લઠ્ઠાકાંડના કેસમાં આઠ-આઠ મુદતો છતાં સુનાવણી ટલ્લે
શહેર સહિત રાજ્યભરમાં ચકચારભર્યા લઠ્ઠાકાંડના કેસમાં આઠ-આઠ મુદતો છતાં સુનાવણી ટલ્લે ચઢેલી છે. છેલ્લા આઠ મહિના ઉપરના સમયથી આ કેસમાં એક યા બીજા કારણોસર મુદતો જ પડે રાખે છે.
મોટાભાગના સુનાવણી વખતે રાજ્ય સરકાર તરફથી સમય માંગવાના બહાને મુદતો પાડવામાં આવી છે. જેના કારણે છેલ્લા ઘણા સમયથી આ કેસની સુનાવણી જ હાથ ધરી શકાતી નથી. આજે પણ આ કેસમાં સરકારપક્ષ તરફથી મુદત પાડવામાં આવી હતી.
શહેરના ઓઢવ, મજૂરગામ સહિતના જુદા જુદા વિસ્તારોમાં સર્જાયેલા લઠ્ઠાકાંડને પગલે લગભગ ૧૫૦થી વધુ લોકોના અકાળે મોત નીપજયા હતા અને સંખ્યાબંધ લોકો ગંભીર બિમારીનો ભોગ બન્યા હતા.
આ અંગે સરકાર અને પોલીસતંત્ર દ્વારા દારૂના પીઠા ચલાવતા અને મોટાપાયે દારૂની હેરાફેરી કરતા બુટલેગરો વિરૂદ્ધ કોઇ અસરકારક પગલા નહી લેવાતા હોવાના કારણે વર્ષોથી સમયાંતરે આવી ઘટનાઓ સર્જાતી રહે છે.મહાત્મા ગાંધી આશ્રમ સેવા સમિતિના હોદ્દેદારો તરફથી લઠ્ઠાકાંડના મામલે ગુજરાત હાઇકોર્ટેને ઉદ્દેશીને લખાયેલા પત્રોના આધારે હાઇકોર્ટે સુઓમોટો રિટ દાખલ કરી હતી.
બીજીબાજુ, કસૂરવારો સુધી કાયદેસર કાર્યવાહી કરવા અને આ પ્રકરણમાં ન્યાયિક તપાસની માંગણી સાથે આવાઝ નામની સંસ્થા દ્વારા પણ જાહેરહિતની રિટ અરજી દાખલ કરવામાં આવી હતી.
આ કેસમાં સરકારપક્ષ તરફથી છેક ત્રણ-ચાર મહિના પછી સોગંદનામુ પણ દાખલ કરાયુ હતુ અને ત્યારબાદ એક યા બીજા કારણસર મુદત જ પાડવામાં આવે છે. આજે ફરી એકવાર સરકારપક્ષ તરફથી સમયના ઓથા હેઠળ મુદત માંગી લેવાઇ હતી.












