આપણી અંદર સાચી તરસ હોવી જરૂરી છે
એક ઉત્સાહિત યુવાનની એક મહત્વાકાંક્ષા હતી કે પ્રાચીન ઋષિઓની પેઠે તે પણ એક નવું ઉપનિષદ લખે. તેણે સૃષ્ટિકર્તા બ્રહ્માજીનું તપ કર્યું. બ્રહ્માજી પ્રસન્ન થતાં એણે કહ્યું કે મારી ઇચ્છા છે કે હું એક નવું જ ઉપનિષદ લખું’ તો મારે શું કરવું જોઈએ?’ ‘હાલ તો બધાં ઉપનિષદો છે તેનો અભ્યાસ કર.’ બ્રહ્માજીએ કહ્યું, ‘પણ પ્રભુ, હું તે વાંચીશ તો મને નવા વિચારો સ્ફૂરશે જ નહીં. ’
‘તો પછી હમણાં તું ગૃહસ્થાશ્રમમાં રહે. સંસારી જીવનને તું સમજીશ એટલે તને નવા વિચારો સ્ફૂરશે.’ પણ પ્રભુ, એવું થાય તો હું સંસારની જાળમાં ફસાઈ જાઉ, અને મારું લખવાનું બાજુ પર રહી જાય. ‘વત્સ, ત્યારે તો મને લાગે છે કે ઉપનિષદ લખવું એ તારા ગજા બહારની વાત લાગે છે. તું લખવાનું માંડી વાળ.’ પણ યુવાનને તેથી કોઈ સંતોષ ન થયો. એટલામાં એક ભીલ ત્યાં આવ્યો. તેણે યુવાન પાસે પાણી માગ્યું યુવાનનું કમંડળ ખાલી હતું. તેણે ભીલને કહ્યું ‘જરા થોભ, હું તળાવમાંથી હમણાં જ પાણી લઈ આવું.’ ‘ના મહારાજ, તળાવના પાણીથી મારી તરસ નહીં છીપે.’
ઠીક છે, હું હમણાં જ નદીનું પાણી લઈ આવું.? ‘ના પણ તમે નદીએ જાઓ અને ત્યાંથી પાછા ન ફરો તો?’ યુવાનને સમજાયું નહીં કે ભીલ આખરે શું કહેવા માગે છે. તે વિચારતો જ રહ્યો ને ભીલ અદ્રશ્ય થઈ ગયો. યુવાન આશ્ચર્ય પામ્યો, તે મનમાં ગણગણ્યો, ‘ભીલના રૂપમાં બ્રહ્માજી તો આવીને મને સમજાવી ગયા કે શું? ઘણીવાર આપણે પેલા યુવાનની જેમ મોટી મોટી વાતો કરીએ છીએ પણ તેનો અમલ નથી કરતા. જરૂર છે અંદરની સાચી તરસની કે જે આપણને ક્રિયાશીલ બનાવે.












