છેવટે શું મેળવવાનું છે એની ચિંતા કરો
એક સેવક તેના સ્વામીની હત્યા કરીને બીજા શહેરમાં ભાગી ગયો. પોતાની જાતને છુપાવવા માટે તેણે કેટલાય વેશ બદલ્યા. સમય પસાર થતો ગયો અને તેને ભીખ માગવાનો વારો આવ્યો. જ્યારે આ બાજુ સ્વામીનો પુત્ર યુવાન પુત્ર પિતાના હત્યારાને શોધવા માટે નીકળી પડ્યો. બીજી બાજુ હત્યારો ભિખારી ચાલતાં-ચાલતાં એક દિવસ એવા પહાડી માર્ગ પર પહોંચી ગયો જ્યાં અવારનવાર દુઘટર્ના સર્જાતી હતી અને લોકો નીચે પડીને મરી જતા હતા.
ભિખારીએ વિચાર્યું કે મરતા પહેલાં તેણે કોઈ સારું કામ કરી લેવું જોઈએ. જો હું આ સ્થળે એક સુરંગ બનાવી દઉ તો લોકો નીચે પડીને મરતા બચી જશે. અત્યારે તે ઘણો વૃદ્ધ થઈ ગયો હતો, આથી ભલાઈના આ કામમાં તે જોતરાઈ ગયો. એક દિવસ સ્વામીનો પુત્ર પણ ત્યાં આવી પહોંચ્યો અને તેણે પોતાના પિતાના હત્યારાને ઓળખી લીધો. તે તેને મારવા દોડ્યો તો ભિખારી બોલ્યો, તું મને મારીને તારો બદલો લઈ શકે છે, પરંતુ તેના પહેલાં મને આ સુરંગ પૂરી કરી લેવા દે.
સ્વામીના પુત્રએ તેની વાત માની લીધી અને તે રાહ જોવા લાગ્યો. સ્વામીનો પુત્ર નવરો બેઠો તેના અંગે વિચારવા લાગ્યો કે એને મારા પિતાની હત્યા તો કરેલી, પરંતુ હવે અસંખ્ય લોકોની ભલાઈ માટે નિ:સ્વાર્થ સેવા પણ કરી રહ્યો છે. સુરંગ પૂરી થતાં જ ભિખારી બોલ્યો, હવે હું મરવા માટે હાજર છું. ત્યારે સ્વામીનો પુત્ર બોલ્યો, લોકકલ્યાણ અને દ્રઢ ઇચ્છાશક્તિનો પાઠ ભણાવનારાની હું હત્યા કેવી રીતે કરી શકું? બરબાદ થઈ ગયેલી અને ગુમાવી ચૂકેલી શક્તિ કે વસ્તુ અંગે ચિંતા કરવાના બદલે નવા રસ્તે ચાલશો તો તમને જોવા મળશે કે એક નવી સવાર તમારી રાહ જોઈ રહી છે.












