કુલદીપ શર્માના કેસની સુનાવણી તા.૨૨મી ફેબ્રુઆરી પર ટળી
રાજ્ય સરકાર દ્વારા અંગત રાજકારણનો ભોગ બનાવી પોતાને ડાયરેકટર જનરલ ઓફ પોલીસ તરીકેના પ્રમોશનથી વંચિત રખાયા હોવા સહિતના ગંભીર આક્ષેપો કરતી રાજયના એડીશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ કુલદીપ શર્માએ સેન્ટ્રલ એડમીનીસ્ટ્રેટીવ ટ્રિર્બ્યુનલ (કેટ) સમક્ષ કરેલી અરજીની સુનાવણી તા.૨૨મી ફેબ્રુઆરી પર ટળી હતી. રાજ્ય સરકાર તરફથી આજે આ કેસમાં જવાબ રજૂ કરવા માટે સમયની માંગણી કરવામાં આવતા ‘કેટ’ કેસની વધુ સુનાવણી તા.૨૨મી ફેબ્રુઆરી પર મુકરર કરી હતી.
કુલદીપ શર્માએ કેટ સમક્ષ કરેલી પીટીશનમાં એવા મુદ્દા ઉઠાવાયા હતા કે, તઓ રાજયના ઉચ્ચ પોલીસ અધિકારી હોવાછતાં તેમને રાજ્યના ધેટા અને ઉન વિકાસ નિગમ લી.માં મેનેજીંગ ડિરેકટર તરીકે પોસ્ટીંગ અપાયુ હતુ, વાસ્તવમાં આ નિગમમાં પોલીસ અધિકારીનું કોઇ કામ જ નથી. આ પ્રકારે અરજદારને એડીશનલ ડાયરેકટર જનરલ ઓફ પોલીસ તરીકેના હોદ્દાને છાજે તેવી નિમણૂંક અપાઇ નથી.
એટલુ જ નહી, સરકાર દ્વારા તેમના ચાર વર્ષના સી.આર(કોન્ફીડેન્શીયલ રિપોટર્-ખાનગી અહેવાલ)માં ‘ આઉટસ્ટેન્ડીંગ’ લખાયેલુ હતુ, તે બદલી ‘વેરીગુડ’ કરી નાંખવામાં આવ્યુ હતુ કે જેથી તેમને ડાયરેકટર જનરલ ઓફ પોલીસ તરીકેનું પ્રમોશન મળે નહી.
સૌથી નોંધનીય વાત તો એ છે કે, કેન્દ્ર સરકાર પ્રતિનિયુક્તિના ધોરણે તેમની સેવા લેવા માંગે છે, આ અંગે કેન્દ્ર સરકારે રાજ્ય સરકાર સાથે પત્રવ્યવહાર પણ કરેલો છે. પરંતુ સરકાર નથી ઇરછતી કે, અરજદાર કેન્દ્રમાં જાય કેમ કે, અંદરખાને સરકારને એવો ડર છે કે, જો અરજદાર કેન્દ્રમાં જશે તો તેમના માટે મુશ્કેલી સર્જાશે.
આ ડરના કારણે સરકાર દ્વારા ઉચ્ચ પોલીસ અધિકારી જી.એસ.મલિક સામેની કથિત ફરિયાદના પ્રકરણમાં કુલદીપ શર્માને તા.૧૪-૨-૦૯ ના રોજ ચાર્જશીટ પાઠવ્યુ હતુ અને ત્યારબાદ તરત જ આ ચાર્જશીટના ગ્રાઉન્ડ પર તેમને કેન્દ્રમાં જતા રોકયા હતા અને તેમનું પ્રમોશન પણ અટકાવ્યુ હતુ.
આમ, રાજ્ય સરકાર અંગત અદાવતમાં રાજકીય કિન્નાખોરી રાખી ગેરકાયદે રીતરસમો અપનાવી તેમની કારકિર્દી સાથે ગંભીર ચેડા કરી રહી છે. અરજદાર કુલદીપ શર્મા તરફથી સીનીયર એડવોકટ મીહીર જોષી અને એડવોકેટ પરેશ ઉપાઘ્યાય હાજર રહ્યા હતા.










