુઆરીએ સુરતમાં મોકડ્રીલમાં ગોળીબારની ઘટનાની ભીતરની હકીકતો અંગે ડીજીપીએ કહ્યું હતું કે એટીએસના ઇન્સ્પેકટર સૈયદની ભૂમિકા એક ઓબ્ઝર્વરની હતી, જયારે સુભાષ ત્રિવેદીની ભૂમિકા બે ડોકટરોને બસ પાસે લઇ જવાની હતી.
ત્રાસવાદીઓએ બંધક બનાવેલા બસના પ્રવાસીઓને સારવારની જરૂર પડે તેમ હોઇ ત્રાસવાદીઓ સાથે વાટાઘાટો કર્યા બાદ બે ડોકટરોને બસ તરફ મોકલવામાં આવી રહ્યા હતા જેમાં ઓબ્ઝર્વર એવા સૈયદને અચાનક નજીકથી સુભાષ ત્રિવેદીની રિવોલ્વરમાંથી છૂટેલી ગોળી વાગી હતી. આ તબક્કે સૈયદે ડીસીપી ત્રિવેદીને કહ્યું હતું કે હું ત્રાસવાદી નહીં પણ ઓબ્ઝર્વર હતો.
સૈયદે કહ્યું, મારે રાજીનામું આપવું છે
ગોળીબારનો ભોગ બનેલા સૈયદની ખબર અંતર પૂછવા ગયેલા રાજ્યના પોલીસવડાએ કહ્યું હતું કે મને જોઇને સૈયદ રડી પડયા હતા અને કહ્યું હતું કે સાહેબ, હું લોકોને જવાબ આપીને થાકી ગયો છું. હું પોલીસની નોકરીમાંથી રાજીનામું આપવા માગું છું. મને ખોટી વાતોથી દુ:ખ થાય છે. મને વાગ્યું છે પણ ડીસીપીએ જાણી જોઇને ગોળી મારી નથી.
ડીજીપીએ કહ્યું હતું કે મેં મોકડ્રીલની વીડિયો કિલપિંગ જોઇ છે તેમાં પણ ગોળીબાર સામેથી થયો નથી. સુભાષ ત્રિવેદી જયારે સૈયદને ભેટવા ગયા ત્યારે રિવોલ્વરનું ટ્રીગર દબાઇ જતાં છાતીના ઉપરના ભાગમાંથી ગોળી પેટમાં વાગી છે. સૈયદને બે ગોળી નહીં એક ગોળી વાગી છે તેવી સ્પષ્ટતા કરતાં તેમણે કહ્યું હતું કે આ બનાવ માત્ર અકસ્માત હતો તેવું ફલિત થાય છે. સૈયદ પોલીસ ડિપાર્ટમેન્ટમાં ડિસિપ્લીન કર્મચારી છે.












