પ્રણવ મુખરજીએ વિપક્ષના નેતાઓને મનાવી લીધા
સર્વપક્ષીય બેઠક યોજવા સરકાર તૈયાર : સસ્પેન્ડ કરાયેલા સાતે સાંસદોની બહાલીના સંકેત
મહિલા અનામત ખરડાને લોકસભામાં રજૂ કરવાના મુદ્દા અંગેની રાજકીય ખેંચતાણનો ગુરુવારે અંત આવી ગયો છે. નાણાપ્રધાન પ્રણવ મુખરજીએ સર્વપક્ષીય બેઠક યોજવાની ખાતરી આપીને ખરડાના વિરોધીઓને મનાવી લીધા છે. રાજ્યસભામાં સસ્પેન્ડ કરવામાં આવેલા સાંસદોની બહાલીના પણ સરકારે સંકેત આપ્યા છે. પ્રણવ મુખરજીએ ખાતરી આપ્યા બાદ સંસદના બન્ને ગૃહોની કાર્યવાહી આગળ ધપી હતી અને બધાનું ઘ્યાન થોડાક સમય માટે ફરી મોંઘવારી પર અટકી ગયું હતું.
મહિલા અનામત ખરડાના વિરોધની ઝુંબેશનું નેતૃત્વ કરી રહેલા સમાજવાદી પક્ષના વડા મુલાયમસિંહ યાદવ, રાજદ સુપ્રીમો લાલુપ્રસાદ યાદવ અને જનતાદળ (યુ)ના અઘ્યક્ષ શરદ યાદવ સાથે નાણાપ્રધાને મંત્રણા કરી છે. પ્રણવ મુખરજીએ એવી ખાતરી આપી છે કે, ગૃહને વિશ્વાસમાં લીધા વગર સરકાર ખરડાને આગળ ધપાવશે નહીં.
નાણાપ્રધાને શું કહ્યું?
નાણાપ્રધાને જણાવ્યું કે, ‘અમારી પાસે કેટલીક ખાતરી માગવામાં આવી હતી અને અમે સ્પષ્ટ કરી દીધું છે કે, ખરડા અંગે બધાના અભિપ્રાય મેળવવામાં આવ્યા બાદ જ કોઇ નિર્ણય લેવામાં આવશે.’ ત્યાર બાદ ગૃહમાં સામાન્ય બજેટ અંગે ચર્ચા શરૂ થઇ હતી.
જોરદાર હંગામો થયો :
અગાઉ, સંસદના બન્ને ગૃહોમાં સાંસદોને સસ્પેન્ડ કરવાના મુદ્દે જોરદાર હંગામો થયો હતો. લોકસભામાં યાદવ ત્રિપુટીએ જણાવ્યું હતું કે, મહિલા અનામત ખરડો વર્તમાન સ્વરૂપમાં તેમને સ્વીકાર્ય નથી.
લાલુએ મમતાની પ્રશંસા કરી
મહિલા અનામત મુદ્દે મમતા બેનરજીથી મળેલા સહયોગથી લાલુ ખૂબ જ ખુશ છે. તેમણે મમતા બેનરજીની ભારે પ્રશંસા કરી છે. પછાત વર્ગોની મહિલાઓને અનામત આપવાની હિમાયત કરતા લાલુપ્રસાદે રાહુલ ગાંધીનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, રાહુલ ગાંધીએ ગરીબની પુત્રી કલાવતીના ઘરે જઇને સારું કામ કર્યું છે.












