‘MNIK’ તમને ચોધાર આંસુએ રડાવશે
કરણ જોહર અને શાહરૂખ ખાનની મહત્વકાંક્ષી ફિલ્મ માય નેમ ઈઝ ખાન 12 ફેબ્રુઆરીએ રીલિઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં પ્રેમ અને લાગણીના સંબંધોને વણી લેવામાં આવ્યા છે.
ફિલ્મ વિશે હાલમાં અવનવી વાતો કહેવામાં આવી રહી છે. થોડા દિવસો પહેલા જ કિંગ ખાને માય નેમ ઈઝ ખાનનો ખાસ સ્ક્રીનિંગ શો યોજ્યો હતો. તેમાં બોલિવૂડની ઘણી જ હસ્તીઓ હાજર રહી હતી. ફરહાન અખ્તર, પ્રીતિ ઝીન્ટાએ ફિલ્મને ખૂબ જ વખાણી હતી.
તેઓએ કિંગ ખાન અને કાજોલના અભિનયની પ્રશંસા કરી હતી. તેમના મતે કાજોલ અને શાહરૂખે અત્યાર સુધીનો સૌથી ઉત્કૃષ્ટ અભિનય માય નેમ ઈઝ ખાનમાં આપ્યો છે. તો સોનમ કપૂરના મતે આ ફિલ્મ આશા અને પ્રેમની વાત કરે છે અને ફિલ્મ લાગણીશીલ હોવાથી આખી ફિલ્મ દરમિયાન આંસુ વહેતા જ રહે છે.
તો પુનિત મલ્હોત્રાએ તો યુવતીઓ અને મહિલાઓને સલાહ આપી છે કે તેઓએ ફિલ્મ જોવા જાય ત્યારે ટિસ્યુ પેપરના બોક્સિસ સાથે લઈને જાય કારણ કે ફિલ્મ ઘણી જ ભાવનાશીલ છે.
જો કે પાકિસ્તાનમાં આ ફિલ્મની સીડી ખુલ્લેઆમ વેચાઈ રહી છે. તેના પ્રમાણે રિઝવાન(શાહરૂખ ખાન) માનસિક રીતે થોડો બિમાર હોય છે. તે પોતાના ભાઈ(જીમી શેરગીલ) સાથે અમેરિકામાં રહેવા આવે છે. અહીંયા તેની મુલાકાત મંદિરા(કાજોલ) સાથે થાય છે. બંને જણા પ્રેમમાં પડે છે. રિઝવાનનો પરિવાર મંદિરા અને રિઝવાનના લગ્નની વિરોધમાં હોય છે તેમ છતાં તેઓ લગ્ન કરે છે.
જો કે તેમનું જીવન 9/11 સુધી સુખમય હોય છે પરંતુ તે ગોઝારી ઘટના બાદ મંદિરા અને રિઝવાન વચ્ચેના સંબંધો ખટાશ આવી જાય છે અને તેઓ અલગ પડી જાય છે. શાહરૂખ પોતાના પ્રેમને પાછો મેળવવા માટે અમેરિકન રાષ્ટ્રપ્રમુખને મળવા અમેરિકાનો પ્રવાસ ખેડે છે.
જો કે હાલમાં એક મેસેજ ફરતો થયો છે કે માય નેમ ઈઝ ખાનમાં કાજોલ આતંકવાદી હોય છે અને તે રિઝવાનનો ઉપયોગ કરતી હોય છે. એક માન્યતા પ્રમાણે માય નેમ ઈઝ ખાન ફિલ્મ ફનાથી તદ્દન વિરૂદ્ધમાં છે. તેમાં આમિર ખાન આતંકવાદી હોય છે અને જ્યારે માય નેમ ઈઝ ખાનમાં કાજોલ આતંકવાદી બની છે.
ફિલ્મ ફના રીલિઝ થઈ ત્યારે પણ આવાં જ મેસેજીસ ફરતા થયા હતા. ત્યારે મેસેજમાં કહેવામાં આવ્યું હતું કે, કાજોલ આતંકવાદી છે અને તે અંધ નથી. જો કે તે મેસેજ ખોટો સાબિત થયો હતો.
માય નેમ ઈઝ ખાનની વાત કરવામાં આવે તો ફિલ્મ આતંકવાદ પર નહિ પરંતુ સામાજિક સંબંધો પર આધારિત છે. આ ફિલ્મમાં પ્રેમને વધુ મહત્વ આપવામાં આવ્યું છે. આ ફિલ્મ શાહરૂખ, કાજોલ અને કરણ ત્રણેય માટે ઘણી જ મહત્વની છે. ફિલ્મ રીલિઝ થાય તે પહેલા જ આ ફિલ્મે રૂપિયા 100 કરોડનો બિઝનેસ કર્યો છે. આશા રાખવામાં આવે છે કે આ ફિલ્મ 3 ઈડિયટ્સ કરતાં પણ વધુ કમાણી કરશે.











