શ્રીસંત બીજી ટેસ્ટમાં પુનરાગમન માટે તૈયાર
બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણીમાં ઈજાગ્રસ્ત થયેલો ઝડપી બોલર શ્રીસંત ટીમમાં પુનરાગમન માટે તૈયાર છે.
મધ્યહરોળના રાહુલ દ્રવિડ, વીવીએસ લક્ષ્મણ અને યુવરાજ સિંહના ઈજાગ્રસ્ત થયા બાદ ભારતીય ટીમ હાલમાં દક્ષિણ આફ્રિકા સામે સંઘર્ષ કરી રહી છે પરંતુ બોલરોની હાલત પણ કંઈ સારી નથી રહી. તેવામાં આશા કરવામાં આવી શકે છે કે કોલકતા ટેસ્ટ માટે શ્રીસંતનો ટીમમાં સમાવેશ થઈ શકે છે.
શ્રીસંતે જણાવ્યું હતું કે હવે તે ઈજામાંથી બહાર આવી ગયો છે અને ટીમ ઈન્ડિયામાં પુનરાગમન માટે તૈયાર છે. તેણે જણાવ્યું હતું કે પોતાની ફિટનેસ સાબિત કરવા માટે તે કેરલ તરફથી વિજય હજારે ટ્રોફીમાં રમશે. તેણે જણાવ્યું હતું કે ઈજામાંથી મુક્ત થયા બાદ તેણે નેશનલ ક્રિકેટ એકેડેમી બેંગલોરમાં તાલિમ પણ લીધી છે.
શ્રીસંતે આશા વ્યક્ત કરી હતી કે કોલકતા ટેસ્ટ માટે તેનો ટીમમાં સમાવેશ કરવામાં આવશે. તેણે કહ્યું હતું કે દક્ષિણ આફ્રિકાની ટીમ વિશ્વની શ્રેષ્ઠ ટીમોમાંની એક છે અને તેના વિરૂદ્ધ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યા બાદ તેના આત્મવિશ્વાસમાં પણ વધારો થશે.
ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશ સામે ચિતગોંગ ટેસ્ટ દરમિયાન બોલિંગ કરતા સમયે શ્રીસંતને ઈજા થઈ હતી જેના કારણે તે બીજી ટેસ્ટ રમી શક્યો નહોતો.












